Home> India
Advertisement
Prev
Next

ટ્રેન દુર્ઘટનાઃ કોંગ્રેસે મંજુરી વગર આયોજન કર્યું હોવાનો દાવો, દુર્ઘટના બાદ પણ ભાષણ આપતા રહ્યાં સિદ્ધુનાં પત્ની

દશેરા કાર્યક્રમમાં લગભગ 300થી વધુ લોકો રેલવેના પાટાની નજીક એક મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ નિહાળી રહ્યા હતા 

ટ્રેન દુર્ઘટનાઃ કોંગ્રેસે મંજુરી વગર આયોજન કર્યું હોવાનો દાવો, દુર્ઘટના બાદ પણ ભાષણ આપતા રહ્યાં સિદ્ધુનાં પત્ની

નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં થયેલી ભીષણ ટ્રેન દુર્ઘટનામાં 50થી 60 લોકોનાં મોતની આશંકા છે. રાવણ દહન સમયે રેલવે ટ્રેક પર થયેલી આ દુર્ઘટનામાં એક ક્ષણમાં જ અનેક લોકોનાં મોત થઈ ગયા હતા. આ દુર્ઘટના અંગે રેલવે તંત્રએ દુખ વ્યક્ત કર્યું છે, પંજાબ સરકાર તરફથી દુર્ઘટનામાં મૃતકોનાં પરિજનોને રૂ.5 લાખ તો કેન્દ્ર સરકાર તરફથી મૃતકોનાં પરિજનોને રૂ.2 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આખરે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ કેવી રીતે? રેલવે ટ્રેની નજીકમાં રાવણ દહનનો કાર્યક્રમ આયોજન કરવાની મંજુરી કોણે આપી? શું તેના માટે મંજુરી લેવામાં આવી હતી? શું આ અંગે રેલવે તંત્રને કોઈ જાણ કરાઈ હતી? 

 દુર્ઘટના સ્થળે હાજર લોકોનો દાવો છે કે, રાવણ દહનનો આ કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા આયોજિત કરાયો હતો. કાર્યક્રમના આયોજન માટે કોઈ મંજુરી લેવાઈ ન હતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા મંજુરી વગર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આટલું જ નહીં કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલાં પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુનાં પત્ની નવજોત કૌર દુર્ઘટના બાદ પણ ભાષણ આપતા રહ્યાં હતાં. 

આ બાજુ નવજોત સિંહ સિદ્ધનાં પત્ની અને પંજાબના પૂર્વ મંત્રી નવજોત કૌરે જણાવ્યું કે,"આ આરોપો ખોટા છે. દુર્ઘટના થયાના અડધા કલાક પહેલા જ હું ત્યાંથી નિકળી ગઈ હતી. અહીં દર વર્ષે દશેરાનું આયોજન કરવામાં આવે છે. અકાલી દળે આ મુદ્દે કોઈ રાજનીતિ ન કરવી જોઈએ."

આ સ્થળે ઓછામાં ઓછા 300 લોકો હાજર હતા, જે રેલવેના પાટાની નજીક એક મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ જોઈ રહ્યા હતા. અમૃતસરના પ્રથમ ઉપમંડલીય મેજિસ્ટ્રેટ રાજેશ શર્માએ જણાવ્યું કે, દુર્ઘટનાસ્થળેથી 50 શબ એકઠા કરવામાં આવ્યા છે અને ઓછામાં ઓછા 50 ઘાયલોને ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

અધિકારીએ જણાવ્યું કે, રાવણના પુતળાને આગ લગાડ્યા બાદ અને ફટાકડા ફૂટવાનું શરૂ થવાને કારણે કેટલાક લોકો રેલવેના પાટા તરફ જવા લાગ્યા હતા, જ્યાં પહેલાથી જ મોટી સંખ્યામાં લોકો રાવણ દહન જોઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, એ જ સમયે બે વિરુદ્ધ દિશાઓમાંથી એક સાથે બે ટ્રેન આવી ગઈ અને લોકોને બચવા માટે બહુ ઓછો સમય મળ્યો હતો. 

વડા પ્રધાન મોદી દ્વારા પંજાબ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ.50 હજારનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. 

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે દુર્ઘટના અંગે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે, "મારી સરકાર મૃતકોનાં પરિજનોને રૂ.5 લાખનું વળતર આપશે. આ સાથે જ ઘાયલોને ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મફત ઈલાજ કરવામાં આવશે. યુદ્ધનાં ધોરણે રાહત-બચાવ કાર્ય કરવા માટે જિલ્લા અધિકારકીઓને સુચના આપી દેવાઈ છે."

ભારતીય રેલવે દ્વારા તાત્કાલિક ધોરણે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્ય કક્ષાના રેલવે મંત્રી મનોજ સિંહા દુર્ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના થઈ ગયા છે. બીજી તરફ કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલે તેમના અમેરિકા ખાતેના તમામ કાર્યક્રમો રદ્દ કરીને ભારત પરત આવવાની તૈયારી શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More