Talati Exam 2023 : અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે તલાટી-કમ-મંત્રીની પરીક્ષા યોજાશે. 3 હજાર 437 જગ્યાઓ માટે 8 લાખ 64 હજાર 400 ઉમેદવારો પરીક્ષા આપશે. ઉમેદવારો સરળતાથી પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે વધારાની બસો અને 7 ટ્રેનોની વ્યવસ્થા કરાઈ છે. દરેક ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરે ત્યારે ઉમેદવારના કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવશે. આ ઉપરાંત અસામાજિક તત્ત્વો સામે ચાંપતી નજર રાખવામાં આવશે. જો ગેરરીતિ સામે આવશે તો નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પેપરની સલામતી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ સમયે ઉમેદવારના કોલ લેટરની તપાસ કરવામાં આવશે. તો પરીક્ષાના સમય સુધી ઝેરોક્ષની દુકાનો બંધ રાખવામાં આવશે. સાથે જ પરીક્ષા સમયે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે ખોદકામ પર પણ પ્રતિબંધ મુકાયો છે. પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરેક પરીક્ષા કેન્દ્રને CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે અને કેમેરાથી તમામ પરીક્ષાર્થીઓ પર નજર રાખવામાં આવશે.
પરીક્ષાના ખાસ નિયમો
- ઉમેદવારોને પરીક્ષામાં ઈલેક્ટ્રિક સાધનો, સ્માર્ટ વોચ તથા ઈયર ફોન પર પ્રતિબંધ છે.
- સાદી કાંડા ઘડિયાળ પહેરીને અંદર લઈ જઈ શકે છે. જો સાદી ઘડિયાળ પહેરેલા ઉમેદવારને કેન્દ્રમાં ક્યાંક રોકવામાં આવે તો કોલ લેટર પર લખાયેલો નિયમ બતાવી શકે છે.
- ઉમેદવાર વાહન લઈને આવ્યા હોય તો તેની ચાવી પણ પરીક્ષા કેન્દ્રમાં લઈ જવામાં નહિ દેવાય. કેમ્પસમાં દરવાજા પાસે ચાવી મૂકાવડાવી દેવાશે.
- સામાન મૂકવાની પણ વ્યવસ્થા પણ બહાર કરાઈ છે. જ્યાં કેન્દ્રની બહાર પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે તેઓ દરવાજા પાસે થેલા મૂકાવશે. પરીક્ષા બાદ બેગ ઉમેદવારો પરત લઈ જઈ શકશે.
- પ્રવેશતા સમયે બુટચંપલ કાઢીને ચેકિંગ કરાવાશે. વર્ગખંડમાં બૂટચંપલ લઈ શકશે નહિ
- દોઢ વાગે પરીક્ષા પૂરી ન થાય ત્યા સુધી ઉમેદવાર ક્લાસ છોડી શકશે નહિ
- વિકલાંગો માટે અગવડ ન પડે તે માટે જિલ્લામાં જ કેન્દ્ર ફાળવાયા છે
ઉમેદવારોના મદદ માટે હેલ્પલાઈન
સુરક્ષા વિશે તેમણે કહ્યું કે, ડમી ઉમેદવાર પકડાય તે માટે વ્યવસ્થા કરાઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાની જેમ આ પરીક્ષામાં પણ વીડિયોગ્રાફી કરાશે, બોડીવોર્ન કેમેરાથી વીડિયોગ્રાફી કરાશે. ઉમેદવારોનું બધુ ચેક કરાશે, કંઈક શંકાસ્પદ જણાશે છતાં તેને પરીક્ષા આપવામાં દેવાશે, પરંતુ પરીક્ષા કેન્દ્ર બાદ તેની ચકાસણી થશે. ઉમેદવારોને કોઈ પણ મુશ્કેલી હોય તો હેલ્પલાઈન રાજ્ય અને જિલ્લા કક્ષાએ ચાલુ રખાઈ છે. 8758804212, 8758804717 નંબર પર સંપર્ક કરી શકાશે. કેન્દ્રો માટે કોઈ મુશ્કેલી થાય તો જિલ્લા કક્ષાના હેલ્પલાઈન પર સંપર્ક કરવો. કારણ કે તે જિલ્લા વાઈઝ કેન્દ્ર ફાળવાયા છે. આ ઉપરાંત ચાર કેન્દ્રોમાં ફેરફાર કરાયા છે તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
આજની પરીક્ષાને લઈ તંત્રએ ખાસ તૈયારીઓ કરી છે. એસ.ટી. અને રેલવે દ્વારા પણ ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તે માટે બસ અને રેલવેની સુવિધા કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે