જયેન્દ્ર ભોઇ/ગોધરા: ગોધરાના લઘુમતી કોમના 80થી વધુ નાગરિકો પાકિસ્તાનના કરાંચીમાં ફસાયા હોવાથી પરિવાજનો ઘેરી ચિંતામાં મુકાયા છે. કાશ્મીરમાંથી 370 અને 35A કલમ નાબૂદ થતા ભારત પાકિસ્તાન વચ્ચેનો વાહન વ્યવહાર ઠપ્પ થઇ જતા ગોધરાના નાગરિકો પાકિસ્તાનમાં અટવાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
ગોધરાના લઘુમતી કોમના સ્વજનો મોટી સંખ્યામાં પાકિસ્તાનના કરાચી ખાતે આવેલ ગોધરા કોલોનીમાં રહેતા હોય આ પરિવારો વચ્ચે ગોધરાથી પાકિસ્તાન અવર જ્વર અને ચીજ વસ્તુ ઓનું આદાન પ્રદાન થતું હોય છે. વાર તહેવાર અને સારા નરસા પ્રસંગોએ બંને દેશોમાં વસતા પરિવારજનો સરહદ પાર કરી આવન જાવન કરતા હોય છે. આવી જ રીતે છેલ્લા એક બે મહિનામાં ગોધરાથી અંદાજિત 80થી પણ વધુ લોકો પાકિસ્તાન ખાતે આવેલ કરાચીમાં પોતાના સ્વજનોને ત્યાં ગયા હતા.
ભારત હસ્તક જમ્મુ કાશ્મીરમાંથી વર્ષો જૂનો અને અતિ સંવેદન શીલ ગણાતી કલમ 370 અને 35Aને મોદી સરકાર દ્વારા નાબૂદ કરાતા ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદો પર તંગદિલી વ્યાપી ગઈ હતી. જેની સીધી અસર બંને દેશોની વિદેશનીતિ પર થતા બંને દેશો વચ્ચે ચાલતો વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. સૌથી વધુ અસર બંને દેશો વચ્ચે આવન જાવન માટે ચાવીરૂપ ભૂમિકા સમાન રેલવે વ્યવહાર પર પણ થઇ હતી.
ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતી થાર એક્સપ્રેસ અને સમજોતા એક્સપ્રેસએ બંને ટ્રેનો બંધ કરી દેવાતા ગોધરાથી પાકિસ્તાન ગયેલા 80થી વધુ નાગરિકો છેલ્લા અંદાજિત 1 મહિના ઉપરાંતના સમયથી પાકિસ્તાનમાં અટવાયા છે. અટવાયેલા લોકોના ગોધરા ખાતે રહેતા પરિવારજનોએ સરકાર પાસે પોતાના પરિવારના સભ્યોને કોઈ પણ રીતે ભારત પરત લાવવા માટેની માંગ કરી રહ્યા છે.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે