અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં સામાન્ય બાબતે બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા એ દેવીપૂજક પરિવારના વૃદ્ધ પતિએ પત્નીને માથામાં કોષનો ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં ક્રૂર પતિએ પેટ્રોલ છાંટી પત્નીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન પતિ પણ ગંભીર રીતે દાઝી જતાં રાજકોટના જેતપુર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અહીં વડીયાના મફત પરામાં રહેતા સાકરબેન બીજલભાઈ વાઘેલા(ઉં.65)ને ઘઉં લેવા જેવી બાબતમાં બોલાચાલી થતા પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જેથી પતિએ ઉશ્કેરાઇ સાકરબેનને માથાના ભાગે અને કાનના ભાગે કોષનો ઘા મારી દેતા મોત થયું હતું.
તેમણે ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો બાદમાં બીજલ દ્વારા ઘરમાં રાખેલું પેટ્રોલ લઈ એની પત્ની પર છાંટી આગ ચાંપી હતી. આ દરમિયાન બીજલ પણ બંને હાથે અને પાછળના ભાગે દાઝી જતાં સારવાર માટે તેમને પણ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા આસપાસમાં રહેતા લોકોના ટોળે વળ્યા હતા. પોતાનો પુત્ર હાજર થઇ જતાં પુત્ર દ્વારા જ પોલીસને જાણ કરાઇ હતી.
પુત્ર એજ પિતા વિરુદ્ધ પોતાની માતાની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ બંને પતિ-પત્ની અલગ રહેતા હતા. તેમના 6 પુત્રો છે, જે તમામ પરણિત હોવાથી તમામ જુદા રહે છે. જ્યારે પતિ-પત્ની વચ્ચે અણબનાવ બનતા પતિએ જ પત્નીની હત્યા નીપજાવી હતી. આ અંગે વડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. હાલ આરોપીને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. હાલ આરોપી જેતપુર ખાતે સારવારમાં હોય સારવાર પૂર્ણ થઈ જતા તેની અટક કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે