આશ્કા જાની/અમદાવાદ :ભારતમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ આ મહામારીમાં અનેક લોકો ભોગ બન્યા અને સાજા પણ થયા. પરંતુ સાપ જેમ પાછળ લિસોટા છોડતો જાય છે. તેમ કોરોના પણ દર્દીને સાજા થયા પછી અનેક આડઅસર આપતો જાય છે. કોરોનાનો ભોગ બન્યા બાદ અનેક લોકોને કોઈને કોઈ બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લાં કેટલાક સમયથી આવા કિસ્સા સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના પિતા પુત્રીને પણ કોરોનાએ અનેક તકલીફો આપી છે.
કોરોનામાંથી રિકવર થયા બાદ કોઈને શ્વાસ લેવામાં હજુ તકલીફ પડે છે. તો કોઈને અશક્તિ સહિતની તકલીફ જોવા મળે છે. બાળક હોય કે યુવાન હોય અને વૃદ્ધ તમામના શરીરમાં કોરોના થયા બાદ આડઅસર જોવા મળે છે. ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા નિલેશભાઈ પટેલના પરિવારમાં નિલેશભાઈ અને તેમની દીકરી બંનેને કોરોના થયો હતો. આજે કોરોના તો મટી ગયો, પરંતુ અનેક આડઅસર બંનેના શરીરમાં મૂકતો ગયો. બંનેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તો સાથે જ તેઓને સતત થાક અનુભવાય છે.
આ પણ વાંચો : બિલ્લીપગે અચાનક આવતા મોત પાછળ શું કારણ છે, ડોક્ટરે આપ્યો તેનો જવાબ
આ વિશે નિલેશભાઈ કેહ છે કે, કોરોનાને કારણે અમારા ફેફસાને પણ નુકસાન થયું છે. અમને સતત થાક લાગ્યા કરે છે. મારી દીકરી માત્ર 15 મિનિટ પણ કોઈ કામ કરે તો તે થાકી જાય છે. રમતા રમતા પણ તે બેસી જાય છે. નિલેશભાઈને સીડી ચઢતા કે ચાલવામાં તકલીફ પડે છે. સ્પીડમાં દોડે તો હાંફી જાય છે અને શ્વાસ ચઢે છે.
આમ, અમદાવાદના આ પિતા-પુત્રની જેમ અનેક દર્દીઓ એવા છે જેઓને અનેક આડઅસર કોરોના નામનો વાયરલ છોડતો જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે