Home> Gujarat
Advertisement
Prev
Next

બાપ્પાને પણ કમરતોડ મોંઘવારી નડી, શ્રીજીની મૂર્તિમાં તોતિંગ ભાવ વધારો થયો

Ganesh Utsav 2022 : ગણેશ પ્રતિમાના નિર્માણ પર મોંઘવારીની અસર થઈ, ગણેશજીની મૂર્તિમાં 40 થી 100 ટકાનો ભાવ વધારો ઝીંકાયો
 

બાપ્પાને પણ કમરતોડ મોંઘવારી નડી, શ્રીજીની મૂર્તિમાં તોતિંગ ભાવ વધારો થયો

નવસારી :મોંઘવારી લોકોના ઘરમાં પહોંચી છે, જેની સાથે જ હવે આવનારા તહેવારો પર પણ મોંઘવારીની અસર જોવા મળશે. જેમાં બે વર્ષ બાદ ધામધૂમથી ગણેશોત્સવની તૈયારી કરતા ગણેશ ભક્તોને શ્રીજીની માટીની પ્રતિમા ગત વર્ષો કરતા 50 ટકાથી પણ વધુ મોંઘી ખરીદવી પડશે. જેને કારણે ગણેશજીની માટીની પ્રતિમા બનાવતા મૂર્તિકારો મંદીની માર સહન કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે ગણેશ મંડળોમાં કોરોના બાદ ગણેશોત્સવ ઉજવવાનો ઉત્સાહ તો છે, પણ મોંઘવારીએ બજેટ બગાડતા નિરાશ થયા છે. 

મૂર્તિના ભાવમાં 40 થી 100 ટકાનો વધારો 
નવસારીમાં વર્ષોથી પશ્ચિમ બંગાળથી કારીગરો માટીની ગણેશ પ્રતિમા બનાવવા વર્ષોથી નવસારી આવતા હોય છે. ગણેશોત્સવના 5 મહિના પૂર્વે આવી જતા હોય છે. પરંતુ સરકારી ગાઈડલાઈન અનુસાર આ વર્ષે 4 ફૂટની અને માટીની જ પ્રતિમા બનાવવાની હતી. જેથી બંગાળી કારીગરો મોટી પ્રતિમા બનાવી ન શકતા, તેમને મુશ્કેલી વેઠવી પડી હતી. કારણ મોંઘવારીની મારને કારણે શ્રીજીની પ્રતિમા બનાવવા માટે લાવતા ગંગા માટીનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી ગયો છે. બે વર્ષ અગાઉ 65 હજાર રૂપિયા ટ્રાન્સપોર્ટેશન થતું હતું, એ આજે લાખ કે 1.05 લાખ પર પહોંચ્યુ છે. જ્યારે ઘાસની 850 રૂપિયાની એક ગાંસડીના આજે 2 હજાર રૂપિયા થયા છે. જેની સાથે કારીગરોના પગાર સાથે અન્ય ખર્ચ કાઢવો મૂર્તિકારો માટે અઘરો પડે છે. જેથી મૂર્તિના ભાવમાં 40 થી 100 ટકાનો વધારો થયો છે. 

આ પણ વાંચો : અમદાવાદીઓ ટેક્સ ચૂકવવામાં અવ્વલ, છતાં પાયાની સુવિધા માટે મારવા પડે છે વલખાં

હવે મૂર્તિની હાઈટ વધારી નહિ શકાય 
બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ગણેશ પ્રતિમાની ઉંચાઈ પરનો પ્રતિબંધ હટાવી દેતા, ગણેશ મંડળો હરખાયા છે. પણ મૂર્તિકારો ગણેશોત્સવને દોઢ મહિનો બાકી હોઈ, ઉંચી પ્રતિમા બનાવવા અસમર્થતા દર્શાવી રહ્યા છે. કારણ વરસાદી માહોલમાં મૂર્તિને સુકવવામાં ઘણી મુશ્કેલી પડે છે. જેથી જ્યાં 100 પ્રતિમા બનતી હતી, ત્યાં 50 થી પણ ઓછી પ્રતિમાઓ બની છે, જેને કારણે મૂર્તિકારો મંદીનો અનુભવ કરી રહ્યા છે. 

આ પણ વાંચો : પાટણમાં બનાસ નદીમાંથી પાણી ફરી વળ્યા, 12 ગામોને જોડતો માર્ગ ધોવાઈ ગયો 

નવસારીના ખાંભલા વાડ ગણેશ મંડળના નિલેશ કુંડળે જણાવે છે કે, કોરોનાના બે વર્ષો બાદ તમામ પ્રતિબંધો હટતા શ્રીજી ભક્તોમાં આ વર્ષે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં પણ 4 ફૂટની ગણેશ પ્રતિમાના સ્થાપન કરવાના પ્રતિબંધને રાજ્ય સરકારે હટાવતા ગણેશ મંડળો મોટી ગણેશ પ્રતિમાઓ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ મૂર્તિકારો દોઢ મહિનામાં મૂર્તિ કેવી રીતે બનાવે એની દ્વિધામાં પડ્યા છે. જોકે તેમ છતાં ઘણા મંડળોએ મૂર્તિકારોને મનાવી વધુ રૂપિયા ખર્ચીને પણ 8 થી 12 ફૂટની પ્રતિમાઓ બનાવડાવી છે. શ્રીજી ભક્તોએ પણ મોંઘવારી છતાં ધામધૂમથી ગણેશોત્સવ ઉજવવાની તૈયારી કરી છે. જોકે 30 હજારમાં પડતી ગણેશ પ્રતિમા આ વખતે 50 થી 60 હજારમાં થઈ રહી છે. એમાં પણ પ્રતિમાની ડિઝાઇન ઉપર પણ પ્રતિમાનો ભાવ વધી જાય છે. તેમ છતાં ગણેશ મંડળોએ હોંશે હોંશે શ્રીજીની ઉંચી પ્રતિમા બનાવડાવી છે. 

કોરોના બાદ અતિશય વધેલી મોંઘવારીએ લોકોની કમર તોડી છે, ત્યારે ગણેશોત્સવમાં મોંઘી શ્રીજી પ્રતિમાનું પણ ભાવપૂર્વક સ્થાપન કરી ભક્તો ગણેશ ભક્તિમાં લીન થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More