Home> India
Advertisement
Prev
Next

મોદીએ બીજીવાર PM પદના શપથ લીધા, રાજનાથ અને અમિત શાહ પણ કેબિનેટમાં સામેલ

રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 7 કલાકે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ બીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યાં.

 મોદીએ બીજીવાર PM પદના શપથ લીધા, રાજનાથ અને અમિત શાહ પણ કેબિનેટમાં સામેલ

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 7 કલાકે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ બીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ રાજનાથ સિંહે પદ અને ગોપનીયતાના શપથ લીધા. તેઓ મોદી મંત્રીમંડળમાં બીજા નંબરે રહેશે. ત્રીજા નંબરે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પદ અને ગોપનીયતાના શપથ લીધા. ચોથા નંબર પર નાગપુરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા નીતિન ગડકરીએ શપથ લીધા. નીતિન ગડકરી બાદ કર્ણાટકના વરિષ્ઠ નેતા સદાનંદ ગૌડાએ કેબિનેટ મંત્રીપદના શપથ લીધા. ગત મંત્રીમંડળમાં વિદેશ મંત્રી તરીકે કાર્યભાર સંભાળી ચૂકેલા સુષમા સ્વરાજ આ વખતે મંત્રીમંડળની હરોળમાં ન બેસતા મહેમાનગણમાં જોવા મળ્યાં. 

 PM મોદીના મંત્રીમંડળમાં અમિત શાહ સામેલ, મળી શકે છે નાણા મંત્રાલય

કેબિનેટ મંત્રી પદે લીધા શપથ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી ચૂંટાયેલી સરકારના મંત્રીઓને શપથ લેવડાવ્યાં. નરેન્દ્ર મોદીએ બીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા. આ ઉપરાંત રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, સદાનંદ ગૌડા, નિર્મલા સીતારમન, રામવિલાસ પાસવાન, નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, શ્રીમતિ હરસિમરત કૌર બાદલ, થાવરચંદ ગહેલોત, સુબ્રમણ્યમ જયશંકર, રમેશ નિશંક, અર્જૂન મૂંડા, સ્મૃતિ ઈરાની, ડો.હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્તાર અબ્બાસ નકવી, પ્રહલાદ જોશી, ડો.મહેન્દ્રનાથ પાંડેએ કેબિનેટ મંત્રીપદના શપથ લીધા.

રાજ્યકક્ષાના મંત્રી તરીકે લીધા શપથ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંતોષકુમાર ગંગવાર, ઈન્દ્રજીત સિંહ, શ્રીપદ નાઈક, ડો. જિતેન્દ્ર સિંહ, કિરણ રિજિજૂ, પ્રહલાદસિંહ પટેલ, રાજકુમાર સિંહ, હરદિપસિંહ પુરી, મનસુખ મંડાવિયા, ફગ્ગન સિંહ કુલસ્તે, અશ્વિનીકુમાર ચૌબે, અર્જૂનરામ મેઘવાલ, જનરલ (રિટાયર્ડ) વી.કે.સિંહ, કૃષ્ણપાલ ગુર્જર, રાવસાહેબ દાનવે પાટિલ, જી. કિશન રેડ્ડી, પુરુષોત્તમ રૂપાલા, રામદાસ આઠવલે, સાધ્વી નિરંજન જ્યોતિ, બાબુલ સુપ્રિયો, ડો. સંજીવ બાલિયાન, ધોત્રે સંજય શામરાવ, અનુરાગ ઠાકુર, સુરેશ આંગડી, નિત્યાનંદ રાય, રતનલાલ કટારિયા, વી. મુરલીધરન, રેણુકા સિંહ સરુતા, સોમ પ્રકાશ, રામેશ્વર તેલી, પ્રતાપચંદ્ર સારંગી, કૈલાશ ચૌધરી, દેવાશ્રી ચૌધરીને રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લેવડાવ્યાં. 

પુત્રને શપથ લેતા જોઈને માતા હીરાબા ખુશખુશાલ થઈ ગયા
પુત્ર બીજીવાર દેશના પીએમ પદના શપથ લઈ રહ્યો છે તે જોઈને માતા હીરાબા ખુશખુશાલ થઈ ગયાં. ઘરે બેસીને તેઓ શપથગ્રહણ સમારોહ જોઈ રહ્યાં છે. તેમણે જાણે તાળીઓ પાડીને સ્વાગત કર્યું. 

આ મહેમાનો પહોંચ્યા રાષ્ટ્રપતિ ભવન
રાષ્ટ્રપતિ ભવન ખાતે દિગ્ગજ હસ્તીઓનો જમાવડો થઈ રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહોંચ્યાં. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ ચેર પર્સન સોનિયા ગાંધી પણ શપથગ્રહણ સમારોહમાં પહોંચ્યાં. ભાજપના નેતા રવિશંકર પ્રસાદ, હરસિમરત કૌર બાદલ, પૂર્વ વિદેશ સેક્રેટરી એસ. જયશંકર અને અન્ય નેતાઓ પણ હાજર છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ પણ પહોંચ્યા છે. 

2014માં એનડીએ સરકારમાં વિદેશ મંત્રી બનેલા સુષમા સ્વરાજ આ વખતે મંત્રી પદના શપથ નહી લે તેવું માનવામાં આવી રહ્યું છે. તેઓ મહેમાનો સાથે બેઠા છે. 

જેડીયુને પડ્યો વાંધો
જેડીયુ અધ્યક્ષ નીતિશકુમારે કહ્યું કે તેમની પાર્ટીમાંથી કોઈ પણ સાંસદ મંત્રીમંડળમાં સામેલ થશે નહીં. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે જેડીયુના ફાળે એક મંત્રીપદ આવી રહ્યું હતું. પરંતુ તેના પર જેડીયુને વાંધો પડ્યો છે. ત્યારબાદ નીતિશકુમારે નિર્ણય લીધો છે કે તેમની પાર્ટીમાંથી કોઈ મંત્રી બનશે નહીં. 

જો કે નીતિશકુમારે કહ્યું કે ભાજપ તરફથી કહેવાયું હતું કે ગઠબંધન દળમાં બધાને એક-એક મંત્રીપદ મળશે. ત્યારબાદ અમે પાર્ટી સાથે વાત કરી તો બધાએ કહ્યું કે તેની કોઈ જરૂર નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More