Home> India
Advertisement
Prev
Next

Independence Day 2022: 'દેશ સામે બે મોટા પડકાર...પૂરી તાકાત સાથે લડવાનું છે', જાણો PM મોદીના સંબોધનની મહત્વની વાતો

PM Modi Speech : આઝાદીના 75 વર્ષ પૂરા થયા અને 76માં સ્વતંત્રતા દિવસના અવસરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત નવમી વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું. આ દરમિયાન આવનારા 25 વર્ષોમાં ભારતને વિક્સિત બનાવવા માટે 5 સંકલ્પનો ઉલ્લેખ કર્યો. નારી શક્તિને યાદ કરી. ભ્રષ્ટાચાર અને પરિવારવાદ પર આકરા પ્રહાર કર્યા. પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા આંદોલનના નાયકોને નમન કર્યા. મહાન વીરો, વિરાંગનાઓના શૌર્યને યાદ કર્યું. વીર સાવરકર, નેતાજી સુભાષચંદ્ર બોઝ, પંડિત નેહરુ, ભગવાન બિરસા મુંડા સહિત આઝાદીના નાયકોને યાદ કર્યા.

Independence Day 2022: 'દેશ સામે બે મોટા પડકાર...પૂરી તાકાત સાથે લડવાનું છે', જાણો PM મોદીના સંબોધનની મહત્વની વાતો

PM Modi Speech : આઝાદીના 75 વર્ષ પૂરા થયા અને 76માં સ્વતંત્રતા દિવસના અવસરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત નવમી વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું. આ દરમિયાન આવનારા 25 વર્ષોમાં ભારતને વિક્સિત બનાવવા માટે 5 સંકલ્પનો ઉલ્લેખ કર્યો. નારી શક્તિને યાદ કરી. ભ્રષ્ટાચાર અને પરિવારવાદ પર આકરા પ્રહાર કર્યા. નિર્ણાયક લડત છેડવાનું આહ્વાન કરતા કહ્યું કે જ્યાં સુધી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારી પ્રત્યે નફરતનો ભાવ પેદા ન થાય કે સમાજિક રીતે તેને નીચે દેખાડવા માટે મજબૂર ન કરાય ત્યાં સુધી આ માનસિકતા ખતમ થવાની નથી. તેમણે તેને પોતાની બંધારણીય અને લોકતાંત્રિક જવાબદારી ગણાવતા આ જંગમાં દેશવાસીઓ પાસે સાથ પણ માંગ્યો. આ ઉપરાંત તેમણે પહેલીવાર સ્વદેશી તોપ દ્વારા અપાયેલી સલામી અંગે પણ વાત કરી. તેમનું ભાષણ 83 મિનિટનું રહ્યું. જાણો મહત્વની વાતો.. 

ભારતની વિવિધતા જ તેની તાકાત
પીએમ મોદીએ કહ્યું કે ગઈ કાલે 14 ઓગસ્ટના રોજ ભારતે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસને ભારે મને ઉજવ્યો. આઝાદીના સમયે તમામ આશંકાઓ જતાવવામાં આવી કે ભારત તૂટી જશે, વેર વિખેર થઈ જશે પરંતુ તમામ આશંકાઓ નિર્મૂળ સાબિત થઈ. આઝાદી બાદ આપણે શું નથી ઝેલ્યું. અકાળ ઝેલ્યો, યુદ્ધ ઝેલ્યું. સફળતા, નિષ્ફળતા, આશા નિરાશા ન જાણે કેટલાય પડાવ આવ્યા આમ છતાં  ભારત આગળ વધતું રહ્યું. ભારતની વિવિધતા જે બીજાને બોજ લાગતી હતી તે જ તેની તાકાત છે. 

ભારત લોકતંત્રની જનની
પીએમ મોદીએ કહ્યું કે ભારત લોકતંત્રની જનની છે. 2014માં દેશવાસીઓએ મને જવાબદારી સોંપી. આઝાદી બાદ જન્મેલો હું પહેલો વ્યક્તિ હતો જેને લાલ કિલ્લાથી દેશવાસીઓનું ગૌરવગાન કરવાની તક મળી હતી. જેટલું તમારી પાસેથી શીખ્યો છું, તમને જાણ્યો છું, તમારા સુખ દુખ જાણી શક્યો છું તેને લઈને મે આખો કાળખંડ તે લોકો માટે ખપાવ્યો છે. પછી ભલે તે દલિત, શોષિત હોય, વંચિત હોય, મહિલાઓ હોય કે કોઈ પણ ખૂણો હોય... 

ગાંધીજીનું સપનું પૂરું કરવા માટે પોતાને સમર્પિત કર્યો
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીનું અંતિમ વ્યક્તિ સુધી લાભ પહોંચાડવાનું સપનું હતું. મે મારી જાતને મહાત્મા ગાંધીના સપનાને પૂરું કરવા માટે સમર્પિત કરી. 

સામૂહિક ચેતના પુર્નજાગરણ થયું
પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશવાસીઓએ પણ ઉપલબ્ધિઓ મેળવી છે. પુરુષાર્થ કર્યો છે. હાર માની નથી અને સંકલ્પોને ઓઝલ થવા દીધા નથી. આપણે તાજેતરમાં જોયું છું કે આપણે એક વધુ નવી તાકાતનો અનુભવ કર્યો છે. ભારતમાં સામૂહિક ચેતનાનું પુર્નજાગરણ થયું છે. આઝાદીનો અમૃત હવે સંકલ્પમાં બદલાઈ રહ્યો છે. સિદ્ધિનો માર્ગ જોવા મળી રહ્યો છે. 

5 સંકલ્પ
પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. જેથી કરીને આગામી 25 વર્ષ બાદ જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ પૂરા થશે ત્યારે ભારત માટે 5 સંકલ્પ જરૂરી છે. 

1. પહેલો સંકલ્પ- વિક્સિત ભારત. તેનાથી ઓછું આપણને મંજૂર નથી. 
2. બીજો સંકલ્પ- સો ટકા ગુલામીની સોચમાંથી આઝાદી. કોઈ પણ ખૂણામાં આપણા મનની અંદર ગુલામીનો અંશ બાકી રહેવો જોઈએ નહીં. સેંકડો વર્ષ સુધી ગુલામીએ આપણને જકડી રાખી હતી. સોચમાં વિકૃતિઓ પેદા કરી રાખી છે. આપણને ગુલામીની કોઈ નાની ચીજ પણ જો નજરે ચડે તો તેનાથી મુક્તિ મેળવવી પડશે. 
3. વારસા પર ગર્વ. પીએમ મોદીએ કહ્યું કે આપણને આપણા વારસા પર ગર્વ હોવો જોઈએ. આ વારસો છે, જેણે ભારતને સ્વર્ણિમ ઈતિહાસ આપ્યો. 
4. એકતા અને એકજૂથતા. તેમણે કહ્યું કે 130 કરોડ દેશવાસીઓમાં એકજૂથતા હોવી જરૂરી છે. કોઈ પારકું નથી. 
5. નાગરિકોના કર્તવ્ય. પાંચમા સંકલ્પ વિશે પીએમ મોદીએ જણાવ્યું કે તેમાંથી પીએમ કે સીએમ પણ બહાર હોતા નથી. તેઓ પણ દેશના નાગરિક હોય છે. જ્યારે સપના મોટા હોય છે ત્યારે સંકલ્પ મોટા હોય છે. 

મોટા સંકલ્પથી મળી આઝાદી
પીએમ મોદીએ કહ્યું કે આપણે મોટો સંકલ્પ લીધો હતો આઝાદીનો. આપણે આઝાદ થઈ ગયા. આ એટલા માટે થયું કારણ કે સંકલ્પ ખુબ મોટો હતો. જો સંકલ્પ સીમિત હોત તો કદાચ આજે પણ સંઘર્ષ કરી રહ્યા હોત. 

માનવ કેન્દ્રીય વ્યવસ્થા ડેવલપ થશે
પીએમ મોદીએ કહ્યું કે માનવ કેન્દ્રીય વ્યવસ્થાને વિક્સિત કરીશું. આપણા કેન્દ્રમાં માનવ હશે. તેની આશાઓ હશે. ભારત જ્યારે મોટો સંકલ્પ કરે છે તે કરીને બતાવે છે. જ્યારે મે સ્વચ્છતાની વાત કરી, તો તેને દેશે કરી દેખાડ્યું. જ્યારે દુનિયા દુવિધામાં હતી ત્યારે 200 કરોડ રસીકરણના લક્ષ્યાંકને હાંસલ કરી બતાવ્યો. તમામ રેકોર્ડ ધ્વસ્ત કર્યા. અઢી કરોડ લોકોના ઘરમાં નળથી જળ પહોંચાડવાનું કામ દેશ કરી રહ્યો છે. ખુલ્લામાં શૌચથી મુક્તિ શક્ય બની છે. 

નવી શિક્ષણનીતિ
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પીએમ મોદીએ કહ્યું કે તેના માટે કરોડો લોકોની સલાહ લેવામાં આવી. 

ગ્લોબલ વોર્મિંગનું સમાધાન આપણી પાસે
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આપણે આપણી ધરતી સાથે જોડાઈશું તો જ ઊંચે ઉડી શકીશું. ત્યારે જ વિશ્વને પણ સમાધાન આપી શકીશું. આપણે પ્રકૃતિને પ્રેમ કરવાનું જાણીએ છીએ. આપણી પાસે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના સમાધાનના રસ્તા છે. આપણા પૂર્વજોએ આપણને આપ્યા છે. જ્યારે દુનિયા હોલિસ્ટિક હેલ્થ કેરની વાત કરે છે ત્યારે દુનિયાની નજર ભારતના યોગ પર જાય છે.  ભારતના આયુર્વેદ પર જાય છે. જ્યારે વ્યક્તિગત તણાવની વાત થાય છે ત્યારે વિશ્વને ભારતનો યોગ દેખાય છે. જ્યારે સામૂહિક તણાવની વાત થાય છે ત્યારે વિશ્વને ભારતની કૌટુંબિક વ્યવસ્થા દેખાય છે. 

જન કલ્યાણથી જગ કલ્યાણ
આપણે એ લોકો છીએ જે જીવમાં શિવ જોઈએ છીએ. નરમાં નારાયણ જોઈએ છીએ. જે નારીને નારાયણી કહે છે. ઝાડ પાનમાં પરમાત્મા જોઈએ છીએ. જે નદીને માતા માને છે, અમે એ છીએ જે દરેક કંકરમાં શંકર જુએ છે. અમે એ છીએ જેણે દુનિયાને વસુધૈવ કુટુંબકમનો મંત્ર આપ્યો. જે કહે છે કે સત્ય એક છે. અમે દુનિયાનું કલ્યાણ જોયું છે. અમે જન કલ્યાણથી જગ કલ્યાણ જોયું છે. 

દેશના બે મોટા પડકાર
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં દેશના બે મોટા પડકારો વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે દેશ સામે બે મોટા પડકાર છે. એક ભ્રષ્ટાચાર, અને બીજો ભાઈ-ભત્રીજાવાદ, પરિવારવાદ. આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ પૂરી તાકાતથી લડવાનું છે. 

ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારી પ્રત્યે નફરત
જ્યાં સુધી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારી પ્રત્યે નફરતનો ભાવ પેદા નહી થાય, સામાજિક રીતે તેને નીચા દેખાડવા માટે મજબૂર નહી કરાય, ત્યાં સુધી આ માનસિકતા ખતમ થવાની નથી. ભ્રષ્ટાચાર દેશને ઉધઈની જેમ ખોખલો કરી રહ્યો છે. તેની સામે દેશે લડવું જ પડશે. અમારી કોશિશ છે કે જેમણે દેશને લૂંટ્યો છે, તેમણે પાછું આપવું પડે તેની અમે કોશિશ કરી રહ્યા છીએ. મારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાનું છે, મારે તેના વિરુદ્ધ લડતને તેજ કરવાની છે. મને 130 કરોડ ભારતવાસીઓનો સાથ જોઈએ છે, જેથી કરીને હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી શકું. દેશવાસીઓ માટે આ ચિંતાનો વિષય છે, ભ્રષ્ટાચાર પ્રત્યે નફરત જોવા મળે છે. પરંતુ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કોઈ ચેતના દેખાતી નથી. 

ભાઈ-ભત્રીજાવાદ પર પ્રહાર
પીએમ મોદીએ ભાઈ-ભત્રીજાવાદ, અનુસંધાન સહિત અનેક મુદ્દાઓનું પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જ્યારે હું ભાઈ-ભત્રીજાવાદ અને પરિવારવાદની વાત કરું છું ત્યારે લોકોને લાગે છે કે હું ફક્ત રાજનીતિની વાત કરી રહ્યો છું. દુર્ભાગ્યથી રાજકીય ક્ષેત્રની આ બદીએ હિન્દુસ્તાનના દરેક સંસ્થાનમાં પરિવારવાદને પોષિત કરી દીધો છે. ભારત જેવા લોકતંત્રમાં જ્યાં લોકો ગરીબી સામે ઝઝૂમી રહ્યા છે ત્યાં એક બાજુ એવા લોકો છે જેમની પાસે રહેવા માટે જગ્યા નથી ત્યાં બીજી બાજુ એવા લોકો છે જેમની પાસે લૂંટેલી રકમ રાખવા માટે જગ્યા નથી. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાનું છે. જે લોકો ગત સરકારોમાં બેંકો લૂટીને ભાગી ગયા તેમની સંપત્તિ અમે જપ્ત કરી રહ્યા છીએ. અનેક લોકો જેલમાં છે.

આત્મનિર્ભર ભારતનો સંકલ્પ, પહેલીવાર થયું આ કામ
આ વખતનો સ્વતંત્રતા દિવસ અનેક રીતે ખાસ છે. પહેલીવાર લાલ કિલ્લા પર સ્વદેશી તોપથી સલામી અપાઈ. ધ્વજારોહણ બાદ લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત કોઈ સરકારી કાર્યક્રમ નથી, પરંતુ સમાજનું જન આંદોલન છે. જેને બધાએ મળીને આગળ વધારવાનું છે. આઝાદીના 75 વર્ષમાં પહેલીવાર એવું બન્યું કે લાલ કિલ્લા પરથી સલામી માટે દેશમાં બનેલી તોપનો ઉપયોગ કરાયો. 
75 વર્ષ બાદ પહેલીવાર ભારતમાં બનેલી હોવિત્ઝર તોપનો ઉપયોગ લાલ કિલ્લા પર સલામી માટે કરવામાં આવ્યો. પીએમ મોદીએ કહ્યું કે બિનજરૂરી વિદેશી સામાન અને ઉપકરણોની આયાત પર રોક લગાવવાનો પ્રયત્ન કરવો પડશે. વિદેશી રમકડાંની આયાતમાં પણ ભારે ઘટાડો થયો છે. કારણ કે બાળકોએ પણ તેમને નકારી દીધા છે. આ સાથે જ કેમિકલ મુક્ત ખેતી પર ભાર મૂક્યો. 

જય જવાન જય કિસાન સાથે જય અનુસંધાન પર ભાર
પીએમ મોદીએ કહ્યું કે જય જવાન, જય કિસાનની સાથે જય અનુસંધાન પર ભાર મુકવાની જરૂર છે. યુપીઆઈનો વધતો પ્રભાવ તેનું એક પ્રમાણ છે. દેશ 5જી તરફ આગળ વધી રહ્યો છે. ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબરનું નેટવર્ક બિછાવાઈ રહ્યું છે. ભારત માટે આ ટેક્નોલોજીનો દાયકો છે. સ્પેસ સમિશન, ઓશન મિશનમાં પણ આગળ વધી રહ્યું છે. 

માનવ સંસાધન અને પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ
આપણા નાના ખેડૂતો, લઘુ ઉદ્યોગો, રેકડીવાળા, તેમને આર્થિક તાકાત આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. માનવ સંસાધન અને પ્રાકૃતિક સંસાધનોનો વધુમાં વધુ ઉપયોગ કેવી રીતે થાય, તેના પર ભાર મૂકવો પડશે. ગામડાથી લઈને શહેર સુધી પોલીસથી લઈને યુદ્ધના મેદાન સુધી, ખેલકૂદના મેદાન હોય, દેશના વિકાસમાં નારી શક્તિ પર ધ્યાન જરૂરી છે. બંધારણના નિર્માતાઓએ દેશના ફેડરલ સ્ટ્રક્ચર પર ભાર મૂક્યો અને તે ભવિષ્યની જરૂરિયાત છે. કાર્યક્રમ અને કાર્યશૈલી અલગ હોઈ શકે છે પરંતુ જરૂરિયાત હેલ્ધી કમ્પીટિટિવ ફેડરલિઝમની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More