Home> India
Advertisement
Prev
Next

Lakhimpur Kheri Violence: પ્રશાસન અને ખેડૂતો વચ્ચે આ શરતો પર થઈ સમજૂતિ

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં 8 લોકોના મોત થયા. મૃતકોમાં 4 ખેડૂતો, 3 ભાજપના કાર્યકરો અને એક ભાજપના નેતાનો ડ્રાઈવર સામેલ છે. આ બધા વચ્ચે લખીમપુર ખીરી મામલે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાઈ ગયું છે. 

Lakhimpur Kheri Violence: પ્રશાસન અને ખેડૂતો વચ્ચે આ શરતો પર થઈ સમજૂતિ

લખનૌ: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં 8 લોકોના મોત થયા. મૃતકોમાં 4 ખેડૂતો, 3 ભાજપના કાર્યકરો અને એક ભાજપના નેતાનો ડ્રાઈવર સામેલ છે. આ બધા વચ્ચે લખીમપુર ખીરી મામલે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાઈ ગયું છે અને અલગ અલગ પાર્ટીઓના નેતા લખીમપુર ખીરી આવવાની કોશિશમાં છે. યુપી પોલીસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત કરી છે. જ્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે તેમની ધરપકડ થઈ છે. આ બાજુ આજે સવારથી જ આ મામલે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. 

સહાયની કરી જાહેરાત
લખીમપુર ખીરી હિંસા અંગે ખેડૂતો અને પ્રશાસન વચ્ચે સહમતિ બની ગઈ છે. મૃતકોના આશ્રિતોને નોકરી અને 45 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે. જ્યારે ઘાયલોને 10 લાખ રૂપિયા સહાય કરવામાં આવશે. આ ઉપરાંત પ્રશાસન તરફથી એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે 8 દિવસમાં અપરાધીઓની ધરપકડ કરવામાં આવશે અને ઘટનાની ન્યાયિક તપાસ કરવામાં આવશે. એવું કહેવાય છે કે વાતચીત બાદ હાઈકોર્ટના એક રિટાયર્ડ જસ્ટિસ રવિવાર હિંસાની તપાસ કરશે.

ટિકૈતનું અલ્ટીમેટમ
ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને એડીજી (લો એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાણકારી આપી. આ બાજુ રાકેશ ટિકૈતે કહ્યું કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીનું નામ એફઆઈઆરમાં દાખલ થયું છે, 10-11 દિવસનો સમય જે પ્રશાસને માંગ્યો છે તેની અંદર કાર્યવાહી ન કરાઈ તો અમે પંચાયત કરીશું. અમે ત્યાં સુધી ખેડૂતોના અંતિમ સંસ્કાર નહીં કરીએ અને પાંચ ડોક્ટરોની નિગરાણીમાં પોસ્ટમોર્ટમ થશે અને તેનું વીડિયો રેકોર્ડિંગ પણ કરાશે. 

તેમણે કહ્યું કે હજુ પણ ઈન્ટરનેટ ચાલુ નથી. આથી અમને ઘણા બધા વીડિયો પુરાવા ન મળ્યા હોઈ શકે. પરંતુ જેવું ઈન્ટરનેટ ચાલશે તમારી પાસે કોઈ વીડિયો હોય તો અમને જરૂર મોકલો. 

ઝી ન્યૂઝના પત્રકાર સાથે ધક્કામુક્કી
લખીમપુર ખીરીમાં ઝી ન્યૂઝના પત્રકાર વિશાલ પાંડે સાથે ધક્કામુક્કી કરવામાં આવી. તેમને ફરસા અને તલવાર લઈને ધમકાવવામાં આવ્યા તથા રિપોર્ટિંગ કરતા રોકવામાં આવ્યા. 

મૃત્યુઆંક 9 થયો
લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 9 થયો છે. ઘટના બાદથી ગૂમ થયેલા પત્રકારનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક પત્રકાર રમણ કશ્યપના મોતનો મામલો સામે આવ્યો છે. જે નિઘાસ ક્ષેત્રમાં રહેતા હતા. પરિજનોએ પોસ્ટમોર્ટમ હાઉસમાં મૃતદેહની પુષ્ટિ કરી છે. પત્રકારના પરિજનોએ મૃતદેહ રાખીને નિઘાસન ચાર રસ્તે જામ કર્યો. પરિજનોની માગણી છે કે દોષિતો પર કાર્યવાહી કરવામાં આવે અને તેને જલદી પકડી લેવામાં આવે. 

અખિલેશ યાદવની અટકાયત
લખનૌમાં પોતાના ઘરની બહાર ધરણા પર બેઠેલા અખિલેશ યાદવની પોલીસે અટકાયત કરી છે. પોલીસે તેમને લખીમપુર ખીરી જતા રોક્યા હતા. ત્યારબાદ તેઓ ધરણા પર બેસી ગયા હતા.  આ અગાઉ પોલીસે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની પણ સીતાપુરમાં અટકાયત કરી હતી. તેઓ લખીમપુર ખીરી જઈ રહ્યા હતા. 

ભીડે પોલીસની ગાડીમાં આગ લગાવી
લખનૌમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ ખુબ હોબાળો મચાવ્યો. ભીડે પોલીસની ગાડીમાં આગ લગાવી છે. ગૌતમપલ્લી પોલીસ સ્ટેશન બહાર ઊભેલી ગાડીને ભીડે આગને હવાલે કરી. 

fallbacks

ઘરની બહાર ધરણા પર બેઠા અખિલેશ
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને યુપી પોલીસે લખીમપુર જતા રોક્યા છે. ત્યારબાદ સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ ખુબ હોબાળો મચાવ્યો અને પોલીસ તથા કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. અખિલેશ યાદવ તો પોતાના ઘરની બહાર જ ધરણા પર બેસી ગયા. તેમણે કહ્યું કે ખેડૂતો પર અંગ્રેજો કરતા પણ વધુ જુલ્મ થયો છે. ભાજપની સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના રાજીનામાની પણ માગણી કરી. આ ઉપરાંત તેમણે મૃતક ખેડૂતોના પરિવારનો બે કરોડની મદદ, સરકારી નોકરી અને દોષિતો પર કડક કાર્યવાહીની માગણી કરી. 

પ્રિયંકા ગાંધીને પોલીસ લાઈન લઈ જવાયા
પ્રિયંકા ગાંધી કાલે રાતે લખનઉથી લખીમપુર ખીરી માટે રવાના થયા હતા. પ્રિયંકા ગાંધી વાડ્રાનો કાફલો પોલીસને ચકમો આપીને લખીમપુર ખીરી માટે નીકળ્યો હતો. બાદમાં પોલીસે પ્રિયંકા ગાંધીની સીતાપુરના હરગાંવથી અટકાયત કરી અને તેમને પોલીસ લાઈન લઈ જવાયા. આ સાથે જ કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડાની પણ અટકાયત કરાઈ છે. 

રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ
પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ તેમના ભાઈ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી. તેમણે કહ્યું કે 'પ્રિયંકા હું જાણું છું કે તું પાછળ નહીં હટે. તમારી હિંમતથી તેઓ ડરી ગયા છે. ન્યાયની આ અહિંસક લડાઈમાં આપણે દેશના અન્નદાતાઓને જીતાડીને રહીશું.' 

અત્રે જણાવવાનું કે અજય મિશ્રા ટેની અને તેમના પુત્ર આશીષ મિશ્રા ટેની ઉપરાંત અનેક અજાણ્યા લોકો પર એફઆઈઆર દાખલ થઈ છે. આ મામલે આઈપીસીની કલમ 302, 147, 148, 149, 289, 120 બી હેઠળ કેસ દાખલ કરાયો છે. 

કેન્દ્રીય મંત્રીએ કરી નિષ્પક્ષ તપાસની માગણી
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે જો ઘટનાસ્થળે તેમનો પુત્ર આશીષ મિશ્રા હાજર હોત તો તેની પણ હત્યા થઈ જાત. ખેડૂતોના વેષમાં ઉપદ્રવીઓએ કાર્યકરોની ઢોર માર મારીને મારી નાખ્યા. તેમણે આરોપ લગાવ્યો છે કે ખેડૂત આંદોલનના નામે દેશમાં અસ્થિરતા ફેલાવવાની કોશિશ થઈ રહી છે. 

અખિલેશ યાદવના ઘર બહાર  ભારે પોલીસફોર્સ
યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ આજે લખીમપુર ખીરી જશે અને આ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિજનોને મળશે. જેને પગલે તેમના ઘરની બહાર ભારે પોલીસકર્મીની તૈનાતી કરાઈ છે. ત્યાં પહોંચતા પહેલા જ તેમણે યોગી સરકારને ઘેરી. તેમણે કહ્યું કે કૃષિ કાયદાનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા ખેડૂતોને ભાજપ સરકારના ગૃહ રાજ્યમંત્રીના પુત્ર દ્વારા ગાડીથી કચડી નાખવું એ ઘોર અમાનવીય અને ક્રુર કૃત્ય છે. યુપી દંભી ભાજપાઈઓના જુલ્મ હવે વધુ નહીં સહન કરે. આજ હાલ રહ્યા તો યુપીમાં ભાજપાઈ ન ગાડીથી ચાલી શકશે કે ન ઉતરી શકશે. 

Drugs Party: આખરે આ રીતે NCB ની પકડમાં આવ્યો બોલીવુડ બાદશાહનો લાડકો પુત્ર આર્યન, વાંચો રેડની ઈનસાઈડ સ્ટોરી

કોંગ્રેસનો દાવો- પ્રિયંકા ગાંધી ધરપકડ કરાયા
આ બધા વચ્ચે યુપી પોલીસે દાવો કર્યો છે કે પ્રિયંકા ગાંધીજીને હરગાંવથી ધરપકડ કરીને સીતાપુર પોલીસ લાઈન લઈ જવાઈ રહ્યા છે. કૃપા કરીને બધા ત્યાં પહોંચો. જ્યારે યૂથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસે ટ્વીટ કરીને કહ્યું કે 'આખરે એ જ થયું, જેની ભાજપ પાસેથી આશા હતી. મહાત્મા ગાંધીના લોકતાંત્રિક દેશમાં ગોડસેના ઉપાસકોએ ભારે વરસાદ અને પોલીસબળ સાથે સંઘર્ષ કરતા અન્નદાતાઓને મળવા જઈ રહેલા અમારા નેતા પ્રિયંકા ગાંધીજીની હરગાંવથી ધરપકડ કરી. આ તો લડાઈની ફક્ત શરૂઆત છે! કિસાન એક્તા જિંદાબાદ.'

સીએમ યોગી આદિત્યનાથે કરી મીટિંગ
લખીમપુર ખીરી મામલે યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગત રાતે હાઈલેવલ મીટિંગ કરી. મીટિંગમાં યુપીના ડીજીપી અને અધિક મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થી પણ હાજર રહ્યા હતા. સીએમ યોગીએ નિવેદન બહાર પાડીને હિંસા પર દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું કે તપાસ થશે અને દોષિતોને છોડવામાં નહીં આવે. સીએમ યોગીએ લોકોને ઉક્સાવવામાં ન આવવાની અપીલ કરી છે. હિંસા બાદ લખીમપુરમાં ઈન્ટરનેટ સેવાને બંધ કરવાનો દાવો થઈ રહ્યો હતો પરંતુ જિલ્લાધિકારીએ તેનો ઈન્કાર કર્યો છે. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર અને આઈજી લખીમપુર ખીરીમાં હાજર છે. 

Farmers Protest: લખીમપુર હિંસામાં 8 લોકોના મોત, સ્થિતિ તણાવપૂર્ણ, ઈન્ટરનેટ સેવા બંધ

પોલીસે બીએસપી નેતા સતીષ ચંદ્રને રોક્યા
પ્રિયંકા ગાંધી અગાઉ બીએસપી મહાસચિવ સતીષચંદ્ર મિશ્રાએ પણ પોતાના લખનૌ સ્થિત ઘરેથી લખીમપુર ખીરી જવાની કોશિશ કરી પરંતુ પોલીસે તેમને તેના ઘરથી દૂર જવા દીધા નહીં. સતીષચંદ્ર મિશ્રાએ પોલીસકર્મીઓને રોકવા બદલ સવાલ પણ પૂછ્યા. પોલીસે જવાબ આપ્યો કે લખીમપુર ખીરીમાં શાંતિ ભંગ થવાની આશંકાના કારણે તેમને જવાની મંજૂરી નથી. 

શું છે આ સમગ્ર મામલો?
લખીમપુર ખીરીમાં હેલિપેડ પર ધરણાથી શરૂ થયેલું ખેડૂતોનું પ્રદર્શન  હિંસક બની ગયું જેમાં 8 લોકોના મોત થયા. હકીકતમાં રવિવારે લખીમપુર ખીરીમાં યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય મુલાકાત કરવાના હતા. કેશવપ્રસાદ મૌર્ય લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના ગામ જઈ રહ્યા હતા. અજય મિશ્રા ટેનના પુત્ર આશીષ મિશ્રા કેશવ પ્રસાદ મૌર્યને રિસિવ કરવા પહોંચ્યા હતા પરંતુ ત્યાં પહેલેથી જ ખેડૂતો હાજર હતા જે કેશવ પ્રસાદનો વિરોધ કરવા માટે ભેગા થયા હતા. 

ત્યારબાદ ખેડૂતોએ અજય મિશ્રા ટેનીના પુત્રનો વિરોધ શરૂ કરી દીધો અને પછી ખેડૂતોએ આ નેતાઓના કાફલાને રોકવાની કોશિશ કરી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાએ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કથિત રીતે ગાડી ચડાવી દીધી. લખીમપુરમાં તણાવ જોતા પ્રશાસને ઘટનાસ્થળના 20 કિમીના દાયરામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ADG લો અને ઓર્ડર સહિત પોલીસના સીનિયર ઓફિસરોને ઘટનાસ્થળે મોકલ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More