ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા માર્કેટીંગ યાર્ડનાં સત્તાધીશો દ્વારા સપ્તાહમાં ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર ચાર દિવસ સપ્તાહમાં માર્કેટીંગ યાર્ડ ચાલું રહેશે. જેને કારણે રાજકોટ માર્કેટીંગ યાર્ડને દરરોજનું 5 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવશે.
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે રાજકોટનું માર્કેટીંગ યાર્ડ અઠવાડીયામાં ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન ડી. કે. સખીયાએ નિવેદન આપતા કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરવામાં આવી છે. તેને ધ્યાને રાખીને માર્કેટીંગ યાર્ડમાં કોરોનાનાં કેસ વધે નહિં તે માટે સપ્તાહમાં શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ બંધ રાખવાનો બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં જણસીઓની આવક વધુ છે, તેથી ખેડુતોને એક સાથે તમામ જણસીઓનો ભરાવો ન થઇ જાય તે માટે અલગ અલગ સમયે લઇને આવવા અપીલ કરવામાં આવી છે. સાથે જ સપ્તાહમાં ત્રણ દિવસ યાર્ડ બંધ રહેવા થી અંદાજીત દરરોજ 5 કરોડ રૂપીયાની નુકસાની વેઠવાનો વારો આવશે.
શાકમાર્કેટમાં નહિ જળવાઇ સામાજિક અંતર
સમગ્ર સૌરાષ્ટ્રને શાકભાજી પૂરૂ પાડતું રાજકોટનું શાકભાજી યાર્ડ બંધ કરવામાં નહિં આવે તેવું ડી. કે. સખીયાએ જણાવ્યું હતું. જોકે સોશ્યલ ડિસ્ટન્સનો સૌથી વધું ભંગ અહીં થતો જોવા મળતો હોય છે. કારણ કે, શાકભાજીની હરાજીમાં ફેરીયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. જેને કારણે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું શક્ય નથી. જોકે યાર્ડનાં ચેરમેન ડી. કે. સખીયાએ જણાવ્યું હતું કે, શાકભાજી યાર્ડ સૌરાષ્ટ્રભરને શાકભાજીનો જથ્થો રાજકોટથી પૂરો પાડવામાં આવતો હોવાથી તે બંધ રાખવું શક્ય નથી. જેથી ત્યાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે