હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદનું પ્રમાણ ઓછું થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 39 તાલુકાઓમાં વરસાદ થયો છે. પરંતુ અગાઉ જ ખબકેલા વરસાદની અસર વાહનવ્યવહાર પર અસર પડી છે. બીજી તરફ વરસાદના કારણે જળાશયો ની સ્થિતિ પણ સ્થિર થઈ છે.
ગુજરાતમાં ગત સપ્તાહે ભારે વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. વરસાદનું પ્રમાણ ઓછું થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ છેલ્લા 24 કલાકના માત્ર 39 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના અમીરગઢમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના પોશીનામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છના રાપર અને ભાવનગરના તળાજામા પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 5 તાલુકાઓમાં 0.5 ઇંચ વરસાદ, તો બાકીના 30 તાલુકામાં 0.5 ઇંચ કરતા પણ ઓછો વરસાદ થયો છે. આ સાથે જ રાજ્યમાં સીઝનનો 121 ટકા વરસાદ થઈ ચૂક્યો છે.
ઝોનવાઈઝ વરસાદ
વરસાદના કારણે ઉત્તર ગુજરાત માટે મહત્વના એવા ધરોઈ ડેમમાં પણ પાણીની આવક સારી થઈ રહી છે. ધરોઈ ડેમમાં 10 હજાર 977 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 700 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં સારા વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક થતા 620 ફૂટ પર સપાટી પહોંચી છે અને ડેમ 92 ટકા ભરાઈ ચૂક્યો છે. ગાંધીનગરનું સંત સરોવર પણ 100 ટકા ભરાઈ ચૂક્યું છે. જેમાં હાલ 370 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે. અમદાવાદનો વાસણા બેરેજ પણ ભરાઈ ચૂક્યો છે. જેમાંથી સાબરમતી નદીમાં 5 હજાર 370 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.
વાત વાહનવ્યવહારની કરીએ તો, ગત સપ્તાહે પડેલા વરસાદની અસર હજુ પણ યથાવત છે. કારણ કે વરસાદના કારણે રાજ્યમાં 241 રસ્તાઓ બંધ છે. જેમાં કચ્છનો એક નેશનલ હાઇવે, તો 16 સ્ટેટ હાઇવેનો પણ સમાવેશ થાય છે. જ્યારે પંચાયત હસ્તકના 203 રસ્તાઓ બંધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે