Home> Gujarat
Advertisement
Prev
Next

PM મોદીએ ગુજરાતની જનતાને આપી 3 મોટી ભેટ, ખુલ્લો મૂક્યો ગિરનાર રોપ-વે 

PM મોદીએ ગુજરાતની જનતાને આપી 3 મોટી ભેટ, ખુલ્લો મૂક્યો ગિરનાર રોપ-વે 
  • ઈ-લોકાર્પણ કરતા સમયે પીએમ મોદીએ કહ્યું કે, આજે ગુજરાતના 3 પ્રોજેક્ટ એક પ્રકારે ગુજરાતની શક્તિ, ભક્તિ અને સ્વાસ્થયના પ્રતિક છે.
  • પીએમ મોદીએ ખેડૂતોને  ‘પર ડ્રોપ, મોર ક્રોપ’ મંત્ર આપ્યો. દિવસમાં વીજળી મળશે તો પાણી બચાવવા પર જોર આપવું પડશે તેવું કહ્યું.

ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતની જનતાને ત્રણ મોટી ભેટ આપી છે. નવી દિલ્હીથી વીડિયો લિંક દ્વારા તેઓએ ગુજરાતની ત્રણ મોટી યોજનાનું ઈ-લોકાર્પણ કર્યું છે. આ સાથે જ
તેઓએ એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે (Girnar ropeway) ને ગુજરાતની જનતા તથા દેશવિદેશના સહેલાણીઓ માટે ખુલ્લો મૂકાયો છે. તો સાથે જ અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલનું પણ ઉદઘાટન કર્યું છે. 470 કરોડના ખર્ચે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલને 850 પથારી સાથે વધુ સજ્જ બનાવાઇ છે. જ્યાં બાળકોના હૃદયરોગની અદ્યતન સારવાર માટેની નવી હોસ્પિટલનું લોકાર્પણ પીએમ મોદી (narendra modi) એ કર્યુ છે. તો સાથે જ ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવાની ‘કિસાન સૂર્યોદય યોજના’નું પણ લોન્ચિંગ કર્યું છે. જેના પ્રથમ ચરણમાં 1570 ગામોના કિસાનોને લાભ મળશે. આજથી જ આ યોજના અંતર્ગત પાવર સપ્લાય શરૂ કરાયું છે.   

પીએમ મોદીનું ગુજરાતને સંબોધન....

સૂર્યોદય યોજના ગુજરાતના ખેડૂતો માટે પાયાનો પત્થર સાબિત થશે
યોજનાઓને લોકાર્પણ કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજે ગુજરાતમાં ત્રણ મહત્વના પ્રોજેક્ટની શરૂઆત થઈ રહી છે. આ ત્રણેય એક પ્રકારે ગુજરાતની શક્તિ, ભક્તિ અને સ્વાસ્થયના પ્રતિક છે. ગુજરાત હંમેશાથી સાધારણ સામ્યર્થવાળા લોકોની ભૂમિ રહી છે. બાપુથી લઈને સરદાર પટેલ સુધીના લોકોએ દેશને સામાજિક અને આર્થિક નેતૃત્વ આપ્યું છે. કિસાન યોજનાથી ગુજરાત ફરી એકવાર નવી પહેલથી સામે આવ્યું છે. સુજલામ સુફલામ ને સૌની યોજના બાદ સૂર્યોદય યોજના ગુજરાતના ખેડૂતો માટે પાયાનો પત્થર સાબિત થશે. વીજળીના ક્ષેત્રમાં વર્ષોથી ગુજરાતમાં જે કામ થઈ રહ્યા હતા તે આ યોજનાના મોટા આધાર બન્યા હતા. એક સમયે ગુજરાતમાં વીજળીની અછત હતી. 24 કલાક વીજળી આપવી મોટી ચેલેન્જ રહેતી. આ કારણે અન્ય બાબતો પ્રભાવિત થતી. આ કારણે મિશન મોડ પર કામ કરવામાં આવ્યું. સૌર ઉર્જા માટે એક દાયકા પહેલા વ્યાપક નીતિ બનાવનાર ગુજરાત દેશનું પહેલુ રાજ્યું હતું. 2010માં પાટણમાં સોલાર પાવર પ્લાન્ટનું ઉદઘાટન થુયં હતું. ત્યારે કોઈએ કલ્પના ન કરી હતી કે ભારત દુનિયાને રસ્તો બતાવશે. ભારત સોલાર પાવરના ઉત્પાદન અને ઉપયોગ બંને મામલે દુનિયાના અગ્રણી દેશોમાં છે. 

હવે ખેડૂતોને રાતભર જાગવુ નહિ પડે 
તમણે જણાવ્યું કે, ગત 6 વર્ષમાં દેશ સૌર ઉર્જાના ઉત્પાદન મામલે દુનિયામાં 5 માં નંબર છે. દેશ તેજીથી આગળ વધી રહ્યો છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે ખેડૂતોને રાત્રે વીજળી મળે છે. આવામાં ખેડૂતોને રાતભર જાગવુ પડે છે. જુનાગઢ, ગીર સોમનાથમાં જ્યા આ યોજના શરૂ થઈ રહી છે, ત્યા જંગલી જાનવરોનો પણ ખતરો રહે છે. તેથી આ યોજના ન માત્ર રાજ્યના ખેડૂતોને સુરક્ષા આપશે, પરંતુ તેમના જીવનમાં નવી સવાર પણ લાવશે. રાતને બદલે દિવસ દરમિયાન થ્રી ફેઝ વીજળી મળશે તો વિકાસ થશે. આગામી દિવસોમાં 1000 થી વધુ ગામમાં આ યોજના લાગુ થઈ જશે. જ્યાં મોટાભાગના આદિવાસી વિસ્તાર છે. આ યોજના ખેડૂતોની જિંદગીની ધરમૂળથી બદલી દેશે. દેશનું એગ્રિકલ્ચર સેક્ટર મજબૂત થાય, ખેડૂતને ખેતીમાં મુશ્કેલી ન થાય તે માટે નવી નવી પહેલ કરવામાં આવી રહી છે. દેશમાં આજે અન્નદાતાને ઉર્જાદાતા બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અનેક સંસ્થાનોને બંજર જમીન પર નાના સોલાર પ્લાન્ટ લગાવવામાં સહાયતા આપવામાં આવી રહી છે. સોલાર પંપને ગ્રીડ સાથે જોડવામાં આવી રહ્યાં છે. તેથી ખેતીમાં પેદા થતી વીજળીને ઉપયોગ કરશે, અને વધારાની વીજળી વેચી પણ શકશે. 

બે દાયકાના પ્રયાસથી ગુજરાતના ગામડામાં પાણી પહોંચ્યુ 
ગુજરાતમાં પાણીની શુ સ્થિતિ છે તે આપણે બધા જાણીએ છીએ. બજેટનો મોટાભાગનો ભાગ પાણી માટે ખર્ચવો પડતો હતો. ગુજરાત પર આર્થિક બોજ મોટો રહેતો હતો. બે દાયકાના પ્રયાસથી ગુજરાતના ગામડા સુધી પાણી પહોંચી ગયું છે, જ્યાં કોઈ પહેલા વિચારી પણ શક્તુ ન હતું. ગુજરાતના 80 ટકા ઘરમાં નલથી જલ પહોચી ગયું છે. જલ્દી જ ગુજરાત એ રાજ્યમાં હશે જ્યાં દરેક ગરમાં પાઈપથી જળ પહોંચશે. 

પ્રધાનમંત્રીએ ખેડૂતોને નવો મંત્ર આપ્યો 
પીએમ મોદીએ ખેડૂતોને  ‘પર ડ્રોપ, મોર ક્રોપ’ મંત્ર આપ્યો. દિવસમાં વીજળી મળશે તો પાણી બચાવવા પર જોર આપવું પડશે. એવુ નહિ કરીએ તો ગુજરાત બરબાદ થઈ જશે. દિવસમાં વીજળી મળવાથી ખેડૂતો માટે માઈક્રો ઇરિગેશનની વ્યવસ્થા કરવી સરળ બની જશે. ગુજારતે આ દિશામાં અનેક પ્રગતિ કરી છે. આ યોજનાથી તેના વિસ્તારમાં મદદ મળશે. યુએન મહેતા હોસ્પિટલ વિશે કહ્યું કે, હાર્ટની હોસ્પિટલ દેશભરના લોકો માટે મોટી સુવિધા છે. બે દાયકામાં ગુજરાતે આરોગ્ય ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ કર્યું છે. મેડિકલ કોલેજ, હેલ્થ સેન્ટર, ગામને સુવિધા આપવાનું મોટું કામ કર્યું છે. દેશમાં પણ હવે સ્વાસ્થય સેવા યોજના શરૂ થઈ છે, તેનો લાભ પણ ગુજરાતને મળી રહ્યો છે. જેનરિક સ્ટોર ગુજરાતમાં ખૂલ્યા છે. તેમાંથી 100 કરોડની બચત ગુજરાતના સામાન્ય દર્દીઓને મળી છે. 

ગુજરાતના દરેક ખૂણામાં શક્તિરૂપેણ માતાનો વાસ છે 
ગિરનાર રોપવેને ખુલ્લો મૂકતા પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાતને ગિરનાર રોપવેની જે ભેટ મળી છે, તેમાં આસ્થા અને પર્યટન બંને જોડાયેલા છે. ગિરનાર પર્વત પર દત્તાત્રણ શિખર, જૈન મંદિર, ગોરખપુર શિખર પણ છે. અહી આવીને લોકોને શાંતિનો અનુભવ થાય છે. અહી રોપવે બનવાથી બધાને સુવિધા મળશે. સૌને દર્શનનો અવસર મળશે. મંદિર સુધી જવા 5-6 કલાકનો સમય લાગતો હતો, તે હવે 7-8 મિનીટમાં પહોંચી જવાશે. નવી સુવિધા બાદ અહી વધુ શ્રદ્ઘાળુ, પર્યટકો આવશે. આજે જે રોપવેની શરૂઆત થઈ છે, તે ગુજરાતનો ચોથો રોપવે છે. અંબાજી, પાવાગઢ, સાતપુડામાં પણ રોપવે છે. અગાઉ ગિરનાર રોપવેમાં અડચણો ન આવી હોત તો તે આટલા વર્ષોથી અટક્યો ન હોત. લોકોને તેનો લાભ જલ્દી જ મળી શક્યો હોત. ગિરનાર રોપવેથી સ્થાનિક યુવાઓને રોજગારીના અવસર મળશે. ટુરિસ્ટને આધુનિક સુવિધા આપીશું તો જ તેઓ આવશે. તેઓને ઈઝ ઓફ લિવિંગ, ઈઝ ઓફ ટ્રાવેલિંગ જોઈતુ હોય છે. 

ગુજરાતના અનેક સ્થળોમાં દુનિયાના મોટા ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવાની શક્યતા છે 
ગુજરાતમાં અનેક જગ્યાઓમાં દુનિયાના મોટા ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવાની અપાર શક્યતાઓ છે. ખાસ કરીને માતાજીના સ્થાન. ગુજરાતના દરેક ખૂણામાં શક્તિરૂપેણ માતાઓ છે. કહી શકાય કે ગુજરાતમાં એક પ્રકારની શક્તિનો વાસ છે. જેની ક્ષમતાઓ અદભૂત છે. દ્વારકા પાસે શિવરાજપુર બીચને બ્લ્યૂ ફ્લેગ બીચનું ટેગ મળ્યું છે. આવુ થવાથી મુસાફરો આવશે, સાથે રોજગારના નવા અવસર મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી મોટું ટુરિસ્ટ એટ્રેક્શન બની ગયું છે. કોરોના પહેલા 45 લાખથી વધુ લોકો યુનિટી નિહાળી ચૂક્યા છે. અમદાવાદમાં એક સમયે કાંકરિયા લેકથી કોઈ પસાર થતુ ન હતું. આજે રિનોવેશન બાદ વાર્ષિક 75 લાખ લોકો કાંકરિયાની મુલાકાત લે છે. આ તમામ પરિવર્તન ટુરિસ્ટની વધતી સંખ્યા ને સ્થાનિક લોકોની આવક વધારવા મદદ કરે છે. ટુરિઝમમાં ઓછી પૂંજી લાગે છે અને વધુ રોજગાર મળે છે. વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓને કહેવા માંગું છું, જો ગુજરાત આપણે ત્યા નવા આકર્ષણનું કેન્દ્ર બનાવી રહ્યું છે તો તેઓ આ પ્રોજેક્ટ તરફ દુનિયાને આકર્ષિત કરે. દુનિયાને તેનાથી પરિચિત કરાવો. ગુજરાત વિકાસની નવી યોજના પર પહોંચે તેવી મારી પ્રાર્થના છે. 

અંતે ગુજરાતી ભાષામાં મેસેજ આપ્યો
સંબોધનના અંતે પીએમ મોદીએ ગુજરાતની જનતા માટે ગુજરાતી ભાષામાં મેસેજ આપ્યો કે, મારા ભાઈ-બહેનોને મારે દિલની વાત કરવી છે કે, કોરોના વાયરસ ત્યાં સુધી સાવચેત રહેવું જરૂરી છે. બે ગજની દૂરી ખૂબજ જરૂરી... માસ્ક પહેરવું પણ એકદમ જરૂરી. સાબુથી નિયમિત હાથ ધોતા રહો. જ્યા સુધી દવા નહિ, ત્યા સુધી દિલાશ નહિ. તમારો આભાર.... 

ગિરનાર પહોંચેલા મુખ્યમંત્રીએ શું કહ્યું...
ગિરનાર રોપવેના લોકાર્પણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી જુનાગઢ પહોંચ્યા હતા. તેઓ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આપના સપના પૂર્ણ થઇ રહ્યા છે. અમે આપનો આભાર માનીએ છીએ. ગુજરાત હંમેશા નરેન્દ્રભાઇ મુખ્યમંત્રી હતા ત્યારે જે માર્ગ બતાવ્યો એ માર્ગ પર આગળ વધી રહ્યું છે. કોરોના કાળ વચ્ચે પણ વિકાસ આગળ વધતો રહે તે માટે કામ કરી રહ્યા છીએ. વર્લ્ડક્લાસ રોપવે આજે ખુલ્લો મૂકાશે. નવરાત્રિના પાવન દિવસે રોપવેનો પ્રારંભ થયો છે. ગિરનારના ડોલીવાળા ભાઈઓએ લાખો લોકોને પોતાના શારીરિક શ્રમથી દર્શન કરાવીને પુણ્યનુ કામ કર્યું છે. પવિત્ર મંદિર પર સંતો સાધના આરાધના કરી મોક્ષ ગતિ પ્રાપ્ત કરી છે. રોપવે મારફત વધુને વધુ લોકો ગિરનારના દર્શન કરે એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

ગિરનાર રોપવે વિશે.... 

  • એશિયાના સૌથી લાંબા ૨.૩ કિ.મી. લંબાઇ ધરાવતાં તેમજ દેશના અદ્યતન ટેકનોલોજીયુકત આ રોપ-વે દ્વારા રોજના હજારો યાત્રિકો હવે સરળતાએ અને પગથિયા ચઢ્યા વિના ગિરનારની ટોચે પહોંચી શકશે. 
  • પ્રત્યેક ટ્રોલી કેબિનમાં ૮ વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ રપ ટ્રોલી કેબિન આ રોપ-વે માં કાર્યરત રહેશે 
  • દર કલાકે બંને તરફ ૮૦૦ જેટલા યાત્રિકો અવર-જવર કરી શકશે.
  • રોપવેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થશે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે. 
  • રોપવેની ટ્રોલી 8 મિનિટમાં એક ટ્રિપ પૂર્ણ કરશે. 
  • 36 સેકન્ડે ટ્રોલી ઊપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે.
  • ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર 2.3 કિ.મી. દૂર છે. આ અંતર રોપવે દ્વારા માત્ર 7 મિનિટમાં કાપી શકાશે.
  • 50થી વધુ વર્ષનો અનુભવ ધરાવતી ઉષા બ્રેકો દ્વારા અંદાજિત 130 કરોડના ખર્ચે રોપવે બનાવાયો છે, જેનું સંચાલન, જાળવણી પણ કંપની જ કરશે.
  • મુસાફરો માટે રોપ-વેનું ભાડુ પણ નક્કી કરી લેવાયું છે. 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટુ-વે ટિકીટનો દર 750 રાખવામાં આવ્યો છે. તો વન-વે ટિકીટ ભાડું 400 રૂપિયા છે. તેમજ બાળકો માટે ટિકીટ 300 રૂપિયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More