Home> Gujarat
Advertisement
Prev
Next

વિશ્વ હિંદુ પરિષદે અમદાવાદમાં પોતાની શૌર્ય જાગરણ યાત્રામાં કયા મુદ્દે કર્યો હુંકાર?

ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા VHPએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ કરી માગ. કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈને કહ્યું- અમદાવાદ નામ સ્વીકાર્ય નથી. ઝડપથી નામ બદલે સરકાર. 

વિશ્વ હિંદુ પરિષદે અમદાવાદમાં પોતાની શૌર્ય જાગરણ યાત્રામાં કયા મુદ્દે કર્યો હુંકાર?

ઝી બ્યુરો/અમદાવાદ: વિશ્વ હિંદુ પરિષદે અમદાવાદમાં યોજેલી શૌર્ય જાગરણ યાત્રામાં ઘણા હુંકાર કર્યા છે. લવ જેહાદ સાથે સંકળાયેલા તત્વોને વીએચપીએ ચેતવણી આપી છે. સાથે જ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની પણ માગ કરાઈ છે.

વિશ્વ હિંદુ પરિષદે ફરી હુંકાર કર્યો છે. અમદાવાદનું રિવરફ્રન્ટ પર વિશ્વ હિંદુ પરિષદની શૌર્ય જાગરણ યાત્રા નિમિત્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન તેમજ ઘણા સાધુ સંતો હાજર હતા. કાર્યક્રમમાં વીએચપી, બજરંગ દળ અને સાધુ સંતોએ અનેક મુદ્દે સ્પષ્ટ વાત કરી. જેમાંથી એક વાત હતી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની. સુરેન્દ્ર જૈને રાજ્ય સરકાર સમક્ષ આ માગ દોહરાવી છે. આ માટે તેમણે કારણો પણ રજૂ કર્યા. તેમણે અમદાવાદ નામ સામે વાંધો ઉઠાવ્યો.

સુરેન્દ્ર જૈનના શબ્દો એક રીતે સરકાર માટે અલ્ટીમેટમ સમાન હતા. જો કે સરકારના વખાણ કરીને તેમણે પોતાની આક્રમકતાને વાળી પણ લીધી. જો કે તેઓ અહીં જ ન અટક્યા. તેમણે લવ જેહાદ સાથે સંકળાયેલા તત્વોને પણ ચીમકી આપી છે. સરકારને લવજેહાદ વિરોધી કાયદાનું સખ્તાઈથી પાલન કરવાની અપીલ કરી, સાથે જ એવી એવી ચીમકી પણ આપી કે જરૂર પડશે તો વીએચપી-બજરંગ દળ કાયદો હાથમાં લેતાં પણ નહીં ખચકાય.

નવરાત્રિ હવે દૂર નથી ત્યારે સુરેન્દ્ર જૈને ગરબાના આયોજનોમાં લવ જેહાદ સામે સતર્ક રહેવાની લોકોને અપીલ કરી છે. સાથે જ તેમણે આયોજકો અને હિંદુ સંગઠનોને કેટલાંક પગલા લેવા પણ કહ્યું છે, જેમાં લોકોનાં આધાર કાર્ડ ચેક કરવા અને ખેલૈયાઓના માથા પર તિલક લગાવવા જેવા સૂચનોનો સમાવેશ થાય છે.

વીએચપીના આ કાર્યક્રમમાં એલિસબ્રિજ બેઠકથી ભાજપનાં ધારાસભ્ય અને શહેરનાં પૂર્વ મેયર અમિત શાહ પણ હાજર હતાં. વાત જ્યાં સુધી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની છે, તો આ મુદ્દે રાજકારણમાં કોઈ સક્રિયતા જણાતી નથી. આ મુદ્દો ફક્ત વીએચપીની માગ પૂરતો મર્યાદિત છે. વાત જ્યાં સુધી ગરબાના આયોજનોની છે, તો જોવું એ રહેશે કે વ્યવસ્થા વીએચપીની માગ પ્રમાણેની રહે છે કે કેમ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More