શ્રીનગર: સેના પ્રમુખ બિપિન રાવત આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત કરશે. કલમ 370 હટાવાયા બાદથી સેના પ્રમુખ પહેલીવાર જમ્મુ અને કાશ્મીરનો પ્રવાસ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ શ્રીનગરમાં સુરક્ષા હાલાત અને કાશ્મીર ખીણમાં સ્થિતિને પહોંચી વળવા માટે સુરક્ષા દળોની તૈયારીની સમીક્ષા કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ બાદ સેના પ્રમુખ પહેલા એવા મુખ્ય સુરક્ષા અધિકારી છે જે જમ્મુ અને કાશ્મીર જઈને સુરક્ષાની સમીક્ષા કરશે. કલમ 370 હટાવાયા બાદથી જમ્મુ અને કાશ્મીરના અનેક વિસ્તારોમાં ફોન અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ હતી. જેને હવે વારાફરતી ચાલુ કરવામાં આવી રહી છે.
કાશ્મીરમાં કોઈ મોત નથી, 50 હજાર નોકરીઓનું થશે સર્જન-રાજ્યપાલ
આ અગાઉ બુધવારે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારના કલમ 370ને નિષ્પ્રભાવી કરવાનો નિર્ણય જમ્મુ અને કાશ્મીરના લોકોની ભલાઈ માટે છે. તેમણે કહ્યું કે રાજ્ય પ્રશાસન કાશ્મીર ખીણમાં મોતનો કોઈ આંકડો છૂપાવી રહ્યું નથી. અહીં કોઈનું પણ મોત થયું નથી. તેમણે એ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં લગભગ 50 હજાર નવી નોકરીઓ પેદા થશે.
મલિકે એક પત્રકાર સંમેલનમાં કહ્યું કે દરેક કાશ્મીરીની જિંદગી કિંમતી છે. શું આ એક ઉપલબ્ધિ નથી? આ સરકારના શાંતિ જાળવી રાખવાના પરિણામ છે અને બધાએ દિવસરાત કામ કર્યું છે કે કોઈને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર ધીરે ધીરે હાલાત સામાન્ય થાય. તેમણે કહ્યું કે લોકોએ ઘણો સહયોગ કર્યો અને તેઓ શાંત રહે.
જુઓ LIVE TV
મલિકે કહ્યું કે પ્રતિબંધોના પરિણામો તમારી સામે છે. પોલીસ કાર્યવાહીમાં અત્યાર સુધી પ્રદેશમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી. 2008ના પ્રદર્શનમાં 50થી વધુ લોકો માર્યા ગયા હતાં. 2010ના પ્રદર્શનમાં 100થી વધુ લોકોના મોત થયા હતાં. તેમણે કહ્યું કે કોઈ નાગરિકનું મોત થયું નથી. કેટલાક લોકો હિંસા પર ઉતરી આવ્યાં હતાં તેઓ ઘાયલ થયા છે.
તેમણે કહ્યું કે જે લોકો ઘાયલ થયા હતાં તેમને કમરથી નીચે જ ઈજા થઈ છે. પ્રશાસન મોતનો આંકડો કેવી રીતે છૂપાવી શકે છે. કેન્દ્રથી રોજેરોજ તેમને મળવા માટે ટીમ આવે છે. મલિકે જાહેરાત કરી કે સરકાર કૂપવાડા અને હંદવાડા જિલ્લાઓમાં મોબાઈલ ફોન કનેક્ટિવિટી ખોલવા જઈ રહી છે.
આ ઉપરાંત તેમણે દાવો કર્યો કે ફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ લોકો દ્વારા ઓછો થાય છે જ્યારે મોટાભાગે તેનો ઉપયોગ આતંકવાદીઓ દ્વારા થતો હોય છે. તેમણે કહ્યું કે આ અમારી સામે ઉપયોગમાં લેવાતું એક પ્રકારનું હથિયાર છે આથી અમે તેના પર રોક લગાવી છે. ધીરે ધીરે સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે