ચેતન પટેલ/સુરત: સુરતના જહાગીરપુરા વિસ્તારમા આવેલા એક ફાર્મ હાઉસ પાસે કોઇ નિસ્થુર માતા દ્વારા પોતાની નવજાત બાળકીને તરછોડી તેને બેગમા મુકી નાસી છુટી હતી. આસપાસના રહીશોને જાણ થતા જ બાળકીને 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામા આવી હતી.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પાર્થ ફાર્મ પાસેના સાંઈ પૂજન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા એક વડ નીચેથી એક બેગ મળી આવી હતી. બપોરના સમયે સખત ગરમીમાં એક રાહદારીને બાળકી રડવાનો અવાજ આવતો હતો. જેથી બેગ ખોલી તપાસ કરતા નવજાત બાળકી મળી આવી હતી. અને બેગમાંથી થાળી-વાટકા પણ મળી આવ્યા હતા.
બેગમાથી બાળકી મળ્યાની વાત વાયુવેગે પ્રસરતા લોકોમા કુતુહલ જાગ્યુ હતુ અને બાળકીને તરછોડનાર માતા સામે લોકો રોષ વરસાવી રહ્યા હતા. ત્યારબાદ 108ને જાણ કરવામાં આવતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બાળકીની પ્રાથમિક તપાસ કરતા તંદુરસ્ત હોવાનું જણાયું હતું.
દરમિયાન બેગની તપાસ કરતા 108 સાયણ લોકેશનની ગાડીની દર્દીની માહિતી ભરેલી સ્લીપ મળી આવી હતી. જેમાં દર્દીનું નામ નિશા આર. સોલંકી હતું. 22મીના રોજ જીવન રક્ષા હોસ્પિટલથી 108 સાયણની ગાડીમાં સગર્ભાને લઈને સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હોવાનો ઉલ્લેખ સ્લીપમાં કરવામાં આવ્યો છે. જેથી આ મહિલાએ બાળકી તરછોડી હોવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે