Rajkot Corporation Draft Budget 2024-25: દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ 2024-25 નું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ દ્વારા રજુ કરવામાં આવ્યું છે. 31.01.2024ના રોજ રજુ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટની અંદર 17.77 કરોડના કરબોજ સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણો કરવા કરાયું સૂચન હાલમાં પ્રતિ દિન 1 રૂ. લેવામાં આવે છે. જે વધારી 2 રૂ. લેવા અને વોટર ચાર્જ વાર્ષિક 1500 થી વધારી 1600 કરવા કરાયું સૂચન કરવામાં આવ્યું છે. જો કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરબોજ વગરનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
આ વર્ષે 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને પર્યાવરણ તેમજ શહેરી પરિવહન સુવિધા સુદ્રઢ બનાવવા ભાર મુકવામાં આવ્યો છે. વોટર મેનેજમેન્ટ માટે વોટર ઓપરેશન અને મેઇન્ટેનન્સ સેલ, જળ સંચય સેલ, નવા પાણીના સ્ત્રોત શોધવા, જનભાગીદારીથી જળ સંવર્ધન પર કામ કરવામાં આવશે. જયારે પરિવહન સુવિધાને ધ્યાનમાં રાખી 175 નવી ઇલેક્ટ્રિક બસ અને 100 CNG બસ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના અંતર્ગત મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા રાજકોટ શહેરને 100 ઈલેક્ટ્રીક બસ ફાળવવા માટે કાર્યવાહી હાથ ધરેલ છે. આ 100 બસ માટે સ્માર્ટ સીટી એરિયામાં અટલ સરોવરની બાજુમાં આવેલ ફાઈનલ પ્લોટ નં. 83 ઉપર અંદાજીત રૂ.16 કરોડ ના ખર્ચે ઈ- બસ ચાર્જીંગ સ્ટેશન અને ડેપો બનાવવાનું આયોજન કરેલ છે. જયારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 100 CNG બસની વહિવટી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે તેમજ આ 100 બસ માટે સ્માર્ટ સીટી એરિયામાં અટલ સરોવરની બાજુમાં આવેલ ફાઈનલ પ્લોટ નં.83 ઉપર અંદાજીત રૂ.8 કરોડ ના ખર્ચે ડેપો બનાવવાનું આયોજન કરેલ છે.
મકાન વેરામાં વધારો નહિ
વર્ષ 2018થી શરૂ કરવામાં કાર્પેટ એરીયા આધારીત પધ્ધત્તિના અમલ કરતી વખતે કન્ઝર્વન્સી ટેક્ષ, ફાયર ટેક્ષ, ડેનેજ ટેક્ષ અને દિવાબતી ટેક્ષ રદ કરવામાં આવેલ માત્ર સામાન્ય કર રહેણાંક માટે રૂ.11 પ્રતિ ચો.મી. અને બિનરહેણાંક માટે રૂ.25 પ્રતિ ચો.મી રાખવામાં આવેલ. આગામી વર્ષ 2024-25 માટે પણ મકાન વેરાના દર રૂ.11 પ્રતિ ચો.મી. અને બિનરહેણાંક માટે રૂ.25 પ્રતિ ચો.મી. યથાવત રાખવામાં આવેલ છે.
વાહન વેરામાં વધારો નહિ
ચાલુ વર્ષમાં આજીવન વાહન વેરો એડવોલેરમ પધ્ધતિ મુજબ રૂ. 99,999 સુધીની કિંમતના વાહનમાં 1.5% મુજબ તથા રૂ.1 લાખથી રૂ. 7.99 લાખ સુધીની કિંમતના વાહનમાં 2.5% મુજબ તથા 8 લાખથી વધુ કિંમતના વાહનમાં 3% મુજબ અંદાજીત આવકનો લક્ષ્યાંક રૂ.28 કરોડ હતો. આજ સુધીમાં રૂ.23.15 કરોડ જેટલી વસુલાત થઈ ગઇ છે અને આ વર્ષના અંતે રૂ.28 કરોડ થવાનો અંદાજ છે. જયારે આગામી વર્ષમાં વાહનવેરાની આવક રૂ. 30 કરોડ થવાની સંભાવના છે.
આ વર્ષે પણ આજી રિવરફ્રન્ટનો ઉલ્લેખ બજેટમાં કરાયો
આજી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ 11.50 કી.મી લંબાઈમાં કામ કરવાનું નક્કી થયેલ જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારમાં પ્રેઝેન્ટેશન કરવામાં આવેલ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવર ફ્રન્ટની ડેવલપમેન્ટ પ્રોજેક્ટનાં કામે સરકાર દ્વારા પ્રથમ ફેઇઝની અંદાજીત કુલ રૂ.187 કરોડની દરખાસ્તની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. જેમાં રામનાથ મંદિરનો જીર્ણોધાર હાથ ધરવામાં આવશે. તેમજ ચોમાસાની ઋતુ દરમ્યાન ગંદા પાણીથી મહાદેવને અભિષેક થતો અટકાવવા ઘાટનુ નિર્માણ હાથ ધરવામા આવેલ છે. તથા રામનાથ મહાદેવ મંદિરની ઉતર અને દક્ષિણ બન્ને તરફ 500 મી. મળી કુલ 1.1 કી.મી. લંબાઈમાં આ કામને પાઇલોટ પ્રોજેકટ તરીકે ડેવલપ કરવામા આવશે.
બજેટ હાઈલાઇટ:
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે