અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત યુનીવર્સિટીમાં આવેલી રસાયણશાસ્ત્ર વિભાગના તજજ્ઞોના સંયુક્ત પ્રયાસથી મલેરિયા અને ટીબીના જીવાણુને મારી શકાય એટલે કે મલેરિયા અને ટીબીના રોગોને વધતો અટકાવી શકાય અથવા નાબૂદ કરી શકાય છે તેવી પેટન્ટના હક્કો આપવામાં આવ્યા છે. ઈન્ડિયન પેટન્ટ ઓફિસ (IPO) તરફથી પેટન્ટ અરજી કરેલ તારીખથી આગામી 20 વર્ષ માટે આ પેટંટના હક્કો આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પરીક્ષણ કરનાર પ્રો. હિતેશ ડી. પટેલ અને એમની ટીમના સદસ્ય ડૉ. મનોજ ભોઇ, ડૉ. મયુરી બોરડ, ડૉ. એડવિન પિથાવાલા અને સહયોગી ડૉ.ધનજી રાજાની, માઈક્રોકેર લેબ, સુરતના સંયુક્ત પ્રયાસથી ડાયહાઈડ્રોસ્પાઇરો કેમિકલ્સના વ્યુત્પનો બનાવવામાં આવ્યા હતા. આ લેબમાં બનાવેલા કેમિકલ્સના માઈક્રોકેર લેબ ખાતે એન્ટિ-મેલેરીયલ અને એન્ટિ-ટ્યૂબેર્કુલોસિસ એક્ટિવિટી માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આમ લેબોરેટરીમાં મળેલ સફળતાના આધારે ગુજરાત યુનિવર્સિટીની ટીમ દ્વારા જાન્યુયારી, 2016માં ઈન્ડિયન પેટન્ટ ઓફિસ (IPO) ખાતે પેટન્ટ માટે અરજી કરવામાં આવી હતી. સઘન અભ્યાસબાદ આઇપીઓ દ્વારા પેટન્ટ નં. 321600ને 26, સપ્ટેમ્બર 2019ના રોજ માન્યતા/ગ્રાન્ટ આપવામાં આવી છે. આઇપીઓ દ્વારા આ પેટંટને, પેટન્ટ અરજી કરેલ તારીખથી આગામી 20 વર્ષ માટે પેટંટના હક્કો આપવામાં આવ્યા છે.
દવા તરીકેના ગુણોના વધુ અભ્યાસ પછી ભવિષ્યમાં મલેરિયા કે ટીબી જેવા રોગોને નાથવા કાબૂમાં લેવા આ લેબમાં બનાવેલ કેમિકલ્સ કામમાં આવી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ગુજરાત યુનિવર્સિટી ટીમની આ દ્વિતીય પેટન્ટ સિદ્ધિ છે. હાલ તો આ ટીમ દ્વારા વધુ 6 પેટન્ટ માટે અરજી પણ કરવામાં આવી છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે