બ્રિજેશ દોશી/અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં વધુ એક મોટા ચહેરાની એન્ટ્રી થઇ શકે છે. રાજ્યસભાના 2 સાંસદો અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીના લોકસભા ચૂંટણી જીત્યા બાદ હવે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપના ઉમેદવારોને લઇને અત્યારથી જ ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. 2 રાષ્ટ્રીય નેતાઓ લોકસભા સાંસદ બનતા તેમના સ્થાને રાષ્ટ્રીય ચહેરાને જ ઉતારવાની ભાજપની વિચારણા છે. જેના કારણે કેન્દ્રીય વિદેશમંત્રી ડો. એસ.જયશંકરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.
કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરને પ્રધાનંમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટમાં સ્થાન તો આપ્યું પરંતુ તેઓ લોકસભા કે રાજ્યસભાના સાંસદ નથી ત્યારે તેમને 6 મહિનાની અંદર 2 માંથી એક ગૃહમાંથી ચૂંટાવવું ફરજિયાત છે. તેવા સંજોગોમાં ભાજપ તેમને રાજ્યસભામાંથી મોકલી શકે તેમ છે. ગુજરાતની ખાલી પડનારી 2 બેઠકમાંથી એક બેઠક ભાજપની નિશ્ચિત છે ત્યારે એ બેઠક પરથી કેન્દ્રીય વિદેશમંત્રીને મોકલવા હાલ વિચારણા ચાલી રહી છે.
જો કે નામની સત્તાવાર જાહેરાત તો ચૂંટણીની જાહેરાત બાદ કરાશે. એ વાત નિશ્ચિત મનાઇ રહે છે કે જો રાષ્ટ્રીય નેતાને ગુજરાતથી મોકલવામાં આવે તો એ નામ ડો. એસ. જયશંકરનું જ હશે અને ભાજપ ગુજરાતમાંથી રાષ્ટ્રીય નેતાઓ રાજ્યસભામાં મોકલતો રહ્યો છે.
બે રાષ્ટ્રીય નેતાઓએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યા બાદ તેમની ખાલી જગ્યા પણ રાષ્ટ્રીય નેતા જ ભરશે તેવો સંજોગોમાં ડો.એસ. જયશંકરની જાહેરાત ઔપચારિકતા પણ ગણી શકાય. જો કે બીજી બેઠકને લઇને હજુ પણ અસમજસ યથાવત છે કારણ કે, કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ભાજપ બંને બેઠકોની ચૂંટણી સાથે લાવવા માંગતો નથી એટલા માટે સ્મૃતિ ઇરાનીએ હજુ સુધી રાજીનામું આપ્યું નથી. એક જ બેઠક ખાલી પડી છે અને આ જ કારણોસર કોંગ્રેસ કાયદાકીય લડતની પણ વિચારણા કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે