Home> Gujarat
Advertisement
Prev
Next

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લીધી ગાંધી આશ્રમની મુલાકાત, કહ્યું- અહીં આવીના મારામાં પ્રેરણાનો સંચાર થયો

રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રૌપદી મુર્મૂ પ્રથમવાર ગુજરાતના પ્રવાસે છે. તેમણે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અમદાવાદની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ ગાંધીનગર પહોંચ્યા હતા. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લીધી ગાંધી આશ્રમની મુલાકાત, કહ્યું- અહીં આવીના મારામાં પ્રેરણાનો સંચાર થયો

અમદાવાદઃ રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ભારતની આઝાદીના આંદોલનમાં કેન્દ્ર સમા અને મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા સાબરમતી આશ્રમની ભૂમિમાં ગાંધી-વંદના કરીને રાષ્ટ્રપતિએ ધન્યતા અનુભવી હતી.

રાષ્ટ્રપતિએ સાબરમતી આશ્રમ પહોંચી સૌથી પહેલા આશ્રમ પરિસરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગાંધી આશ્રમની રાષ્ટ્રપતિની આ મુલાકાત વેળાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ મહાત્મા ગાંધીના જીવન અને આઝાદી આંદોલનના સંઘર્ષને દર્શાવતા આર્કાઇવ પ્રદર્શનને નિહાળ્યું હતું. સાથોસાથ બૃહદ આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના મૉડલને નિહાળીને જાણકારી મેળવી હતી.

રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના ચિત્રને સુતરનો હાર પહેરાવી વંદના કરી હતી તથા ગાંધી આશ્રમમાં ચરખો પણ કાંત્યો હતો. રાષ્ટ્રપતિએ સાબરમતી આશ્રમની મુલાકાતના અનુભવ અને અનુભૂતિને વિઝિટર્સ બુકમાં વર્ણવી હતી.

આ પણ વાંચોઃ આ વર્ષે દશેરાએ ખાસ રાવણનું દહન થશે, રાવણના મોઢામાંથી રોશની નીકળે, હાથની ઢાલ ગોળ ફરશે

રાષ્ટ્રપતિશ્રીએ લખ્યું હતું કે "સાબરમતીના સંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આ પવિત્ર તપોભૂમિ પર આવીને મારામાં અવર્ણનીય શ્રદ્ધા અને પ્રેરણાનો સંચાર થયો છે. લાંબા સમય સુધી સ્વાધીનતા સંગ્રામના કેન્દ્ર રહેલા આ પરિસરમાં મને ગહન શાંતિનો અનુભવ થાય છે. આ પરિસરમાં પૂજ્ય બાપુના અસાધારણ જીવન-વૃતના અણમોલ વારસાને પ્રસંશનીય રીતે સાચવીને રખાયો છે. આ માટે હું સાબરમતી આશ્રમની સારસંભાળ રાખનારા તમામ લોકો પ્રત્યે મારી પ્રશંસા અભિવ્યક્ત કરું છું."

સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અગ્રણી અમૃતભાઈ મોદી, નીતિન શુક્લ, જયેશ પટેલ તથા અતુલ પંડ્યાએ રાષ્ટ્રપતિશ્રીને ગાંધી આશ્રમ અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે જાણકારી આપી હતી. રાષ્ટ્રપતિની ગાંધી આશ્રમની મુલાકાત સમયે મુખ્ય સચિવ પંકજ કુમાર, અમદાવાદ જિલ્લા કલેક્ટર  સંદીપ સાગલે, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More