હાર્દિક દિક્ષીત/વડોદરા :કોરોનાની ગાઈડલાઈનને સૌથી વધુ ભંગ કરનારાઓમાં ગુજરાત ભાજપના નેતાઓ ટોચ પર છે એવુ કહી શકાય. વારંવાર પક્ષના કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance) ના ધજાગરા ઉડતા જોવા મળે છે. આવા કાર્યક્રમો પર પક્ષના મોવડીઓ દ્વારા કોઈ લગામ લગાવવામાં આવતી નથી. ત્યારે ફરી એક વાર ભાજપના નેતાઓએ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા છે. વડોદરામાં ભાજપ કાર્યાલયના ઉદ્દઘાટનમાં નેતાઓ અને કાર્યકર્તાઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. છતાં કોઈ તકેદારી રાખવામાં ન આવી.
વડોદારમાં વાઘોડિયા રોડ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ વિજય શાહ અને ધારાસભ્ય મનીષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વડોદારના પ્રમુખને આવકારવાના ઉત્સાહમાં ટ્રાફિક પણ રોકી દેવાયો હતો. પરંતુ કાર્યકર્તાઓ ટસના મસ થયા ન હતા. ટોળે વળીને નવા કાર્યાલનું ઉદઘાટન કરાયું હતું. બીજી તરફ, શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ ખુદ વારંવાર લોકોને સાવચેત રહેવાની સલાહ આપી ચૂક્યા છે. પરંતુ વારંવાર એમની હાજરીમાં જ નિયમોનો ભંગ થઈ રહ્યો છે. ઉત્તરાયણની પાબંદી વચ્ચે નેતાઓને છૂટ કેવી રીતે મળે છે તે મોટો પ્રશ્ન છે. ત્યારે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે.
એક તરફ સરકાર ઉત્તરાયણના તહેવાર પર માર્ગદર્શિકા જાહેર કરીને લોકો માટે નિયમો મૂકે છે. લોકોની ભીડ ભેગી થવા પર પ્રતિબંધ મૂકે છે. પરંતુ વાત જ્યારે પોતાના કાર્યક્રમોની આવે તો આ તમામ નિયમો અભરાઈએ ચઢી જાય છે. સરકારના આ બેવડા વલણ પર લોકો પણ વારંવાર રોષ પ્રગટ કરી ચૂક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે