નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તરફથી બોલાવાયેલી સર્વપક્ષીય બેઠક પછી કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું કે, અમે ભારતીય સેનાના પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ. આતંકવાદના સફાયા માટે અમે હંમેશાં સમર્થન આપ્યું છે. આ એક એવું ઓપરેશન હતું, જેમાં વિશેષ રીતે આતંકવાદીઓ અને આતંકી શિબિરોને નિશાન બનાવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પર ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ કેન્દ્ર સરકાર દ્વારા એક સર્વપક્ષીય બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં વિદેશમત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના શિબિરો પર ભારતીય વાયુસેનાએ કરેલા હવાઈ હુમલા અંગે માહિતી આપવામાં આવી હતી.
સર્વપક્ષીય બેઠકમાં સરકારે જણાવ્યું કે, "આ સૈનિક નહીં પરંતુ એન્ટી-ટેરર ઓપરેશન હતું." બેઠક પછી વિરોધ પક્ષે કહ્યું કે, આ કાર્યવાહી જરૂરી હતી. આ મુદ્દે દરેક પક્ષોનું સરકારને સમર્થન છે. વિરોધ પક્ષે ભારતીય વાયુસેનાને અભિનંદન પાઠવ્યા હતા.
હુમલાથી ભયભીત પાકે. પ્રજા અને સેનાને કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું
ઉલ્લેખનીય છે કે, મંગળવારે વહેલી પરોઢે 3.30 કલાકે ભારતીય વાયુદળના 12 મિરાજ વિમાને 1000 કિલોના બોમ્બ સાથે પીઓકેમાં એલઓસી પર આવેલા બાલાકોટ, ચાકોઠી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકી તાલીમી ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો. મિરાજ વિમાનમાંથી કુલ 6 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલામાં 200થી 300 આતંકીનાં મોત થયાના અને અનેક આતંકવાદી ઠેકાણા તથા લોન્ચપેડનો સફાયો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે