સત્યમ હંસોરા/રાજકોટ :ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ રાજકોટથી લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળો પર હવે પૂર્ણવિરામ મૂકાયું છે. ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે સામાજિક અને પારિવારિક કારણોસર ચૂંટણી નહીં લડવાની વાત કરી છે. મહત્વનું છે કે, શિવરાજ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તેવા બેનર લાગ્યા હતાં.
ચૂંટણી ન લડવાના નિર્ણય અંગે શિવરાજ પટેલે કહ્યું કે, પારિવારિક નિર્ણયને કારણે પાછળ ગયો છું. સમાજનો આગ્રહ હતો કે, પરિવારમાંથી કોઈએ ચૂંટણી લડવી જોઈએ. પણ આજે સવારે પરિવારના વડીલોએ મીટિંગ કરીને નિર્ણય લીધો છે કે ચૂંટણી નથી લડવાની. તેથી વાત પૂરી. તમે કયા પક્ષને સમર્થન આપશો તે વિશે શિવરાજ પટેલે કહ્યું કે, હું પોલિટીકલ સ્ટેટમેન્ટ નહિ આપી શકું, કેમ કે મારા બાપુજી ખોડલધામ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. તેમના સંબંધો બંને પક્ષો સાથે જોડાયેલા છે. ખોડલધામમાં બંને પક્ષ જોડાયેલા છે, તેથી હું કંઈ બોલીશ તો વિવાદ થશે.
લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને લઇને સતત મીટીંગોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતની લોકસભાની સીટો માટેના ગણિતને લઇને ભાજપ કોંગ્રેસ અસમંજસ જેવી સ્થિતિમાં છે. ત્યારે રાજકોટમાં ખોડલધામના નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલના પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું હતું. લોકસભાની ચૂંટણી માટે રાજકોટ બેઠક પર ભાજપમાંથી મોહન કુંડરિયાનું નામ જાહેર થતા ખોડલધામના નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલનું નામ કોંગ્રેસના ઉમેદવાર તરીકે સતત બીજા દિવસે ચર્ચાઇ રહ્યું છે. રાજકોટમાં ગઈકાલે ‘ભાઇ આવે છે’ તેવા શિવરાજ પટેલના પોસ્ટર લાગતા ફરી એકવાર રાજકોટમાં રાજકારણ ગરમાયું છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા 2019ની ચૂંટણીમાં જબરદસ્ત પોસ્ટર વોર ચાલી રહ્યું છે. કોઈ પણ ઉમેદવાર, તેના સમર્થકો તથા સમાજના લોકો પોસ્ટર દ્વારા પોતાનો મત જણાવી રહ્યા છે. જેમાં આ પહેલા રાજકોટમાં પરેશ ગજેરાના સમર્થન આપતા પોસ્ટર્સ પણ લાગ્યા હતા.
ગુજરાતમાં Loksabha Election 2019ના મહત્વના સમાચાર માટે કરો ક્લિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે