તેજશ મોદી/સુરત: સુરતના ઉમરવાડા વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉન મહાનગરપાલિકાના લિંબાયત ઝોનન આધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવ્યા હતા. ગોડાઉન સીલ કરવામાં આવતા અનેક લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે, તો સાથે જ દરોરોજનું 20 લાખનું ટર્ન ઓવર ધરાવતો ઘંધો પણ બંધ થઇ ગયો છે. ત્યારે ટ્રાન્સપોર્ટ માલિકોએ મનપાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. સાથે જ સમગ્ર મામલે કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા છે.
સુરતનું કાપડ દેશના અલગ અલગ રાજ્યોમાં રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવે છે, જેના માટે શહેરમાં અનેક ગોડાઉન બનાવવામાં આવ્યા છે. વષોથી ચાલી રહેલા આ ગોડાઉન પર ગત 19મી જાન્યુઆરીના રોજ મનપાના લિંબાયત ઝોનના અધિકારીઓ ત્રાટક્યા હતાં. અધિકારીઓએ અહી આવેલા 58 જેટલા ગોડાઉનોને સીલ મારી દીધું હતું. ટ્રાફિકની અડચણ સહિતના કારણો આપી ગોડાઉન સીલ કરવામાં આવ્યા હતા. ગોડાઉન સીલ કરવામાં આવતા અનેક લોકો બેરોજગાર થયા છે.
ઉમરવાડા ખાતે આવેલા ગોડાઉનમાંથી દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં અંદાજે 200 જેટલી ટ્રકો કાપડની ડિલીવરી કરે છે. ગોડાઉન સીલ થઇ જતા, આ આખી કામગીરી ખોરવાઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટ ગોડાઉનના માલિકોનો દાવો છે કે, દરરોજ અહીં થી 200થી વધું ટ્રકમાં કાપડ ડિલીવરી કરવાના કારણે અંદાજે 20 લાખ ઉપરનું ટર્ન ઓવર ધરાવતો ધંધો બંધ થઇ ગયો છે.
સુરત મનપા એક તરફ એવું કહી રહી છે, કે સ્માર્ટ સીટી અંર્તગત શહેરની અંદરના ભાગમાં કોઈ પણ ટ્રાન્સપોર્ટ ગોડાઉન ન હોવા જોઈએ, જોકે ઉમરવાડાના ટ્રાન્સપોર્ટ ગોડાઉન સીલ કરવામાં આવ્યા છે, પરતું અહીંની આસપાસના વિસ્તારોમાં આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉન હજુ પણ ચાલી રહ્યા છે, તો શા માટે માનપા આ પ્રકારે ભેદભાવ રાખી રહી છે?
ટ્રાન્સપોર્ટ ગોડાઉનના માલિક સતીશ શેખાવત અને અભય શર્મા ઝી 24 કલાક સાથેની વાતાચીતા કહ્યું હતું કે, આ સમગ્ર ઘટનામાં જમીન માફિયાઓના ઈશારે મનપા કામ કરી રહી હોવાનું લાગી રહ્યું છે, કારણ કે આ જમીનોની કિંમત કરોડોની છે, ત્યારે જો ટ્રાન્સપોર્ટ ગોડાઉન સીલ મારવામાં આવે તેથી તેઓ ધંધો ન કરી શકે, ધંધો બંધ થતા તમામે શહેરની બહાર પોતાનો ધંધો લઇ જવો પડે, ત્યારે આ ગોડાઉન વેચી ત્યાં કાપડ બજાર બનાવવામાં આવે, આમ અમને અહીંથી કાઢી કરોડોનો ખેલ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે.
અમારો ધંધો બંધ થતા માત્ર ટ્રાન્સપોટરોજ નહીં પરતું તેની સાથે જોડાયેલા અનેક લોકો બેરોજગાર બન્યા છે. આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે, જેની સુનાવણી ૧૩મી જાન્યુઆરીના રોજ થશે. અમે પાલિકાને અપીલ કરીએ છે કે જો અમારા ગોડાઉન સીલ માર્યા છે તો અન્ય ગોડાઉન પણ સીલ કરવામાં આવે અથવા તો અમને પણ ધંધો કરવા દેવામાં આવે. જો અમારી માંગણી સ્વિકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અહિંસક આદોલન કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે