સુરત :અમદાવાદમાં આ વર્ષે રાઈડ તૂટવાનો બનાવ બન્યો હતો, ત્યારે સુરતના હજીરામાં ચકડોળ બંધ થઈ ગયું હતું. સુરતના મોરા ગામમાં બનેલી રાઈડ અટકવાની ઘટનામાં 71 જેટલા લોકોમાં રાઈડમાં અધવચ્ચે અટક્યા હતા. ત્યારે ક્રેઈનની મદદથી તમામને નીચે ઉતારવામાં આવ્યા હતા. ત્યાં સુધી રાઈડમાં બેસેલા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા.
સુરતના હજીરામાં આવેલ મોરા ગામમાં એક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ ક્રિસમસનું વેકેશન હોઈ મોટી સંખ્યામાં લોકો બુધવારે મેળામાં મ્હાલવા પહોંચ્યા હતા. ત્યારે મેળામાં આવેલુ ચકડોળ અધવચ્ચે બંધ પડી ગયું હતું. આ બનાવને પકડે આખા મેળામાં ધમાચકડી મચી ગઈ હતી. સંચાલકોએ ભારે મહેનત કર્યા બાદ પણ રાઈડ ચાલુ થઈ ન હતી. ત્યારે આખરે લોકોને નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો. આ બાદ ફાયર બ્રિગેડની ચાર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ક્રેઈન દ્વારા ફસાયેલા લોકોની નીચે ઉતારવામાં આવ્યા હતા. તમામ સહેલાણીઓને એક પછી એક સહીસલામત નીચે ઉતારાતા આખરે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. લગભગ 80 ફૂટ જેટલી ઉંચાઈએ લોકો ચકડોળમાં ફસાયા હતા.
તપાસ કરતા જાણવા મળ્યું કે, ચકડોળનું મુખ્ય બેરિંગ જ તૂટી ગયું હતું, જેને કારણે રાઈડ અધવચ્ચે અટવાઈ હતી. ત્યારે આ ઘટનાની વધુ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જો, ચકડોળ સ્પીડમાં હોત તો તે નીચે પડ્યું હોત, અને જાનહાનિ પણ થઈ હોત. પરંતુ ચકડોળની સ્પીડ ઓછી હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.
નવી વસાવેલી લેડર કામમાં આવી
ઉલ્લેખનીય છે કે, સુરતના બહુચર્ચિત તક્ષશીલા અગ્નિકાંડને આખો દેશ ભૂલી શક્તુ નથી. આ ઘટના બાદ સુરત ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ટર્નટેબલ લેડર મશીન વસાવવામાં આવ્યું હતું. ત્યારે ચકડોળમાં ફસાયેલા લોકોને નીચે ઉતારવા માટે આ લેડર મશીન ખાસ ઉપયોગમાં લેવાયું હતું. લોકોને સહીસલામત નીચે ઉતારાયા હતા. ત્યારે જો ફાયરબ્રિગેડે વહેલાસર જ આ મશીન વસાસી લીધું હોત તો તક્ષશીલામાં વિદ્યાર્થીઓને બચાવી શકાયા હોત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે