સાગર ઠાકર/જુનાગઢ :જૂનાગઢ (junagadh) શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આવામાં શહેરભરમાં ઠેરઠેર પાણી થઈ ગયું છે. ગિરનાર પર્વત (girnar) પર 6 ઇંચ વરસાદ પડતાં ગિરનારના પગથિયા પર પાણી વહેવા લાગ્યું છે. જોકે, ગિરનાર પર્વત પર વરસાદને લઈને અલૌકિક નજારો સર્જાયો છે. ગિરનારની જૂની સીડી પર 500 પગથિયા નજીક આવેલ પ્રસિદ્ધ જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક થઈ રહ્યો છે. પર્વતમાંથી આવતાં વરસાદી પાણીને લઈને કુદરતી રીતે જટાશંકર મહાદેવ પર જલધારા થતી જોવા મળી. જટાશંકર મહાદેવ એક ગુફામાં બિરાજે છે અને ગુફામાંથી જ કુદરતી રીતે પાણી આવે છે, જે મહાદેવજી પર પડી રહ્યું છે. આમ જાણે મહાદેવજી પર ગંગાજીનો અભિષેક થતો હોય તેવા અલૌકિક દ્રશ્યો જોવા મળ્યા છે. જેને કારણે શિવભક્તોમાં આનંદની લાગણી છવાઈ હતી.
જુનાગઢમાં પોણા 6 ઈંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર (heavy rain) યથાવત છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન પોણા 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લઈને જુનાગઢમાં ડેમ અને તળાવોમાં નવા નીરની આવક થઈ છે. તો જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. જુનાગઢ શહેરના મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર પણ ઓવરફ્લો થયો છે. સવારથી જિલ્લાના કેશોદ, મેંદરડા, માંગરોળ અને વંથલી તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. તો કેશોદમાં પણ બે કલાકમાં ધોધમાર પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મેંદરડા, માંગરોળ અને વંથલીમાં અડધો ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
ભારે વરસાદે પગલે સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર 1 ડેમમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટ, જેતપુર, ગોંડલ, સહિતના શહેરોને આ ડેમ દ્વારા પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે. સીઝનના 7.5 ફૂટ નવા નીરની આવક થઈ છે. હજુ પણ 4522 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણી આવ્યું છે. ભાદર 1 ડેમ 49.5 % ભરાયો છે. બે દિવસથી પડી રહેલા વરસાદને લઈને ડેમમાં નવા નીરની આવક થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે