ગૌરવ પટેલ/તેજસ દવે/મહેસાણા :ખોડલધામ ટ્રસ્ટ (khodaldham trust) ના પ્રમુખ અને ટ્રસ્ટી મંડળ ઉંઝા ઉમિયા ધામની મુલાકાતે પહોંચ્યા છે. ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ (naresh patel) અને ટ્રસ્ટી મંડળ ઉંઝા ઉમિયા ધામના ટ્રસ્ટી મંડળ સાથે શુભેચ્છા મુલાકાત કરશે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને ઉમિયા માતા સંસ્થાના પ્રમુખ મણિદાદા વચ્ચે વર્તમાન રાજકીય, સામાજિક અને શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા થશે. ત્યારે આ બેઠક પર હાલ સૌની નજર છે.
ઉંઝા ઉમિયા ધામ ખાતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ (naresh patel) 21 કિલો સુખડીને ભોગ અને માતાજીને શણગાર અર્પણ કરશે. પાટણના સંડેર ખાતે નવું ખોડલ ધામ (khodaldham) બનવાનું છે. ત્યારે નવા બનનાર મંદિરની તૈયારી માટે ખોડલધામના પ્રમુખ સહિત 20 લોકોની ટીમ સંડેર ગામની મુલાકાત લેશે. આ મુલાકાત પૂર્વે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને ઉમિયા ધામ (umiya dham) ના પ્રમુખ અને ટ્રસ્ટીઓ વચ્ચે ચિંતન બેઠક યોજાશે. આ ચિંતન બેઠકનો હેતુ સમાજમાં એકતા સ્થાપિત કરવાનો છે. આ બેઠક માટે ઉત્તર ગુજરાતના પાટીદાર ધારાસભ્યો પણ હાજર રહી શકે છે.
આ બેઠકમાં પાટીદાર સમાજના ઉત્થાનને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરાશે. અનામત આંદોલન દરમ્યાન થયેલા પોલીસ કેસ પરત ખેંચવા અંગે પણ ચર્ચા થઇ શકે છે. રાજ્યમાં પાટીદાર (patidar) સમાજની રાજકારણમાં સ્થિતિ અંગે પણ ચર્ચા થઇ શકે છે. તો શિક્ષણ ઉત્થાન, સમાજમાં રહેલા સામાજીક દુષણ દુર કરવા, અભ્યાસ બાદ નોકરી ન મળવા અંગે તથા સારો અભ્યાસ અને મોટી ઉંમર બાદ યુવક યુવતીઓનાં લગ્ન ન થવાની સમસ્યાની પણ ચર્ચા થશે.
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન ખાતે પહોંચેલા ખોડલધામના નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, સામાજિક ઉત્થાન, એકતા અને યુવાનોના વિકાસ માટે આ બેઠક યોજાનાર છે. રાજકીય ક્ષેત્રે યુવાનો આગળ વધે તે હેતુ છે. આજની બેઠકનો બીજો કોઈ રાજકીય હેતુ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે