Epidemic in Gujarat: ચોમાસુ હજુ પૂર્ણ થયું નથી, જો કે વરસાદે વિરામ ચોક્કસ લીધો છે. પરંતુ હજુ પણ કોઈ-કોઈ જગ્યાએ છાંટા પડી રહ્યા છે. વરસાદ પછી હવે ગુજરાતમાં રોગચાળાએ ભરડો લીધો છે. તાવ, ઉધરસ, શરદી સહિતના કેસમાં વધારો થયો છે. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવા લાગતાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે.
ગુજરાતના ચારેય મહાનગરોમાં રોગચાળો વકર્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, પાણીજન્ય અને મચ્છરજન્ય બીમારીઓએ એવો ભરડો લીધો છે કે OPDની સંખ્યા હાલ બેથી ત્રણ ગણી થઈ ગઈ છે. કેટલીક હોસ્પિટલમાં તો ડૉક્ટર્સ વગર દર્દીઓ હેરાન પણ થઈ રહ્યા છે. આ રોગચાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો. જેનાથી મહાનગરના લોકો ત્રસ્ત બન્યા છે. ચારેય મહાનગરના સત્તાધીશો અને તંત્ર મોટા મોટા દાવા કરે છે કે અમે ફોગિંગ કરીએ છીએ અને મચ્છરોના પોરાનો નાશ કરીએ છીએ.
પરંતુ આ બધુ માત્ર કાગળ પર હોય તેવુ લાગી રહ્યું છે. જો સારી રીતે કામગીરી કરવામાં આવી હોય તો રોગચાળો અટકવો જોઈને? આ તો અટકવાની જગ્યાએ વધી રહ્યો છે. સૌથી પહેલા વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ડેન્ગ્યૂના 307, ચિકનગુનિયાના 68, મેલેરિયાના 122, વાયરલના 14, ટાઈફોઈડના 37, કોલેરાના 34 અને સિઝનલ ફ્લૂના 3 કેસ સામે આવ્યા છે.
વડોદરામાં કયા રોગના કેટલા કેસ?
સૌથી મોટા મહાનગર અમદાવાદમાં પણ તંત્રના તમામ દાવાઓની પોલ આ આંકડા ખોલી રહ્યા છે. AMC કહે છે કે અમે આટલા વિસ્તારમાં ફોગિંગ કર્યો અને દવાઓનો છંટકાવ કર્યો પરંતુ નતો એક પણ મચ્છર મરે છે, નતો રોગચાળો અટક્યો છે. અમદાવાદમાં હાલ સાદા મેલેરિયાના 47, ઝેરી મેલેરિયાના 4, ડેન્ગ્યૂના 282, ચિકનગુનિયાના 22, ઝાડા-ઉલટીના 267, કમળાના 226, ટાઈફોઈડના 303 અને કોલેરાના 2 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કયા રોગના કેટલા કેસ?
હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. દવાખાનામાં દર્દીઓ તરવડી રહ્યા છે. પરંતુ તંત્રના અધિકારીઓ માત્ર કાગળ પર કામગીરી કરીને સંતોષ માની રહ્યા છે. વાત વધુ એક મહાનગર રાજકોટની કરીએ તો, રાજકોટમાં ડેન્ગ્યૂના 29 કેસ, ટાઈફોઈડના 5 કેસ, મલેરિયાના 2 કેસ, ચિકનગુનિયાનો 1 કેસ, સામાન્ય તાવના 739 અને વાયરલના 1239 કેસ નોંધાયા છે.
રાજકોટમાં કયા રોગના કેટલા કેસ?
રાજકોટ વાત સુરતની કરીએ તો ત્યાં રોગચાળાએ રિતસરનો ભરડો લીધો છે. શહેરમાં તાવને કારણે 35 વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે. શહેરની અનેક હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. સુરતમાં આંકડાની વાત કરીએ તો, શહેરમાં છેલ્લા બે મહિનામાં શંકાસ્પદ તાવના 16 હજાર કેસ સામે આવ્યા છે. ઓગસ્ટ અને સપ્ટેબરમાં મેલેરિયાના 85 કેસ તેમજ ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા છે.
સુરતમાં કયા રોગના કેટલા કેસ?
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો દર વખતે ચોમાસામાં વધારો જોવા મળે છે, તંત્ર દર વખતે મોટી મોટી કામગીરીનો દાવો કરે છે પરંતુ આ બધુ માત્ર કાગળ પર જ જોવા મળે છે...ફોગિંગ અને દવાના છંટકાવના નામે માત્ર રૂપિયાનો ધુમાડો કરાય છે. જે ફરી એકવાર સાબિત થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે