Home> Gujarat
Advertisement
Prev
Next

વિચિત્ર ઘટનાઃ વડોદરામાં પત્નીની નિર્દયી હત્યા કર્યા બાદ પતિની મોતની છલાંગ

શહેરના ભાયલી વિસ્તારમાં સિઝન્સ પ્રાઈમ એપાર્ટમેન્ટમાં એક પતિએ તેની પૂર્વ પત્નીની ઘર કંકાસમાં હત્યા કરી પોતે આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે, હત્યા અને આત્મહત્યાના બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે, પ્રાપ્ત માહિતી મુજબ યુગલની પુત્રીને કેન્સરની બિમારી હોવા છતાં તેના પિતાએ શા માટે આવું અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું નથી 

વિચિત્ર ઘટનાઃ વડોદરામાં પત્નીની નિર્દયી હત્યા કર્યા બાદ પતિની મોતની છલાંગ

વડોદરાઃ શહેરના ભાયલી વિસ્તારમાં સિઝન્સ પ્રાઈમ એપાર્ટમેન્ટમાં એક પતિએ તેની પૂર્વ પત્નીની ઘર કંકાસમાં હત્યા કરી પોતે આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે, હત્યા અને આત્મહત્યાના બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે, પ્રાપ્ત માહિતી મુજબ યુગલની પુત્રીને કેન્સરની બિમારી હોવા છતાં તેના પિતાએ શા માટે આવું અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. 

શહેરના ભાયલીના સિઝન્સ પ્રાઈમ એપાર્ટમેન્ટમાં મનીષ પટેલ, તેની પત્ની રચના પટેલ અને પુત્રી વિધી પટેલ છેલ્લા ઘણા સમયથી રહેતા હતા. આઠ મહિના પહેલા મનીષ અને રચના વચ્ચે કોઈક બાબતને લઈ તકરાર થવાનું શરૂ થયું હતું. આ તકરાર વધતાં મનીષ અને રચનાએ એકબીજાની સમજૂતીથી 5 જાન્યુઆરીએ છૂટાછેડા લઈ લીધા હતા. 

છુટાછેડા બાદ પતિ મનીષ કારેલીબાગ ખાતે તેના ઘરે રહેવા જતો રહ્યો હતો, જ્યારે રચના સિઝન્સ પ્રાઈમ એપાર્ટમેન્ટના ચોથા માળે જ રહેતી હતી. ગુરુવારે રચનાની બહેનની પુત્રીના લગ્ન હોવાથી તે તેમના ઘરે જવાની તૈયારી કરી રહી હતી ત્યારે એકાએક તેનો પૂર્વ પતિ મનીષ તેના ઘરે આવી પહોંચ્યો હતો. ઘરે આવીને તેણે રચના સાથે ઝઘડવાનું શરૂ કરી દીધું હતું. ધીમે-ધીમે આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આવેશમાં આવી જઈને પૂર્વ પતિ મનિષે તેની પૂર્વ પત્ની રચનાના માથાના ભાગે બોથડ પદાર્થ મારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. 

જયંતી ભાનુશાળી હત્યાઃ છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી મુખ્ય કાવતરાખોર

મનીષે તેની પૂર્વ પત્નીની હત્યા કર્યા બાદ તેની બહેનને હત્યાની જાણ કરી હતી. હત્યા કર્યા બાદ તે બાથરૂમમાં નાહવા ગયો અને ત્યાર બાદ પોતે પણ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કુદીને આપઘાત કરી લીધો. મનીષે છટ્ઠા માળેથી પડતું મુકતા એપાર્ટમેન્ટમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે જ્યારે આવીને તપાસ કરી તો ઉપર ઘરમાં રચના પણ હત્યા કરાયેલી હાલતમાં મળી આવી હતી. 

હત્યા અને આત્મહત્યાની બેવડી ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ એફએસએલની ટીમ  સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ બાજુ હત્યા અને આત્મહત્યાના સમાચાર વિસ્તારમાં ફેલાઈ જતાં લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે રચનાની બહેનની ફરિયાદ નોંધી પરિવારના સભ્યો અને પાડોશીઓની પુછપરછ કરી હતી.

ભારત માલા પ્રોજેક્ટ છેવટે સ્થગિત રાખવા નિર્ણય, મુખ્યમંત્રીના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો

ખાસ વાત એ છે કે, હત્યાની ઘટના સમયે મનીષ અને રચનના પુત્રી વિધી ટયુશન કલાસે ગઈ હતી. બંનેની પુત્રી વિધીને કેન્સરની બીમારી છે અને હાલ તેની સારવાર પણ ચાલી રહી છે. આવા સમયે મનીષે શા માટે તેની પૂર્વ પત્નીની હત્યા કરી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી એ બાબત રહસ્યમય બની ગઈ છે. 

સમગ્ર ઘટનાને મામલે વડોદરા ગ્રામયના ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટ પ્રેમલ પટેલે જણાવ્યું હતું કે, પતિ મનીષ દ્વારા પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થયા બાદ આવેશમાં આવી પત્ની રચનાની હત્યા કરી નાખ્યા બાદ પોતે પણ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. 

ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More