રક્ષિત પંડ્યા/રાજકોટ :કોરોના સંક્રમણને રોકવા માટે પૂરા દેશમાં થયેલા લોકડાઉનને હળવું કરાયું છે. જેને પગલે સોમવારથી દેશભરમાં હવાઈ સેવા શરૂ થઈ ત્યારે રાજકોટ એરપોર્ટ પરથી પણ બે માસ બાદ આજથી મુંબઈની પ્રથમ ફ્લાઇટ ઉડાન ભરી રાજકોટ પહોંચી હતી. સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઈની સવારના સમયે ફ્લાઇટ શરૂ થઈ હતી. જેમાં આજે પ્રથમ ફ્લાઈટમાં 122 માંથી 75 સીટ પર મુસાફરોએ મુસાફરી કરી રાજકોટ પહોંચ્યા હતા. મુસાફરો ફ્લાઇટમાંથી ઉતરતાની સાથે જ તેઓને રાજકોટ એરપોર્ટ પર હેલ્થ ચેકઅપ કરી બહાર જવા દેવામાં આવ્યા હતા. સાથે જ રાજ્ય બહારથી પ્રયાણ છતાં તમામને નહિ, પરંતુ કોરોનાના લક્ષણો ધરાવનારાઓને જ ક્વોરેન્ટાઈન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે એક પણ વ્યક્તિને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા નથી.
કોરોના સંક્રમણને અટકાવવા લોકડાઉન વચ્ચે ગત 25મી માર્ચથી રાજકોટ એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે હવે દેશભરમાં લોકડાઉન હળવું થયું છે અને ગત સોમવારથી અન્ય શહેરોમાં ફ્લાઇટ પણ શરૂ થઈ છે. ત્યારે આજથી સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઈની ફ્લાઇટ શરૂ થઈ રહી છે. જે દરરોજ સવારે 6.40 વાગ્યે મુંબઈથી પ્રસ્થાન કરશે અને 8 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર પહોચશે. જ્યારે આ જ ફ્લાઇટ 8.30 વાગ્યે રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરશે અને 9.45 વાગ્યે મુંબઈ પહોચશે. હાલ 31 મી મે સુધી જ ફ્લાઇટનો શિડયુઅલ જાહેર થયો છે.
આજે મુંબઈથી પ્રથમ ફ્લાઇટ રાજકોટ પ્રસ્થાન કરી ત્યારે એરપોર્ટ પર કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સિવિલ હોસ્પિટલના તબીબો સહિતનો સ્ટાફ મુસાફરોનું સ્ક્રિનિંગ સહિતનું ચેકિંગ કર્યું હતું. મુસાફરોની ટિકીટ પણ કેમેરા મારફત તપાસવામાં આવી હતી, જે માટે તમામ વ્યવસ્થા અગાઉથી ગોઠવવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે