રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયા (jayesh radadiya) નો રિપોર્ટ પોઝિટિવ આવતા અનેક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અગ્રણી નેતા જયેશ રાદડિયા સાથે અનેક લોકોએ મુલાકાત કરી હતી, અનેક લોકો તેમના સંપર્કમા આવ્યા હતા. ત્યારે હવે મોટો વિસ્ફોટ થયો છે.જયેશ રાદડિયા બાદ જિલ્લા સહકારી બેંકના કર્મચારી કોરોના સંક્રમિત બન્યા છે. રાજકોટ જિલ્લા બેંકના 14 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. તમામ 14 કર્મચારીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બેંકના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
સ્ટેશનરીની દુકાનોનું સ્વંભૂ લોકડાઉન
તો બીજી તરફ, રાજકોટમાં સ્ટેશનરીની દુકાન ધારકો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, સવારના 8 થી 5 વાગ્યા સુધી જ સ્ટેશનરી દુકાન ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંજના 5 વાગ્યા બાદ આંશિક લોકડાઉન આપવાની જાહેરાત કરાઈ છે. રાજકોટમાં કુલ 450 જેટલા સ્ટેશનરીના નાના-મોટા વેપારીઓ છે, જે પૈકી મોટાભાગના વેપારીઓ આ નિર્ણય માટે સહમતી દર્શાવી છે. આ અગાઉ રાજકોટમાં સોની બજાર, દાણાપીઠ અને દીવાનપરા કાપડ માર્કેટ વેપારીઓ પણ આંશિક લોકડાઉનની જાહેરાત કરી હતી.
અભય ભારદ્વાજની હાલત અતિગંભીર
તો બીજી તરફ, રાજકોટથી રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ (abhay bharadwaj) ની તબિયત અતિ ગંભીર હોવાનુ જાણવા મળ્યું છે. સુરતથી ચાર ડોકટરોની ટીમ રાજકોટ પહોંચી સારવાર શરૂ કરી છે. ડો. સમીર ગામી, ડો.હરેશ વસ્તપરા, ડો.કલ્પેશ ગજેરા અને ડો.નિલય દ્વારા તમામ રિપોર્ટનું નિરીક્ષણ કરાયું છે. સુરતથી આવતા તમામ ડોકટર ચેસ્ટ ફિઝીશિયન છે. હાલમાં તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે