Home> India
Advertisement
Prev
Next

'ગૂમ' થઈ ગયા ઝારખંડના CM હેમંત સોરેન! શોધી રહી છે ED ની ટીમ, BMW કાર કરી જપ્ત 

ઈડી હેમંત સોરેનનો સંપર્ક કરી શકી નથી. આવામાં ઈડી દિલ્હીમાં હેમંત સોરેનના આવાસ પર પહોંચી અને લગભગ 13 કલાક સુધી ડેરો જમાવીને બેઠી. બાદમાં તે પોતાની સાથે કાર લેતી ગઈ. ઝારખંડમાં મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપનો આરોપ છે કે હેમંત સોરેન ગૂમ થઈ ગયા છે. જ્યારે હેમંત સોરેનના પરિવારનું કહેવું છે કે આ તેમને બદનામ કરવાનું એક સુનિયોજિત ષડયંત્ર છે. 

'ગૂમ' થઈ ગયા ઝારખંડના CM હેમંત સોરેન! શોધી રહી છે ED ની ટીમ, BMW કાર કરી જપ્ત 

ઈડીએ સોમવારે આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની લગભગ 9 કલાક જેટલી મેરેથોન પૂછપરછ કરી. જમીન કૌભાંડ સંબ્ધિત એક મની લોન્ડરિંગ કેસમાં ઈડી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ હવે આ મામલે ઘેરાતા જોવા મળી રહ્યા છે. ઈડીની ટીમે સોમવારે સોરેનના દિલ્હીના શાંતિ નિકેતનમાં આવેલા ઘર સહિત 3 ઠેકાણે સવારે 7 વાગ્યાથી દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. જે મોડી રાત સુધી ચાલી. ઈડીની ટીમને ત્યાં સોરેન તો ન મળ્યા પરંતુ જતી વખતે ટીમ તેમની બીએમડબલ્યુ કાર સાથે લેતી ગઈ. જે કારને ઈડીએ જપ્ત કરી તે હરિયાણાના નંબર પ્લેટવાળી છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ ઈડી હેમંત સોરેનનો સંપર્ક કરી શકી નહતી. આવામાં ઈડી દિલ્હીમાં હેમંત સોરેનના આવાસ પર પહોંચી અને લગભગ 13 કલાક સુધી ડેરો જમાવીને બેઠી. બાદમાં તે પોતાની સાથે કાર લેતી ગઈ. ઝારખંડમાં મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપનો આરોપ છે કે હેમંત સોરેન ગૂમ થઈ ગયા છે. જ્યારે હેમંત સોરેનના પરિવારનું કહેવું છે કે આ તેમને બદનામ કરવાનું એક સુનિયોજિત ષડયંત્ર છે. 

હેમંત સોરેનના પરિવારના એક સભ્યએ ઓળખ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે હેમંત સોરેને ઈડી સાથે સતત સંપર્ક રાખ્યો છે અને 31 જાન્યુઆરીએ બપોરે 1 વાગે પોતાના આવાસ પર નિવેદન નોંધાવવાની ઈચ્છા પણ જતાવી ચૂક્યા છે. આમ છતાં ખોટો વિમર્શ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઈડીના ધિકારી દિલ્હી પોલીસકર્મીઓની સાથે સવારે લગભગ 9 વાગે દક્ષિણ દિલ્હીમાં 5/1 શાંતિ નિકેતન ભવન પહોંચ્યા હતા. ઈડીના અનેક અધિકારીઓ રાતે લગભગ સાડા 10 વાગે પરિસરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા. 

શું ફરાર થઈ ગયા સોરેન?
સૂત્રોએ જણાવ્યું કે તપાસ એજન્સીએ સોરેનના ઘરેથી હરિયાણાના રજિસ્ટ્રેશનવાળી એક BMW કાર જપ્ત કરી છે. આ ઉપરાંત ઘરની તપાસ દરમિયાન મળેલા કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે. સોરેન 27 જાન્યુઆરીના રોજ રાંચીથી દિલ્હી માટે રવાના થયા હતા. તેમની પાર્ટીએ સોમવારે કહ્યું કે તેઓ અંગત કામ માટે ગયા છે અને પાછા ફરશે. જો કે ભાજપની ઝારખંડ શાખાએ સોમવારે દાવો કર્યો કે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન ઈડીની કાર્યવાહીના ડરથી છેલ્લા 18 કલાકથી ફરાર છે અને તેમણે રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને આ મામલો ગંભીરતાથી લેવાનો આગ્રહ કરતા કહ્યું કે ઝાંરખંડની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા દાવ પર છે. 

અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે ઈડીએ કથિત જમીન કૌભાંડ મામલે 20 જાન્યુઆરીના રોજ સોરેનની રાંચીમાં તેમના અધિકૃત ઘરે પૂછપરછ કરી હતી અને તેમને નવું સમન પાઠવતા એ જણાવ્યું હતું કે તેઓ પૂછપરછ માટે 29 જાન્યુઆરી કે પછી 31 જાન્યુઆરીએ ક્યારે આવશે. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે સોરેને એજન્સીને એક પત્ર મોકલ્યો હતો પરંતુ પૂછપરછ માટે દિવસ કે તારીખ જણાવી નહતી. સોરેને ઈડીને રવિવારે મોકલેલા ઈમેઈલમાં તેમના પર રાજ્ય સરકારના કામકાજમાં વિધ્ન નાખવા માટે રાજનીતિક એજન્ડાથી પ્રેરિત થવાનો આરોપ પણ લગાવ્યો અને દાવો કર્યો કે 31 જાન્યુઆરીએ કે તેનાથી પહેલા તેમનું નિવેદન ફરીથી નોંધવાની ઈડીની જીદથી દુર્ભાવના છલકી રહી છે. 

શું ઝારખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે?
મુખ્યમંત્રી કાર્યાલયએ ઘટનાક્રમ પર ચૂપ્પી સાધી રાખી છે. જ્યારે ઝારખંડના રાજ્યપાલ રાધાકૃષ્ણનને કહ્યું તે તેઓ મુખ્યમંત્રી હેમંત સોરેનને ઈડીના સમન મળવા સંલગ્ન રાજ્યની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પત્રકારોએ રાજ્યપાલને પૂછ્યું કે રાજ્યમાં રાજનીતિક સ્થિતિને ધ્યાનમાં રાખીને શું રાજભવન માટે તમામ વિકલ્પો ખુલ્લા છે તો તેમણે કહ્યું કે હું બંધારણના રક્ષક તરીકે સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યો છું, એ રાજ્યપાલનું કર્તવ્ય છે અને હું તેને નિભાવી રહ્યો છું. સમય આવશે ત્યારે નિર્ણય લઈશ. 

JMM ના મહાસચિવ અને પ્રવક્તા સુપ્રીયો ભટ્ટાચાર્યએ આરોપ લગાવતા કહ્યું કે મુખ્યમંત્રી અંગત કારણસર દિલ્હી ગયા હતા અને તેઓ પાછા આવી જશે. પરંતુ ઈડીની કાર્યવાહી બિનજરૂરી અને ગેરબંધારણીય છે. એવું લાગે છે કે આ પગલું રાજનીતિથી પ્રેરિત છે. જો કે ભાજપના નેતાઓએ પૂછ્યું કે મુખ્યમંત્રી ક્યા છે. ઝારખંડ ભાજપના અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે "મીડિયા સૂત્રોના જણાવ્યાં મુજબ મોડી રાતે હેમંતજી ચપ્પલ પહેરીને અને ચાદર ઓઢીને ચહેરો ઢાંકી દિલ્હી સ્થિત પોતાના ઘરેથી પગપાળા જ નીકળી ગયા. તેમની સાથે દિલ્હી ગયેલા વિશેષ શાખાના સુરક્ષાકર્મી અજયસિંહ પણ ગૂમ છે."

40 કલાક બાદ જોવા મળ્યા
જો કે લગભગ 40 કલાક બાદ હેમંત સોરેન રાંચી પહોંચી ગયા છે. તેઓ અચાનક દિલ્હીમાંથી ગાયબ થતા અટકળોનું બજાર ગરમ થયું હતું. ઈડી તેમની પૂછપરછ કરવા માંગે છે. જો કે સીએમ સચિવાલયે ઈડીને મેઈલ પર જણાવ્યું છે કે સોરેન 31 જાન્યુઆરીએ હાજર થશે. ઈડી અત્યાર સુધીમાં 10 સમન પાઠવી ચૂકી છે. એવી પણ ચર્ચા છે કે ઈડી હેમંત સોરેનની ધરપકડ  કરી શકે છે. જેનાથી બચવા માટે તેઓ કાનૂની રસ્તા શોધી રહ્યા છે અને અચાનક ગાયબ થઈ ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More