ચેતન પટેલ/સુરત :સુરતના સારોલી રોડ પર આવેલી અને છેલ્લા કેટલાક માસથી બંધ પડેલી ટેક્સટાઈલ માર્કેટમાં ફરી એક વખત આગ (surat fire) ની ઘટના બનતાં સુરત ફાયર વિભાગનો મોટો કાફલો દોડતો થઇ ગયો હતો. મોડી રાત્રિ દરમ્યાન આગનો કોલ મળતા સુરત ફાયર વિભાગની 18 જેટલી ગાડીઓ ઉપરાંત ફાયરના જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગની ઘટનાને પગલે પાલિકાના ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
સુરત પુણા કુંભારીયા સ્થિત સારોલી રોડ પર આવેલી રઘુવીર સેલિયમ માર્કેટમાં મોડી રાત્રે ફરી એક વખત ભીષણ આગ ફાટી નીકળતા સુરત ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, આ એ જ રઘુવીર સેલિયમ માર્કેટ (raghuvir textile market) છે, જ્યાં અગાઉ ભીષણ આગની ઘટના બની ચૂકી છે. જે આગ માર્કેટમાં બે દિવસ સુધી ચાલી હતી. અગાઉ માર્કેટમાં બનેલી આગની ઘટના બાદ સુડા વિભાગ દ્વારા સંપૂર્ણ માર્કેટને સીલ કરી દેવામાં આવી હતી.
જોકે સીલ કરાયેલ આ માર્કેટમાં મોડી રાત્રે ફરી કાટમાળમાં આગ લાગતા ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી. પ્રથમ માળે લાગેલી આગ ચોથા અને નવમા માળે અચાનક પ્રસરી ગઈ હતી. પરંતુ ઘટના સ્થળે પહોંચેલા ફાયરના મોટા કાફલાએ સમયસૂચકતા વાપરી અડધો કલાકમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સુરત ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને બૂમ બાઉઝર અને ઓટોમેટિક રોબો મશીનની મદદથી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
આ અંગે ડેપ્યુટી કમિશનર આશિષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, માર્કેટમાં વેલ્ડીંગ કામ દરમ્યાન કાટમાળમાં આગ લાગી હતી. વેલ્ડીંગના તણખલા ઉડવાથી આગ પ્રથમ, ચોથા અને નવમા માળે પ્રસરી હતી. જો કે ફાયર વિબાગે અડધો કલાકમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. ઘટના અંગે સુડા વીભાગના અધિકારીઓ આ મામલે તપાસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે