બ્રિજેશ દોશી/અમદાવાદ: લોકસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપના નવા અધ્યક્ષ કોણ તેને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આજે દિલ્હીમાં ભાજપના સંગઠન પર્વને લઇને બેઠક મળી હતી. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંબોધન કર્યું હતું. અને ભાજપના સુવર્ણકાળ માટે કવાયતને લઇને મંથન થયું હતું. આ બેઠકમાં તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય હોદેદારો અને સંગઠન મહામંત્રીઓ હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઇને આ બેઠકમાં તૈયારીઓ પર જોર મૂકવામાં આવ્યું.
લોકસભા ચૂંટણી બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા જેના કારણે ચર્ચાએ જોર પકડ્યું કે, ભાજપના નવા અધ્યક્ષની ચૂંટણી આવશે. જો કે ભાજપમાં સંગઠન પર્વ અને રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે 2-3 મહિના જેટલો સમય લાગતો હોય છે જેના કારણે આ ચૂંટણી પાછી ઠેલાય તેવી અટકળોએ જોર પકડ્યું છે. કારણ કે, આગામી 5 મહિનામાં મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણા સહિત 5 રાજ્યોની ચૂંટણી આવી રહી છે જેમાં ભવ્ય જીત મેળવી રાજ્યસભામાં પોતાની સીટો વધારવા માટે ભાજપ રણનીતિ કરી રહ્યું છે.
જેના કારણે હાલનો સમય અમિત શાહ જ અધ્યક્ષ પદે યથાવત રહે તેવી શક્યતા છે. એટલે કે આગામી 5 મહિના સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બેવડી ભૂમિકા ભજવશે. સામાન્ય રીતે ભાજપના બંધારણ પ્રમાણે એક વ્યક્તિ એક પદ નો સિદ્ધાંત છે. પરંતુ કેટલાક સંજોગોમાં ગણતરીના મહિનાઓ માટે અપવાદ રહેતો હોય છે. તેવા સંજોગોમાં આ વખતે પણ 5 મહિના માટે અપવાદ રાખવામાં આવે તેવી શક્યતા વધુ છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે અમિત શાહ યથાવત રહે તેવી શક્યતા વધુ હોવાનું મુખ્ય કારણ આજે તેમણે પોતાના સંબોધન દરમિયાન કાર્યકરોને આગામી ચૂંટણીઓની તૈયારીઓમાં લાગી જવા માટે હાકલ કરી. તેમણે કહ્યું કે હજુ સુધી દેશમાં ભાજપનો સુવર્ણ કાળ નથી આવ્યો કારણ કે, હજુ પણ 3 મોટા રાજ્યોમાં ભાજપની સરકારની નથી બની ત્યારે ભાજપના કાર્યકરોએ ખુશ થઇને બેસવાની જરુર નથી.
ભાજપના કાર્યકરો ચૂંટણી માટે કામે લાગે અને જે રાજ્યોમાં સંગઠન હજુ પણ નબળું છે. ત્યાં મેમ્બરશીપ ડ્રાઇવ ચલાવવામાં આવશે. આગામી 6 જુલાઇથી રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલશે અને ભાજપનું સભ્ય નોંધણી અભિયાન આગળ વધશે. અત્યાર સુધી 11 કરોડથી વધુ સભ્યો છે. ત્યારે આ સભ્ય નોંઘણીમાં હજુ પણ 20 ટકા વધારાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેના માટે શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ટીમ કામ કરશે.
આગામી દિવસોમા આવી રહેલી 5 રાજ્યોની ચૂંટણીને લઇને ભાજપે અત્યારથી જ શરુ કરી દીધી છે અને તે માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રોડમેપ પણ તૈયાર કરી દીધો છે. જેના કારણે હવે ભાજપના અધ્યક્ષ પદે તેઓ યથાવત રહે તેવી સંભાવના વધી જાય છે. કારણ કે, ભાજપનું સંગઠન પર્વ 2-3 મહિના ચાલે છે તેવા સંજોગોમાં ડિસેમ્બર બાદ ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે