Home> Gujarat
Advertisement
Prev
Next

વિધાનસભાની વાતઃ કામરેજમાં આ વખતે AAP બગાડશે ભાજપનું 'કામ'? જાણો કયા પરિબળો રહેશે નિર્ણાયક

Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ સુરતની જે ચાર બેઠકો પર આમ આદમી પાર્ટી પ્રભાવ પાડી શકે છે, તેમાં કામરેજનો પણ સમાવેશ થાય છે, કેમ કે આ બેઠકો પર આમ આદમી પાર્ટીએ મનપાની ચૂંટણીમાં સારૂં પ્રદર્શન નોંધાવ્યું હતું.

વિધાનસભાની વાતઃ કામરેજમાં આ વખતે AAP બગાડશે ભાજપનું 'કામ'? જાણો કયા પરિબળો રહેશે નિર્ણાયક

ઝી બ્યૂરો, અમદાવાદઃ પાટીદાર બાહુલ્ય બેઠક પર ભાજપે વી. ડી ઝાલાવાડિયાની ટિકિટ કાપીને પ્રફુલ પાનસેરિયાને ફરી મેદાનમાં ઉતાર્યા છે. જો કે પાનસેરિયાનો વિરોધ પણ થઈ રહ્યો છે. સુરતની કામરેજ વિધાનસભા બેઠક પર આ વખતે પણ ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. છેલ્લી ચાર ટર્મથી ભાજપ પાસે રહેલી આ બેઠક પર આ વખતે પણ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. સુરતની જે ચાર બેઠકો પર આમ આદમી પાર્ટી પ્રભાવ પાડી શકે છે, તેમાં કામરેજનો પણ સમાવેશ થાય છે, કેમ કે આ બેઠકો પર આમ આદમી પાર્ટીએ મનપાની ચૂંટણીમાં સારૂં પ્રદર્શન નોંધાવ્યું હતું.

વર્ષ 2002થી કામરેજ બેઠક પર ભાજપ જીતતું આવ્યું છે. 2017માં પાટીદાર અનામત આંદોલનની અસર છતા ભાજપે આ બેઠક જાળવી રાખી હતી. 2017માં કામરેજથી ભાજપના ઉમેદવાર વી. ડી ઝાલાવાડિયા જીત્યા હતા. જો કે આ વખતે ભાજપે તેમની જગ્યાએ 2012માં વિજેતા પ્રફુલ પાનશેરિયાને ફરી ટિકિટ આપી છે. જેની સામે કેટલીક જગ્યાએ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે.

કામરેજ વિધાનસભા બેઠકનાં પરિણામ:

વર્ષ          વિજેતા                          પક્ષ

2017  વી. ડી. ઝાલાવાડિયા      ભાજપ
2012  પ્રફુલ પાનશેરીયા              ભાજપ
2007  ભારતીબેન રાઠોડ           ભાજપ
2002  પ્રવીણ રાઠોડ                ભાજપ
1998  રમણ રાઠોડ                    કોંગ્રેસ

કામરેજનાં રાજકીય સમીકરણ-
કામરેજ બેઠક પર 4.28 લાખ મતદારો નોંધાયેલા છે. જેમાંથી પાટીદાર મતદારો નિર્ણાયક છે. હળપતિ સમાજનાં મતદારોનું પણ સારું એવું પ્રભુત્વ છે. આ જ કારણ છે કે આમ આદમી પાર્ટીએ અહીં રામ ધડુકને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસની ગણતરી બગાડી શકે છે. 

2017માં ભાજપના વી ડી ઝાલાવાડિયાએ 28,191 મતોથી કોંગ્રસનાં અશોક જીરાવાલાને હરાવ્યા હતા. ઝાલાવાડિયાને 1,47,371 મત મળ્યા હતા, જ્યારે જીરાવાલાને 1,19,180 મત મળ્યા હતા. જો કે આપનાં રામ ધડુકને ફક્ત 1454 મત મળ્યા હતા, તેમ છતા આપે તેમને ફરી રીપિટ કર્યા છે.

 

ઉલ્લેખનીય છેકે, ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More