રાજકોટઃ રાજકોટમાં વર્ષ 2016માં ત્રણ-ત્રણ હત્યા કરી હાહાકાર મચાવનાર સ્ટોન કિલર ઉર્ફે હિતેષ રામાવતને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. એક સમયે રાજકોટમાં આ સ્ટોનકિલરનો ભારે ડર જોવા મળ્યો હતો. ત્રણ મહિના સુધી આ હિતેષે રાજકોટમાં ધમાલ મચાવી હતી. ત્યારબાદ 2 જુલાઈ 2016ના રોજ પોલીસની મહા મહેનત બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
રાજકોટમાં ત્રણ હત્યા કરનાર સ્ટોનકિલર હિતેષ રામાવતને કોર્ટે એક હત્યાના કેસમાં આજીવન કેદની સજા અને 1 લાખનો દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે 2021માં હિતેષને બે હત્યા કેસમાં શંકાના આધારે નિર્દોષ છોડી મુકવામાં આવ્યો હતો. પરંતુ હવે એક હત્યા કેસમાં તેને સજા ફટકારવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gujarati Election 2022: બળદગાડામાં સવાર થઈને સુખરામ રાઠવાએ નોંધાવી ઉમેદવારી
આ રીતે રાજકોટમાં કરી હતી હત્યા
રાજકોટમાં વર્ષ 2016માં સ્ટોનકિલરનો ભય જોવા મળી રહ્યો હતો. આ હિતેષ ખાસ પ્લાનિંગ સાથે આવતો હતો અને લોકોની હત્યા કરતો હતો. ત્યારબાદ તે ષુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરતો હતો. તેણે રાજકોટમાં 20 એપ્રિલ 2016ના રોજ ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં સાગર મેવાડાની હત્યા કરી હતી. ત્યારબાદ 23 મેએઃ મંજકા નજીક એક રિક્ષાચાલકની હત્યા કરી હતી. ત્યારબાદ 26 મે 2016ના કાલાવડ રોડ પર હત્યાનો પ્રયાસ કર્યો હતો. 2 જૂન 2016ના રોજ વલ્લભભાઈ નામના એક પ્રૌઢની પણ તેણે હત્યા કરી હતી.
પથ્થરથી કરતો હત્યા જેથી સ્ટોનકિલર નામ પડ્યું
આ હિતેષ રામાવતે 2016ના વર્ષમાં ત્રણ-ત્રણ હત્યા કરીને ચકચાર મચાવી હતી. તે પોલીસના હાથમાં પણ આવતો નહોતો. હિતેષ પથ્થરો વડે માથા પર હુમલો કરીને લોકોની હત્યા કરતો હતો, એટલે તેનું નામ સ્ટોનકિલર પડી ગયું હતું. આખરે મહિનાઓની મહેનત બાદ પોલીસ તેને ઝડપવામાં સફળ રહી હતી.
બે કેસમાં મળ્યો શંકાનો લાભ
આ સ્ટોનકિલર પર કુલ ચાર કેસ હતા. જેમાં ત્રણ કેસ હત્યાના અને એક કેસ હત્યાના પ્રયાસનો હતો. આ ચાર કેસમાં બેની અંદર કોર્ટે પુરાવાના અભાવ સહિતની અન્ય બાબતોને ધ્યાનમાં રાખી શંકાનો લાભ આપ્યો હતો. એટલે કે તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે