હિમાંશુ ભટ્ટ/મોરબી :આજે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી નજીકના પીપળીયા ગામે રહેતા શ્રમજીવી પરિવારની દીકરીએ પણ ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી અને ભવિષ્યમાં તેને અધિકારી બનવાની ઇચ્છા રાખી હતી. જોકે આ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષાના પરિણામમાં એક વિષયમાં નાપાસ થઇ હોવાથી હતાશ થઈને તેણે ગળે ફાંસો ખાઈને પોતાના ઘરની અંદર જ આપઘાત કર્યો છે. જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળેલી માહિતી અનુસાર, મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા મગનભાઈ જાદવની સૌથી નાની દીકરી કિર્તી જાદવે આ વર્ષે ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી. બોર્ડની પરીક્ષામાં પાસ થયા બાદ ભવિષ્યમાં તેને એક અધિકારી બનીને ફરજ બજાવવાની ઈચ્છા હતી. જોકે આજે ધોરણ ૧૦નું પરિણામ જાહેર થયું હતું, જેમાં તેનું અધિકારી બનવાનુ સપનુ રગદોળાયું હતું.
કીર્તિ ગણિત વિષયમાં નાપાસ થયા હોવાથી તેને લાગી આવ્યું હતું અને હતાશ થયેલા કીર્તિએ આજે પોતાના ઘરની અંદર જ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. માતાપિતા કામકાજ પર ગયા હતા, ત્યારે એકલતાનો લાભ લઈને કીર્તિએ આત્મહત્યાનું પગલુ ભર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ધોરણ 10ના મોટાભાગના વિદ્યાર્થીઓ માટે ગણિતનું પેપર અઘરુ બની રહ્યું હતું. રાજ્યભરમાં ગણિત વિષયમાં કુલ 3 લાખ 10 હજાર 833 વિદ્યાથીઓ નાપાસ થયા છે. 39 ટકા વિદ્યાથીઓ ગણિતમાં નાપાસ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે