Home> Gujarat
Advertisement
Prev
Next

સિલ્ક્યારા ટનલમાંથી બહાર આવેલા કામદારોના ઘર થશે સૌર ઉર્જાથી પ્રકાશિત, ગુજરાતની આ કંપની ફ્રીમાં લગાવશે

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવેલા કામદારોના ઘરોને સૌર ઉર્જાથી પ્રકાશિત કરવામાં આવશે. જી હા...ગુજરાતની કંપની ગોલ્ડી સોલારે આ મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે તે સુરંગમાં ફસાયેલા તમામ કામદારોના ઘરે મફતમાં સૌર ઉર્જા પ્લાન્ટ લગાવશે.

સિલ્ક્યારા ટનલમાંથી બહાર આવેલા કામદારોના ઘર થશે સૌર ઉર્જાથી પ્રકાશિત, ગુજરાતની આ કંપની ફ્રીમાં લગાવશે

ઝી બ્યુરો/અમદાવાદ: હિમાલયી રાજ્ય ઉત્તરકાશી તાજેતરમાં ખૂબ જ અહેવાલોમાં રહ્યું છે. વાસ્તવમાં, ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારામાં એક ટનલ બનાવવામાં આવી રહી છે. આ જ સુરંગમાં માટી ધસી પડવાને કારણે 41 કામદારો 17 દિવસ સુધી એક જ ટનલમાં ફસાયા હતા. તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને બુધવારે હેલિકોપ્ટર દ્વારા ઋષિકેશમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમણે સંપૂર્ણ આરોગ્ય તપાસ કરાવી છે. હોસ્પિટલ તરફથી માહિતી મળી છે કે તમામ કામદારોની હાલત સ્થિર છે. તેમને ટૂંક સમયમાં ઘરે મોકલી દેવામાં આવશે. તેમના ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે ગુજરાતની એક કંપની ગોલ્ડી સોલારે તમામ કામદારોના ઘરે મફત સોલાર પાવર પ્લાન્ટ લગાવવાનું નક્કી કર્યું છે.

શું કરશે કંપની?
સુરત સ્થિત સોલાર કંપની ગોલ્ડી સોલરના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટર ઇશ્વર ધોળકિયાએ જણાવ્યું હતું કે તેમની કંપનીએ ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા તમામ કામદારોના ઘરોને સૌર ઉર્જાથી પ્રકાશિત કરવાની પહેલ કરી છે. તેમણે જણાવ્યું કે સુરંગમાં ફસાયેલા મોટાભાગના કામદારો બિહાર અને ઝારખંડના છે. એટલા માટે, કંપની તમામ કામદારોના ઘરે જઈને સર્વે કરશે અને તેમના ઘરે યોગ્ય લોડના સોલાર પાવર પ્લાન્ટ્સ મફતમાં સ્થાપિત કરશે. તેઓ કહે છે કે કામદારોને તેમના ઘરે વીજળીનો કાયમી ઉકેલ આપીને મદદ કરવા માંગે છે. તેનાથી તેમનું અને તેમના બાળકોનું ભવિષ્ય સુધરશે.

ઉત્તરાખંડ સરકારના થઈ રહ્યા છે વખાણ 
સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને મંગળવારે સાંજે જ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ તેમના પરિવાર સહિત સમગ્ર દેશમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. આ બચાવ કાર્ય માટે ઉત્તરાખંડ સરકારને ચારે બાજુથી પ્રશંસા મળી રહી છે. ઉત્તરાખંડ સરકારે તમામ 41 મજૂરો માટે પેઇડ રજા જાહેર કરી છે, જેથી તેઓ તેમના પરિવાર સાથે સમય વિતાવી શકશે. બચાવી લેવામાં આવેલા કામદારોને 24 કલાક ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હોસ્પિટલની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. આ સિવાય સરકાર કામદારો અને તેમના પરિવારો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરી રહી છે. ધામી સરકારે તમામ 41 મજૂરો માટે 1 લાખ રૂપિયાની રાહત રકમની જાહેરાત કરી છે.

કોણ છે ગોલ્ડી સોલર
ગોલ્ડી સોલર એ એક સ્વદેશી કંપની છે જે હાઇ-એન્ડ ફોટોવોલ્ટેઇક મોડ્યુલ્સનું ઉત્પાદન કરે છે. હાલમાં તે ગુણવત્તાયુક્ત કંપની ગણાય છે. આ જ કંપની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રોગ્રામ હેઠળ આ કામદારોના ઘરે સોલાર પાવર જનરેશન પ્લાન્ટ લગાવવા જઈ રહી છે. કંપનીનું કહેવું છે કે આ કામદારોના ઘરોના સર્વેનું કામ આગામી 10-15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ ત્યાં સોલાર પાવર પ્લાન્ટ લગાવવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More