Home> Spiritual
Advertisement
Prev
Next

વૈશાખ સુદ નોમ એટલે માતા સીતાનો પ્રાગટ્ય દિવસઃ જાણો જાનકીના જન્મ અને ત્રેતાયુગની જનકપુરીની કહાની

આજનો દિવસ એટલે કે વૈશાખ સુદ નોમ એ દેવી સીતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. માતા સીતા એટલે તો સ્ત્રીત્વનું, સહનશીલતાનું, સુશીલતાનું અને સમજદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. દેવી સીતા એટલે તો ત્યાગની દેવી.

વૈશાખ સુદ નોમ એટલે માતા સીતાનો પ્રાગટ્ય દિવસઃ જાણો જાનકીના જન્મ અને ત્રેતાયુગની જનકપુરીની કહાની

ઝી બ્યૂરો, અમદાવાદઃ રામાયણમાં જેમ દર્શાવવામાં આવ્યું છેકે, ભગવાન રામએ એક મર્યાદા પુરુષોત્તમ છે. એજ રીતે માતા સીતા એ સ્ત્રીત્વ, સહનશીલતા, શાલીનતા અને ત્યાગનું સ્વરૂપ છે. આજે માતા સીતાને યાદ કરવાનો વિશેષ દિવસ છે. આજનો દિવસ એટલે કે વૈશાખ સુદ નોમ એ દેવી સીતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે.

fallbacks

આ મહેલમાં આજે પણ છવાયેલી છે માતા સીતાની યાદોઃ
શું તમે જાણો છો કે માતા સીતાનું બાળપણ ક્યાં વીત્યું હતું ? જ્યાં માતા સીતાનું બાળપણ વીત્યું તે સ્થાન આજે ક્યાં આવ્યું છે ? ચાલો, આજે આપને લઈ જઈએ ત્રેતાયુગની જનકપુરીમાં. એ જનકપુરીમાં કે જ્યાં આજે પણ દૃશ્યમાન છે રાજા જનકનો મહેલ અને આ મહેલના કણ-કણમાં સચવાયા છે માતા સીતાના સ્પંદન.

આજે પણ જનકપુરીમાં છે રામાયણકાળની યાદોઃ
આમ તો સમગ્ર નેપાળમાં ‘આધ્યાત્મિક્તા’ની અનુભૂતિ ડગલે ને પગલે મળતી જ રહે છે. પરંતુ, નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ 123 કિલોમીટરના અંતરે આવેલું જનકપુર ભક્તોના હ્રદયમાં અદકેરું જ સ્થાન ધરાવે છે. ધનુષા જિલ્લામાં આવેલું આ એ શહેર છે કે જેને લોકો જનકપુરના બદલે જનકપુરધામ કહેવું વધારે પસંદ કરે છે. અને કેમ ન કહે કારણ કે અહીં જ તો હતી રામાયણ કાળની મનોહારી મંગળકારી અને મનશાપૂર્તિ મિથિલા નગરી.

સિયારામજીની એ યાદો અને સ્પંદનો આજે પણ આ ભૂમિ પર સચવાયેલી છે. અને તેને વધારે જ દ્રઢતા પ્રદાન કરી રહ્યો છે અહીંનો આ જનક મહેલ. જે પ્રસિદ્ધ છે જાનકી મંદિરના નામે. ત્રેતાયુગીની આ જનકપુરીએ દેવી સીતાના બાળપણને નિહાળ્યું પણ છે. અને સાથે જ શ્રીરામ પ્રત્યેના સીતાજીના અનુરાગનું તે સર્વપ્રથમ સાક્ષી પણ બન્યું છે. આ એ જ ભૂમિ છે કે જેની વાટિકામાં સિયા-રામજી પ્રથમવાર મળ્યા હતાં. અને આ જ ભૂમિ પર ધનુષ ભંગ કરી શ્રીરામ ‘મૈથિલી’ને વર્યા હતાં.

સીતા માતાના જન્મ સ્થાન અંગે અસમંજસઃ
ત્રેતાયુગમાં મિથિલા નગરીમાં રાજા જનકનું રાજ હતું અને લોકવાયકા એવી છે કે આ જનકપુર જ તે સમયે મિથિલાની રાજધાની હતું. દેવી સીતાનો જન્મ કયા સ્થાન પર થયો તેને લઈને ભલે મતમતાંતર હોય પરંતુ, એ વાત તો દ્રઢપણે મનાઈ રહી છે કે આ જનકપુરના ‘જનકમહેલ’માં જ વિત્યું હતું દેવી સીતાનું બાળપણ.

ક્યાં વિત્યુ સીતા માતાનું બાળપણઃ
લોકમાન્યતા અનુસાર પ્રાચીનકાળમાં વિદેહના નામે પ્રસિદ્ધ આ સ્થાન પરથી જ ‘જનક’ રાજાઓ શાસન ચલાવતાં. વાસ્તવમાં વિદેહની ગાદિ પર બેસનાર દરેક રાજા ‘જનક’ તરીકે જ ઓળખાતો. અને તે જ કુળમાં રાજા ‘સીરધ્વજ’નું પ્રાગટ્ય થયું. આ ‘સીરધ્વજ’ એટલાં ગુણી અને જ્ઞાની હતાં કે તે જ ‘જનક’ રૂપે પ્રસ્થાપિત થઈ ગયા. અને તેમને જ ધરતી ખેડતાં એક ‘કન્યારત્ન’ની પ્રાપ્તિ થઈ. તે કન્યા એટલે જ તો દેવી ‘સીતા’. એ સીતા કે જે જનકપુરની આ જ ધરા પર ઉછર્યા હોવાની છે માન્યતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More