કોલકત્તાઃ સંશોધિત નાગરિકતા કાયદા (સીએએ) વિરુદ્ધ સોમવારે પશ્ચિમ બંગાળની વિધાનસભામાં પણ પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. આ સાથે પશ્ચિમ બંગાળ હવે ચોથું રાજ્ય બની ગયું છે, જ્યાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ થઈ ચુક્યો છે. આ પહેલા કેરલ, પંજાબ અને રાજસ્થાન વિધાસભામાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો.
વિધાનસભામાં રજૂ કરાયેલા પ્રસ્તાવમાં કેન્દ્ર સરકારને સીએએ રદ્દ કરવા અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી)ની શરૂઆત તથા રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (એનપીઆર)ની યોજનાઓને રદ્દ કરવાની અપીલ કરવામાં આવી છે. આ દરમિયાન મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વિધાનસભામાં કહ્યું, 'આ પ્રદર્શન માત્ર અલ્પસંખ્યકોનું નથી પરંતુ બધાનું છે. આ આંદોલનનું સામેથી નેતૃત્વ કરવા માટે હું હિન્દુ ભાઈઓનો આભાર માનુ છું. પશ્ચિમ બંગાળમાં અમે સીએએ, એનઆરસી, એનપીઆરને લાગૂ થવા દેશું નહીં. અમે શાંતિપૂર્વક લડાઈ ચાલું રાખશું.'
વિવાદનો મુદ્દો બન્યો સીએએ
પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજ્યના સંસદીય કાર્ય મંત્રી પાર્થા ચેટર્જીએ ગૃહમાં આશરે 2 કલાકે પ્રસ્તાવ રજૂ કર્યો, જે પાસ થઈ ગયો. ત્રણ રાજ્ય- કેરલ, રાજસ્થાન અને પંજાબ- નવા નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પહેલા જ પાસ કરી ચુક્યા છે. આ કાયદો રાજ્યમાં સત્તામાં રહેલી ટીએમસી અને વિપક્ષી ભાજપ વચ્ચે વિવાદનો નવો મુદ્દો બનીને ઉભર્યો છે. એક તરફ જ્યાં તૃણમૂલ કોંગ્રેસ વિવાદિત કાયદાનો વિરોધ કરી રહી છે. તો બીજીતરફ ભાજપ તેને લાગૂ કરવા પર ભાર આપી રહ્યું છે.
બંગાળમાં થઈ હિંસા
ઉલ્લેખનીય છે કે 20 જાન્યુઆરીએ મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે સીએએ વિરુદ્ધ એક પ્રસ્તાવ વિધાનસભામાં પસાર કરવામાં આવશે. બેનર્જી અને તેમની તૃણમૂલ કોંગ્રેસ, રાજ્યમાં કાયદા વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શનોમાં સૌથી આગળ રહ્યાં છે. પાછલા મહિને કાયદો પસાર થયા બાદ રાજ્યમાં હિંસા અને તોડ-ફોડ પણ થઈ હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે