જયેશ દોશી/નર્મદા :નર્મદા નદી કહેર બની રહી છે. નર્મદા નદી (narmada river) ની સપાટી વધતા તેને અડતા ત્રણ જિલ્લાઓને અસર થઈ છે. અનેક ગામોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ચાંદોદ, કરનાળી અને નંદેરીયા ગામમાં પાણી ઘૂસી ગયા છે. પાણીની સપાટી સતત વધી રહી છે. આવામાં નર્મદા નદીનાં પૂરે વિનાશક રૂપ ધારણ કર્યું છે. યાત્રાધામ ગરૂડેશ્વરમાં નર્મદેશ્વર મહાદેવ મંદિર પાણીના વહેણમાં તૂટી પડ્યું છે. જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. ગરૂડેશ્વર દત મંદિરની બાજુમાં આ મંદિર પાણીને કારણે તૂટી પડ્યું છે. 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પરિસરની મુલાકાત લીધી હતી.
મલ્હારરાવ ઘાટ પાણીમાં ગરકાવ
તો બીજી તરફ, વડોદરામાં નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાંથી નદીમાં 9.54 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જળસપાટી વધતાં મલ્હારરાવ ઘાટ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તંત્રએ બોટ સુવિધા બંધ કરાવતા તમામ બોટ કિનોરા લાંગરી દેવામાં આવ્યો છે. સાથે જ મલ્હારરાવ ઘાટ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
નર્મદા નદીના કાંઠે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ગામમાં નર્મદાનું પાણી ઘૂસી ગયું છે. ગામમાં પાણી ઘૂસતા પરિસ્થિતિ વિકટ બની છે. ત્યારે જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસમાં કેટલાક લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. NDRFની ટીમ ગેસ્ટ હાઉસ પાસે રેસ્ક્યૂ માટે પહોંચી છે. નર્મદાનું પાણી ચાંદોદ ગામમાં ઘૂસતા પરિસ્થિતિ વિકટ બની છે. ગેસ્ટ હાઉસમાં રહેતા બે વ્યક્તિઓ પાણીમાં ફસાયા છે. બંને શખ્સો મજૂરીનું કામ કરે છે. નર્મદાનું પાણી ગેસ્ટ હાઉસના ચારેય તરફ ફરી વળ્યુ છે. NDRF ની ટીમ રેસ્ક્યું માટે પહોંચી છે. તેમજ સમગ્ર વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ થતાં 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરના જામજોધપુરમાં સૌથી વધુ વરસાદ 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો જામનગરના જામનગર શહેર, મોરબીના મોરબી શહેર અને બોટાદના ગઢડામાં 8 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે