દુબઈઃ કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) માટે આઈપીએલ 2020 અત્યાર સુધી સારી રહી નથી. ટીમે અત્યાર સુધી સાત મેચ રમી છે અને માત્ર એક જીત મેળવી છે. ટીમે આગામી મેચ શાનદાર ફોર્મમાં ચાલી રહેલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) સામે રમવાની છે. આ મુકાબલા પહેલા પંજાબ માટે એક સારા સમાચાર આવ્યા છે. દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ ફૂડ પોઇઝનિંગમાંથી બહાર આવી ગયો અને તે આગામી મેચમાં રમી શકે છે.
ઉલ્લેખનીય છે કે ટીમના હેડ કોચ અનિલ કુંબલેએ જાણકારી આપી હતી કે પાછલા સપ્તાહે હૈદરાબાદ વિરુદ્ધ ગેલ ફૂડ પોઇઝનિંગને કારણે રમી શક્યો નહીં. 41 વર્ષીય આ ખેલાડી શનિવારે કોલકત્તા સામે પણ બહાર રહ્યો હતો.
ગેલે હોસ્પિટલમાંથી પોસ્ટ કરી હતી તસવીર
ગેલે હોસ્પિટલમાંથી એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પંજાબની ટીમે સોમવારે અભ્યાસ સત્ર દરમિયાન નેટ્સમાં હાજર ગેલની તસવીર શેર કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈને ટીમના એક સૂત્રએ કહ્યું કે, તે હવે ઠીક છે અને સંભાવના છે કે ગુરૂવારે આરસીબી વિરુદ્ધ મેચ રમશે. આ મેચ શારજાહમાં રમાવાની છે, જ્યાં મેદાન ખુબ નાનું છે. આ મેદાન ગેલ જેવા હિટર માટે આદર્શ છે.
મયંક અને રાહુલને કારણે ગેલ રહ્યો બહાર
પંજાબ માટે મયંક અગ્રવાલ અને કેએલ રાહુલની ઓપનિંગ જોડીએ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ કારણ હતું કે, ગેલ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહ્યો હતો. હવે પંજાબે તેને ટીમમાં સ્થાન આપવાનો નિર્ણય કર્યો તો તે ફૂડ પોઇઝનિંગને કારણે રમી શક્યો નહીં. સાત મેચોમાંથી છ મેચમાં હાર બાદ પંજાબ માટે પ્લેઓફની આશા સમાપ્ત થઈ ગઈ છે. અંતિમ ચારમાં પ્રવેશ કરવા માટે તેણે અવિશ્વસનીય પ્રદર્શન કરવું પડશે. તો ગેલ ફિટ થવાથી ટીમને રાહત મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે