Gautam Gambhir Becomes Team India Head Coach: આખરે ભારતીય ટીમના નવા કોચની વરણી કરી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના કોચ માટે ગૌતમ ગંભીરના નામની ચર્ચા થઈ રહી હતી અને મંગળવારે સાંજે બીસીસીઆઈએ તેની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. 42 વર્ષીય ગંભીરના ભારતીય ટીમ સાથે જોડાવાથી તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેટલાક યુવા ખેલાડીઓને ટીમમાં તક મળી શકે છે, જ્યારે કેટલાક વરિષ્ઠ ખેલાડીઓને બહાર કરવામાં આવી શકે છે. વાત કરીએ ટીમ ઈન્ડિયાના એવા ત્રણ ખેલાડીઓ વિશે જે જલ્દી ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ શકે છે અથવા તેને નજરઅંદાજ કરવામાં આવી શકે છે.
અજિંક્ય રહાણે
ભારતીય ટીમના અનુભવી બેટર અજિંક્ય રહાણેનું બેટ છેલ્લા કેટલાક સમયથી શાંત રહ્યું છે. આ કારણે તેને ટીમમાં જગ્યા મળી રહી નથી. રહાણે પહેલા ટી20 અને વનડે ટીમમાંથી બહાર થયો હતો. પરંતુ હવે ટેસ્ટ ટીમમાં પણ તેના દરવાજા હંમેશા માટે બંધ થઈ શકે છે. તેની પાછળનું કારણ રહાણેની ઉંમર પણ છે. રહાણે 36 વર્ષનો થઈ ગયો છે, તેવામાં નવા કોચ ગંભીર યુવા ખેલાડીઓ પર ફોકસ કરી શકે છે.
આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીર સામે 3 મોટા પડકાર, કોણ બનશે કેપ્ટન?
ચેતેશ્વર પુજારા
રહાણેની જેમ ચેતેશ્વર પુજારા પણ છેલ્લા કેટલાક સમયથી સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. પુજારાને ટેસ્ટ ટીમમાંથી ડ્રોપ પણ કરી દેવામાં આવ્યો છે. પુજારાની ઉંમર પણ 36 વર્ષ છે. તેની ફિટનેસ પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. તેવામાં પુજારા આગામી સમયમાં ટીમમાં વાપસી કરે તેની શક્યતા ખુબ ઓછી છે. ગૌતમ ગંભીરનું ફોકસ પણ યુવા ખેલાડીઓ પર હશે, જે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા માટે રમી શકે. તેવામાં પુજારાનું કરિયર પણ લગભગ સમાપ્ત થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે.
રવીન્દ્ર જાડેજા
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી સાધારણ રહ્યું છે. તે બોલિંગમાં વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેના બેટથી પણ ખાસ રન બન્યા નથી. તેવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગંભીરની એન્ટ્રી બાદ વનડે ટીમમાંથી જાડેજા બહાર થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે