સુરતઃ સુરતમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. અત્યાર સુધી 600થી વધુ પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. ત્યારે મંગળવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. શહેરની નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી આઈસોલેશન વોર્ડમાંથી નાસી છૂટ્યો હતો. તે સવારે ભાગી ગયો હતો. આ ઘટનામાં તંત્રની બેદરકારી સામે આવી હતી. આ દર્દીને પકડવા પોલીસ પણ કામે લાગી હતી. પરંતુ આજે આ દર્દીનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની નજીકથી મળી આવ્યો છે. તો હવે હોસ્પિટલ દ્વારા તેના અંતિમ સંસ્કાર કરવાની સાથે તેના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તો હોસ્પિટલમાં સેનેટાઇઝનું કામ પણ કરવામાં આવ્યું છે.
મંગળવારે ભાગ્યો હતો દર્દી
શહેરમાં રેડઝોન જાહેર થયેલા માનદરવાજા ટેનામેન્ટનો પોઝિટિવ દર્દી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. આ પીડિતનું નામ ભગવાન હરીકૃષ્ણ રાણા જાણવા મળેલ છે. તેનો 21 એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દી ભાગી જવાની ઘટના બાદ લીંબાયત પોલીસને પણ જાણકરવામાં આવી હતી. હવે દર્દીનો મૃતદેહ મળતા તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
તો હોસ્પિટલના આરએમઓ ડો. કેતન નાયકે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દર્દી કઈ રીતે ભાગ્યો તેની તપાસ કરાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, જે ભાગમાંથી દર્દીનો મૃતદેહ મળ્યો ત્યાં સેનેટાઇઝની કામગીરી કરવામાં આવી છે. હાલ દર્દી કોના સંપર્કમાં આવ્યો તેની તપાસ કરીને તેનો પણ રિપોર્ટ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે