Home> Gujarat
Advertisement
Prev
Next

COVID-19ને ફેલાતો અટકાવવા ‘MEN’થી દૂર રહો અને ‘WOMEN’ને અનુસરો

‘COVID-19 હવે બે મહિનાથી વધુ જૂનો થયો છે. તાવ, શરદી, સૂકી ઉધરસ, શરીરમાં થાક કે સામાન્ય દુખાવો, માથું દુખવું, સ્વાદ અને સુગંધનો અનુભવ ન થવો, શ્વાસ લેવામાં તકલીફ કે ઝાડા-ઉલટી જેવાં સામાન્ય લક્ષણો ઉપરાંત અનેક કિસ્સામાં કોઈ લક્ષણ ન દેખાય એવું પણ બને છે.’

COVID-19ને ફેલાતો અટકાવવા ‘MEN’થી દૂર રહો અને ‘WOMEN’ને અનુસરો

ગાંધીનગર: રાજ્ય સરકાર સંચાલિત યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઑફ કાર્ડિયોલોજી ઍન્ડ રિસર્ચ સેન્ટરના માનદ નિયામક અને નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. આર.કે. પટેલ જણાવે છે કે, કોરોના એ તોફાની બાળક જેવો છે, તેને કાબૂમાં લેવા માટે અત્યંત સાવચેતીપૂર્વક વર્તવું પડશે. કોરોનાથી કે તેની સારવાર કરાવવાથી ડરવાની જરૂર નથી. તેઓ કોરોના સંક્રમણને અટકાવવા માટે સાત પગલાંની સરળ થિયરી આપે છે. આ માટેની ટિપ્સ આપતા તેઓ MEN અને WOMEN એવા ટૂંકાક્ષરોનો ઉપયોગ કરીને જણાવે છે કે MENથી દૂર રહો એટલે કે, મોંઢા – Mouth, આંખો- Eyes અને નાક – Noseને વારંવાર સ્પર્શવાનું ટાળો અને WOMENને અનુસરો એટલે કે, વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, માસ્ક પહેરવું, નિયમિત એક્સરસાઇઝ અને નકારાત્મકતાનો ત્યાગ કરવા જણાવે છે.

સામાન્ય નાગરિકોમાં કોરોના અંગે હજી પણ પ્રવર્તી રહેલી અસમંજસ અને ગૂંચવણ અંગે ડૉ. પટેલ જણાવે છે કે, ‘આજની સોશિયલ મીડિયાની દુનિયામાં આપણી પાસે કોરોનાને લગતી અઢળક માહિતી આવતી હોય છે, જેમાંથી સાચું શું અને ખોટું શું? એ બાબતે આપણે હંમેશાં ગૂંચવણમાં હોઈએ છીએ.’ ત્યારે કોરોના અંગે માહિતી આપતા તેઓ કહે છે કે, ‘COVID-19 હવે બે મહિનાથી વધુ જૂનો થયો છે. તાવ, શરદી, સૂકી ઉધરસ, શરીરમાં થાક કે સામાન્ય દુખાવો, માથું દુખવું, સ્વાદ અને સુગંધનો અનુભવ ન થવો, શ્વાસ લેવામાં તકલીફ કે ઝાડા-ઉલટી જેવાં સામાન્ય લક્ષણો ઉપરાંત અનેક કિસ્સામાં કોઈ લક્ષણ ન દેખાય એવું પણ બને છે.’

તેમણે જણાવ્યું કે, COVID-19એ તોફાની બાળક જેવો છે. જેમ ઘરના તોફાનીને આપણે અત્યંત સાવચેતીપૂર્વક કાબૂ કરીએ છીએ, એ જ રીતે આ વાઇરસને કાબૂમાં કરવા માટે પણ ખૂબ સાવચેતી રાખવી પડશે. કેવા પ્રકારની સાવચેતી રાખવી? તેનું ઉદાહરણ આપતા ડૉ. પટેલ જણાવે છે કે, ઘરમાં કે આસપડોશમાં કોઈને પણ જરા સરખા પણ COVID-19ના લક્ષણો હોવાનું જણાય, તો તરત તેને હોસ્પિટલે જવાની સલાહ આપવી જોઈએ. આજના સમયની આ જરૂરિયાત છે. આ જ માનવતાનું સૌથી મોટું ઉદાહરણ છે. કોરોનાથી ડરવાની કોઈ જરૂર નથી. જો આપણે તેનાથી ડરીને રહીશું, તો આ મહામારીને ખતમ કરવી વધારે મુશ્કેલ બની જશે.

ડૉ. આર.કે. પટેલ જણાવે છે કે, આ વાઇરસનો ઉપાય જ્યાં સુધી ન શોધાય, ત્યાં સુધી તેને નાથવો શક્ય નથી. એટલા માટે આપણે તેની સાથે જીવતાં શીખવું પડશે અને આ માટે સાવધાની એ જ એકમાત્ર ઉપાય છે. સાવચેતીનાં આ સાત પગલાં કયાં છે, તે અંગે ડૉ. પટેલ ઉમેરે છે: 

1. હાથની વારંવાર સફાઈ, સાબુ વડે 20 સેકન્ડ સુધી ધોવા અથવા સેનેટાઇઝરનો ઉપયોગ કરવો.
2. કોઈ પણ સપાટીને વારંવાર સ્પર્શ ન કરવો અને કોઈ જગ્યાએ સ્પર્શ કર્યા પછી હાથ વડે આંખ, નાક કે મોંઢાનો સ્પર્શ ન કરવો.
3. તમારી અંગત કે વ્યક્તિગત વસ્તુઓને અજાણી વ્યક્તિ સાથે શૅર ન કરવી.
4. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રોટીનવાળો ખોરાક લેવો અને વિટામિન – બી, સી, ડી તેમજ ઝિંક મળતું હોય, તેવા ખોરાકનું વધારે સેવન કરવું.
5. માસ્ક અચૂક પહેરવું. જો તમે દર્દીના સીધા સંપર્કમાં ન હો, તો N-95 માસ્ક ફરજિયાત નથી, કાપડનું માસ્ક પણ ચાલે.
6. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું. એટલે કે, અન્ય વ્યક્તિથી ઓછામાં ઓછું ત્રણ ફૂટનું અંતર જાળવવું.
7. બને ત્યાં સુધી જાહેરમાં ન થૂંકવું.

ખાસ કરીને વડીલો અને બ્લડ પ્રેશર, હૃદયની બીમારી, ડાયાબિટીસ, કેન્સર, દમ, કિડની અને લીવર જેવી બીમારીથી પીડાતા લોકોએ નિયમિત રીતે તેમના ડૉક્ટરની સારવાર લેતા રહેવી જોઈએ અને તેમની બીમારીને કાબૂમાં રાખવી જોઈએ.

દરમિયાન, કોરોનાની સામે ઝીંક ઝીલવા માટે ભારત સરકાર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્ય સરકાર, મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા લેવાયેલા અને લેવાઈ રહેલાં લોકડાઉન, ગરીબોને મફત અનાજ, કોવિડ હોસ્પિટલોની અલાયદી વ્યવસ્થા, આરોગ્ય સેતુ એપ, ટેસ્ટિંગ, સર્વેલન્સ, કોવિડ-19નું બંધારણ અને તેની રસી શોધવા માટે કરાઈ રહેલાં રિસર્ચ સહિતનાં સીમાચિહ્નરૂપી નિર્ણયોને ડૉ. આર.કે. પટેલે બિરદાવ્યા હતા.

તદુપરાંત, લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે ખડેપગે રહેતા પોલીસકર્મીઓ, આરોગ્યકર્મીઓ, સફાઈકર્મીઓ, મીડિયાકર્મીઓ ઉપરાંત તમામ સરકારી તંત્રોનો આભાર માનતા ડૉ. પટેલે જણાવ્યું કે, આપણે સાથે મળીને જ આ જંગ જીતી શકીશું. તેમણે કોરોના વૉરિયર એવા આરોગ્યકર્મીઓને કોરોનાથી ડર્યા વિના પૂરતી સેફ્ટી અને તકેદારીપૂર્વક ફરજ નિભાવવાની સલાહ આપતાં કહ્યું કે, આ માટે સામાન્ય નાગરિકોનો સહકાર પણ એટલો જ જરૂરી છે. અલગ-અલગ આંગળીના બદલે એક મુઠ્ઠી તરીકે જ આપણે કોરોનાને હરાવી શકીશું. એટલા માટે કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા તમામ કોરોના વૉરિયર્સને પૂરતો સહકાર આપીને આમ નાગરિકો પણ કોરોના વૉરિયર તરીકેની તેમની ફરજ સુપેરે નિભાવે.

COVID-19ને ફેલાતો અટકાવવા માટે ડૉ. આર.કે. પટેલે એક ટૂંકાક્ષરી મંત્ર આપતા કહ્યું કે, COVID-19નો સામનો કરવા માટે –

MEN’થી દૂર રહો - એટલે કે, આ વાઇરસ મોંઢા, આંખો અને નાક દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે,

આથી Mouth - મોઢું, Eyes – આંખો અને Nose – નાકને વારંવાર સ્પર્શવાનું ટાળો.

જ્યારે અને ‘WOMEN’ને અનુસરો. એટલે કે, ‘W’ash Hands for 20 Seconds – વારંવાર હાથ ધોવા,

‘O’bey Social Distancing – સોશિયલ ડિસ્ટન્સિંગને અનુસરો,

‘M’ask use Properly – વ્યવસ્થિત રીતે માસ્કનો ઉપયોગ કરો,

‘E’xercise and Eat Healthy for Immunity – રોગપ્રતિકારક શક્તિ વધારવા કસરત કરો અને આરોગ્યવર્ધક ખોરાક લો અને

‘N’o Negative Thoughts – નકારાત્મક વિચારો ટાળો.

ડૉ. આર.કે. પટેલની MEN-WOMEN થિયરીને અનુસરીને આપણે પણ COVID-19નો સામનો કરવામાં કોરોના વૉરિયર તરીકેની આપણી જવાબદારી નિભાવીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More