હિતલ પારેખ, ગાંધીનગરઃ છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતના બે રાજ્યસભા સાંસદો અહમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધન થયા છે. બંન્ને નેતાઓના નિધન થતા ગુજરાતમાંથી રાજ્યસભાની બંન્ને બેઠકો ખાલી પડી છે. જેમાંથી અહમદ પટેલ કોંગ્રેસ અને અભય ભારદ્વાજ ભાજપ તરફથી રાજ્યસભાના સાંસદ હતા. હવે આગામી સમયમાં આ બંન્ને સીટો પર પેટાચૂંટણી યોજાઈ શકે છે. હવે ચૂંટણી પંચના આ નિયમ પ્રમાણે બંન્ને બેઠક ભાજપને મળી શકે છે.
બંન્ને બેઠક માટે આવી શકે છે અલગ-અલગ નોટિફિકેશન
મહત્વનું છે કે બંન્ને રાજ્યસભા સાંસદોના અલગ-અલગ દિવસે નિધન થયા છે. ત્યારે આગામી સમયમાં જ્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બંન્ને સીટો માટે પેટાચૂંટણીની જાહેરાત થાય ત્યારે અલગ-અલગ નોટિફિકેશન જાહેર કરવામાં આવી શકે છે. જો બંન્ને બેઠકના એક સાથે નોટિફિકેશન આવે તો ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે એક સીટ કોંગ્રેસ તો એક ભાજપને મળી શકે છે. પરંતુ અલગ-અલગ નોટિફિકેશન આવે તો બંન્ને બેઠક ભાજપને મળી શકે છે.
હાલ ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે કુલ 111 ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 65 ધારાસભ્યો છે. જો ચૂંટણી પંચ અલગ અલગ નોટિફિકેશન જાહેર કરે તો ભાજપને એક સીટનો ફાયદો થઈ શકે છે. આ પહેલા લોકસભાની ચૂંટણી જીત્યા બાદ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ રાજ્યસભાના સાંસદ પદેથી અલગ અલગ દિવસે રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદ આ બંન્ને બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ચૂંટણી પંચે અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડતા ભાજપના ફાળે બંન્ને બેઠક ગઈ હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે