રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજકોટ, મોરબી, જામનગર, જુનાગઢ અને અમરેલીના 81 કેન્દ્રો પર 15079 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. સવારે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા તમામ વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ જ તેઓને પ્રવેશ અપાયો હતો. વિદ્યાર્થીઓ માટે આટલી કાળજી લેવામાં આવી ત્યારે બીજી તરફ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોની જ પરીક્ષા કેન્દ્ર પર માસ્ક વગર જોવા મળ્યા હતા. માસ્ક પહેર્યાં વગર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક વિદ્યાર્થીઓને સેનેટાઇઝ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
પરીક્ષા નિયામકને નથી કોરોનાનો ડર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક જ માસ્ક વગર જોવા મળે તે ચિંતાજનક બાબત કહી શકાય. પરીક્ષા નિયામક કોરોના કાળમાં વિદ્યાર્થીઓને માસ્ક વગર સેનેટાઇઝ કરતા જોવા મળ્યા. ત્યારે સવાલ એ છે કે, શું પરીક્ષા નિયામકને આ નિયમ લાગુ નથી પડતો? શુ પરીક્ષા નિયામક નિલેશ સોનીને કોરોનાનો ડર નથી? પરીક્ષા નિયામક જ પરીક્ષા ખંડમાં માસ્ક વગર વિદ્યાર્થીઓ વચ્ચે આંટાફેરા કરી રહ્યાં હતા. એક તરફ કોરોનાનો કાળો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે 81 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે. આજે સવારે સાડા નવ વાગ્યે વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ આપતા સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક માસ્ક વગર જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : શામળાજી હાઈવે પર સ્કોર્પિયોને અકસ્માત, અમદાવાદથી નીકળેલા 3 મુસાફરોના મોત
પરીક્ષા માટે એક લાખનું વીમા કવચ
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરાક્ષા માટે ખાસ કાળજી રાખવામાં આવી છે. તમામ વર્ગમાં 20 જેટલા વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી વધુ બી.એ સેમેસ્ટર-2 ના 7180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. સવારે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતાની સાથે વિદ્યાર્થીઓના તાપમાનની ચકાસણી કરીને તેઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષા દરમિયાન કોઇ વિદ્યાર્થી સંક્રમિત થાય તો તેને રૂપિયા એક લાખનું વીમા કવચ પણ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યું છે.
રાજકોટમાં આજથી વેક્સીનનો ડોર ટુ ડોર સરવે શરુ
બીજી તરફ, રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજથી ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. શહેરના 958 જેટલા મતદાન બુથ પ્રમાણે 1 હજારથી વધારે ટીમ દ્વારા 50 વર્ષથી ઉપરના વ્યક્તિ અને 18 વર્ષથી 50 વર્ષ સુધીની ઉંમરના કેન્સર, હ્રદય રોગ, કિડની જેવી ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવશે અને જ્યારે પણે વેક્સિન આવશે ત્યારે આ યાદીના આધારે તેને વેક્સીન આપવાનું આયોજન ગોઠવવામાં આવશે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે વિસ્તારમાં સરવે હાથ ધરવામાં આવે છે, તેમાં આવા વ્યક્તિઓના મોબાઇલ નંબર, આધારકાર્ડ નંબર સાથેનો ડેટા તૈયાર કરવામાં આવે છે. આજથી શરૂ થયેલી કામગીરી ચાર દિવસ સુધી ચાલશે અને ડેટા તૈયાર કરીને યાદી રાજ્ય સરકારને મોકલવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે