અતુલ તિવારી/અમદાવાદ :આ વર્ષનું પહેલુ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકવાનું છે. તૌકતે વાવાઝોડ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આજે સવારે લક્ષદ્વીપ વિસ્તારમાં ડિપ્રેશન બની ગયું છે. આગામી 12 કલાકમાં ડિપ-ડિપ્રેશન બનશે અને આવતીકાલે સાયક્લોન (Tauktae cyclone) માં તબદીલ થશે. ગુજરાતના દરિયાઈ વિસ્તાર ખાતે 18 તારીખે સવારે વાવાઝોડું પહોંચશે.
આ વાવાઝોડા વચ્ચે દરિયા કાંઠાના તમામ માછીમારોને પરત ફરવાની સૂચના આપી દેવાઈ છે. તેમજ 16 તારીખથી દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે. વાવાઝોડાની અસર રૂપે દક્ષિણ અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. અદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
જામનગરમા 185 બોટ હજી પણ કાઁઠે ફરી નથી
જામનગરમા હજી પણ 185 જેટલી માછીમારી બોટ દરિયામાં છે. અત્યાર સુધી 37 જેટલી બોટો દરિયાકાંઠે આવી ગઈ છે. જામનગરમાં કુલ 222 જેટલી માછીમારી બોટ છે. જેમાંથી 185 જેટલી માછીમાર બોટ દરિયાકાંઠે આવવાની બાકી છે. જામનગરમાં તૌકતે સાયક્લોનની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યુ છે. દરેક તાલુકામાં કલાસ-1 અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરાઈ છે. રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ બનાવાયો છે. જેમાં આશ્રયસ્થાનો, નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર, વીજ પુરવઠો, દવાઓ, બચાવ અને રાહત કામગીરી સહિતના મુદ્દે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો : ચાર વખત કસુવાવડનો ભોગ બનેલી મહિલાના ખોળામાં તબીબોએ બાળકને રમતો કરી દીધો
જાફરાબાદની 700 જેટલી બોટ મધદરિયામાં સંપર્કવિહોણી
અમરેલીમાં વાવાઝોડાને લઈ જાફરાબાદના માછીમારોને બોટ સાથે પરત બોલાવવા સૂચના ગઈ કાલે આપી દેવાઈ હતી. જાફરાબાદની 700 જેટલી બોટો હજુ પણ મધદરિયામા છે. જેમનો સંપર્ક નથી થઈ રહ્યો. બોટ એસોસિએશન પ્રમુખ કનેયાલાલ સોલંકીએ જણાવ્યું કે, સરકારને વાંરવાર રજૂઆતો કરી વરસાદી વાતાવરણમા વાયરલેસ બંધ થાય છે. જેના કારણે બોટો સમયસર પહોંચતી નથી. સેટેલાઈટ ફોન હોય તો તાત્કાલિક દરિયાકાંઠે માછીમારો બોટો સાથે પહોંચી શકે છે. માછીમારોનો સંપર્ક નહિ થતા બોટ એસોસિએશન સહિત માછીમારો ચિંતામાં મૂકાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે