મૌલિક ધામેચા/અમદાવાદઃ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી છે. ત્યારબાદ ભાભી પર હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસમાં ભાઈની હત્યા પાછળ મિલકત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. સંપત્તિને કારણે બંને ભાઈઓ વચ્ચે વર્ષોથી સંબંધ ન હોવાની વાત પણ સામે આવી છે.
ફોટોમાં દેખાતા બન્ને વ્યક્તિ પતિ પત્ની છે. જેમાંથી નરેશકુમાર હેમવાની હવે આ દુનિયામાં હયાત નથી. કારણ કે મિલકતના તકરારમાં નાના ભાઈએ જ મોટાભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી અને ભાભીને પણ મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ ત્યારે બન્યો જ્યારે દિશા બહેન હેમવાની પોતાના પતિ નરેશ કુમાર હેમવાની સાથે ફોઈના ઘરે જવા નવરંગપુરા ખાતેની કમલા સોસાયટીથી નીકળી રહ્યા હતા. તે દરમ્યાન દિયર સુનીલે ભાભી દિશા બહેનને માર માર્યો હતો. દિશા બહેને બુમાબુમ કરતા આસપાસમાંથી સોસાયટીના માણસો તથા કામ કરતા મજૂરો આવી ગયા હતા અને દિશાબેનને મુક્ત કરાવ્યા હતા.
આ ઘટનામાં નરેશકુમારનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હાલ આરોપી સુનીલ હેમવાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ફરિયાદમાં સામે આવેલી હકીકત મુજબ નરેશભાઈ અને સુનિલભાઈ બે ભાઈઓ છે પણ બંને વચ્ચે પારિવારિક ઝઘડાઓના કારણે છેલ્લા 20 વર્ષથી સંબંધ નથી. આમ મિલકતના વેચાણના ઝઘડા બાબતે ઉશ્કેરાઈ ભાઈએ જ ભાઈની હત્યા કરી ભાભી પર હુમલો કરી હત્યાની કોશિશ કરતાં પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે