ગૌરવ દવે/રાજકોટ :ગઈકાલથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્ર કચ્છના પ્રવાસે છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણીમા ગુજરાતમાં AAPની સરકાર બની રહી છે. આ દાવા સાથે તેમણે આઈબીના રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો છે.
લોકો બદલાવ અને પરિવર્તન માટે વોટ આપશે - કેજરીવાલ
આમ આદમી પાર્ટીની સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજકોટના પ્રવાસે છે. રાજકોટના નીલ સીટી ક્લબ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માને મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, સુત્રોના હવાલેથી IBનો સર્વે આવ્યો છે કે, ગુજરાતમાં કોંગ્રેસની 10થી વધુ સીટ નહીં આવે. આગામી વિધાનસભા ચૂંટણીમા ગુજરાતમાં AAPની સરકાર બની રહી છે. ભાજપ હાલ કોંગ્રેસને મજબૂત કરી રહી છે. લોકો બદલાવ અને પરિવર્તન માટે વોટ આપશે. મહત્વનું છે કે, આજે કેજરીવાલે સભા સંબોધતા સમયે કહ્યું હતુ કે, કોંગ્રેસને મત આપીને તમે ભાજપને જીત ન અપાવશે. ભાજપ અને કોંગ્રેસ બન્ને એક જ છે. ગુજરાતમાં AAPની સરકાર બનવાનો કેજરીવાલે દાવો કર્યો હતો.
દેવુસિંહ ચૌહાણે કેજરીવાલને માનસિક રોગી કહ્યાં
કેજરીવાલના આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જવાબ આપતા કેજરીવાલને માનસિક રોગી સાથે સરખાવ્યા છે. અરવિંદ કેજરીવાલએ ભાજપ પર કરેલા આક્ષેપોનો કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જવાબ આપ્યો. દેવુસિંહ ચૌહાણે કેજરીવાલને મનોરોગી સાથે સરખાવ્યા. તેમણે કહ્યું કે, કેજરીવાલ ખોટા વાયદા કરી કેજરીવાલ લોકોને ગુમરાહ કરે છે. ચૂંટણી થયા બાદ તમામ બાબતોનો અંત આવશે. કેજરીવાલ હળાહળ જૂઠ્ઠું બોલે છે. ચૂંટણી સમયે આવી જાય છે, ચૂંટણી પૂરી થશે એટલે તેમના તમામ સપનાઓનો અંત આવશે. માનસિક રોગી આ પ્રકારના સ્વપ્ન જોતા હોય છે. તો કેજરીવાલે આઈબીના રિપોર્ટ અંગે કરેલા દાવા પર દેવુસિંહે કહ્યું કે, કોઈ સામાન્ય કાર્યકર આ વાત કરે તો ઠીક છે. પરંતુ મુખ્યમંત્રી કક્ષાનો માણસ આ પ્રકારની વાત કરે તેથી લોકો વચ્ચેથી તે તેમની વિશ્વસનીયતા ગુમાવી બેસે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે