રક્ષિત પંડ્યા/રાજકોટ :જૂનાગઢના વીસાવદર યાર્ડમાં તુવેરની કરાયેલી તપાસ બાદ તુવેરમાં પણ કૌભાંડ થયાની આશંકા સેવાઈ રહી છે. તેથી જ જૂનાગઢના વિસાવદર કેન્દ્રમાં ખરીદ કરેલી તુવેરના જથ્થાની ગુજરાત પુરવઠા નિગમે તપાસ શરૂ કરી છે. મીડિયાને સાથ રાખી સમગ્ર તપાસની કામગીરી હાથ ધરાઈ છે. તપાસમાં શંકાસ્પદ જણાશે તો સંચાલકો સામે લેવાશે પગલાં તેવુ પણ જણાવ્યું છે.
કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રિબડીયા, પુરવઠા વિભાગના અધિકારી, ખેતીવાડી અધિકારીની હાજરીમા તપાસ શરૂ કરવામાં આવી છે. યાર્ડમાં પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં પહેલી ત્રણ બોરીઓમાં કરાયેલી તપાસમાં ત્રણમાંથી બે બોરીમાં હલકી કક્ષાની તુવેર તુવેર નીકળી છે. ત્યારે આ અંગે તપાસ અધિકારીઓને સવાલ પૂછતા તેમણે જણાવ્યું કે, તમામ બોરીઓની તપાસ કરીને સેમ્પલ લેવાશે અને સેમ્પલની ચકાસણી બાદ જ કૌભાંડને લઈને સત્ય બહાર આવી શકે છે. સાથે જ યાર્ડમાં રહેલી અમુક બોરીઓ પર ખેડૂતોના રજિસ્ટ્રેશન નંબર લખાયા ન હોવાની માહિતી સામે આવી છે. વીસાવદર યાર્ડમાં ગુજરાત પુરવઠા નિગમની ટીમે મીડિયાને સાથે રાખીને સમગ્ર તપાસ કામગીરી હાથ ધરી હતી. જેમાં તપાસ કામગીરીની સમગ્ર વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.
આ મામલે તપાસ અધિકારીઓએ કહ્યું કે, સેમ્પલની ચકાસણી થયા બાદ જ સત્ય સામે આવશે. તો આ સમગ્ર કૌભાંડ અંગે હર્ષદ રિબડીયાએ આરોપ મૂકતા કહ્યું કે, ખેડૂતોએ ચાંદી જેવો માલ આપ્યો હતો, હાલ માત્ર 10 ટકા જ માલ સાલો છે.
છેલ્લા કેટલાંક દિવસથી તુવેરકાંડને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડિયાની જનતા રેડમાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ત્યાર બાદમાં ખેડૂતોએ જૂનાગઢ કલેક્ટર સામે તપાસની માગ સાથે ધારણા કર્યા હતા. જેને પગલે તંત્ર સફાળુ જાગ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે